ક્ષ ડીસીપી પરમારે વિદ્યાર્થીને પણ ન સમજાય તેવા મીડિયાને જવાબ આપ્યા : કેમ્પસ માલિક સામે ગુનો નોંધાશે? તેવું પુછાતા ડીસીપીએ ચાલતી પકડી!
ખાસ-ખબર સંવાદદાતા
શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી કેમ્પસમાં ગાંજા જેવા શંકાસ્પદ છોડ મળી આવવાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી હતી. શિક્ષણધામમાં ચાલતા ગોરખધંધા અંગે અનેક વાતો શરૂ થઇ છે, મળી આવેલા છોડ ગાંજો છે કે કેમ તે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે તેવુું પોલીસના ઉચ્ચ અધિકારીઓ ગાણું ગાઇ રહ્યાછે ત્યારે ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમારે શુક્રવારે પત્રકાર પરિષદ યોજી આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવ્યાની જાહેરાત કરી હતી, જોકે શિક્ષણધામમાં મળી આવેલા ગાંજાના છોડમાં શું પગલાં લેવાયા અને ભવિષ્યમાં શું કાર્યવાહી થશે તેવા સવાલોના જવાબ આપવાનું પરમારે ટાળ્યું હતું.
ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુરૂવારે સાંજે કોલેજના સિક્યુરિટી ઇન્ચાર્જે ગાંજા જેવા લાગતાં છોડ હોવાની જાણ કરતાં કુવાડવા પોલીસ સહિતની ટીમ પહોંચી હતી, મારવાડી યુનિવર્સિટી પરિસરમાંથી ઉખાડી ફેંકાયેલા 20 છોડ અને 3 ઉગેલા શંકાસ્પદ છોડ મળી આવ્યા હતા, એફએસએલની સ્થાનિક ટીમ સ્થળ પર પહોંચી હતી અને તેમની તપાસમાં કંઇ શંકાસ્પદ નહી મળતાં કબજે થયેલા છોડના સેમ્પલ લઇ ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યા છે અને તેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી નક્કી થશે. ગાંજા પ્રકરણની તપાસ કરવા માટે ડીસીપી ઝોન-1, એસીપી ક્રાઇમ, એસઓજી અને કુવાડવા પીઆઇ સહિતના સભ્યોની સીટની રચના કરવામાં આવી છે, ડીસીપી પરમારે કહ્યું હતું કે, જ્યાંથી શંકાસ્પદ છોડ મળ્યા છે તેની નજીક બાંધકામની સાઇટ ચાલુ છે અને તેમાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરે છે, જો છોડ ગાંજાના છે તેવું સ્પષ્ટ થશે તો ગાંજાનું વાવેતર કોઇ વિદ્યાર્થીએ કર્યું?, પરપ્રાંતીય શ્રમિકે કર્યું કે તેની જાતે જ છોડ ઉગ્યા તેની તપાસ કરવામાં આવશે.
જ્યારે પોલીસ દ્વારા ગાંજાના ખેતર અગાઉ પકડવામાં આવ્યા છે ત્યારે તે ખેતર પર દરોડો પાડતાની સાથે જ ગુના દાખલ કરવામાં આવ્યા છે પરંતુ આ કેસમાં એફએસએલ રિપોર્ટની રાહ જોવાઇ રહ્યાનું રટણ પરમારે રટ્યું હતું, જ્યારે કોઇ વાડી, ફાર્મહાઉસ કે કોઇ પરિસરમાંથી દારૂ કે ગાંજા સહિતનો માદક પદાર્થ મળે ત્યારે એ પરિસરના માલિક સામે પણ તત્કાલીન સમયે જ ગુનો નોંધવામાં આવે છે.