મોતને આમંત્રણ આપતું બાંધકામ, ઊંઘતું તંત્ર અને લોકોના જીવ જોખમમાં
9 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોને ભારે ગરમીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ઓખા
ઓખા નગરપાલિકાના સુરજકરાડી વિસ્તારમાં સોમવારે બપોરે એક ગંભીર અકસ્માત બનતા મોટી જાનહાની થવાથી સહેજમાં બચી ગઈ હતી. હાઇવે રોડ પાસે આવેલી સરકારી શાળાની નજીક ચાલી રહેલા પાંચ માળના કોમર્શિયલ બાંધકામ દરમિયાન ટ્રોલી અચાનક પાંચમા માળેથી નીચે ખાબકી અને સીધી ચાલુ 11ઊંટ હાઈ વોલ્ટેજ વીજ લાઈન પર પડી હતી. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે જોનારાઓ ચોંકી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ આ ઘટનાએ ઓખા નગરપાલિકાના વહીવટ અને બાંધકામ મંજૂરી પ્રક્રિયા સામે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. અકસ્માત સ્થળ રહેણાંક વિસ્તારમાં આવેલું હોવા છતાં અહીં પાંચથી છ માળનું કોમર્શિયલ બિલ્ડીંગ ઊભું થઈ રહ્યું છે, જેનાથી સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
સ્થાનિકોના કહેવા મુજબ, અગાઉ અહીં માત્ર એક સામાન્ય શોપિંગ સેન્ટર હતું, જેને તોડી આ ભવ્ય કોમર્શિયલ બિલ્ડીંગનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. પ્રશ્ન એ ઉઠે છે કે સરકારી શાળાની નજીક અને ભરચક રહેણાંક વિસ્તારમાં આટલી ઊંચાઈનું બાંધકામ કરવાની પરમિશન કેવી રીતે આપવામાં આવી? ઉપરાંત, બિલ્ડીંગમાં ભવિષ્યમાં 60થી 70 દુકાનો શરૂ થવાની શક્યતા છે, ત્યારે પાર્કિંગ માટે કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ટ્રાફિક અને સુરક્ષા સમસ્યાઓ ઊભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ નગરપાલિકાની કામગીરી પર પણ સવાલો ઊભા કર્યા છે. છેલ્લા બે વર્ષથી ચાલતા આ બાંધકામ સામે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી ન કરવામાં આવતાં રાજકીય દબાણ અથવા વહીવટી બેદરકારીની શંકા વ્યક્ત થઈ રહી છે. ઓખા નગરપાલિકામાં લાંબા સમયથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોવાને કારણે વહીવટ પર અસર પડી રહી હોવાનું પણ સામે આવ્યું છે. દ્વારકાના ચીફ ઓફિસર દ્વારા માત્ર સમયાંતરે મુલાકાત લેવામાં આવતી હોવાની માહિતી મળી છે.
અકસ્માત બાદ આખા વિસ્તારમાં આશરે 9 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો, જેના કારણે સ્થાનિકોને ભારે ગરમીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે ઘટનાસ્થળે કોઈ જવાબદાર અધિકારી કે પદાધિકારી પહોંચ્યા ન હતા, જેના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. હવે સવાલ એ ઉભો થયો છે કે આ સમગ્ર ઘટનામાં જવાબદાર કોણ? ગેરકાયદેસર બાંધકામ કરનાર બિલ્ડર, પરમિશન આપનાર નગરપાલિકા તંત્ર, કે પછી દેખરેખમાં નિષ્ફળ રહેલા અધિકારીઓ? લોકો માંગ કરી રહ્યા છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.
ગેરકાયદેસર બાંધકામ કે તંત્રની બેદરકારી?
- Advertisement -
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જ્યાં હાલ આ પાંચ માળનું કોમર્શિયલ બિલ્ડિંગ બાંધવામાં આવી રહ્યું છે ત્યાં અગાઉ માત્ર એક જૂનું શોપિંગ સેન્ટર હતું. તેને તોડી નવી ભવ્ય ઈમારત ઊભી કરવામાં આવી રહી છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે રહેણાંક વિસ્તાર અને શાળાની નજીક આટલી ઊંચી કોમર્શિયલ ઈમારત માટે મંજૂરી કેવી રીતે અપાઈ? વધુમાં, બિલ્ડિંગમાં અંદાજે 60થી 70 દુકાનો શરૂ થવાની શક્યતા છે, પરંતુ પાર્કિંગ માટે કોઈ જ વ્યવસ્થા દેખાતી નથી. બિલ્ડરે જમીનનો 100 ટકા ઉપયોગ કરીને બાંધકામ કર્યું હોવાનો આક્ષેપ છે, જે શહેરી આયોજનના નિયમોનો ભંગ દર્શાવે છે.
નગરપાલિકા તંત્ર પર ઉઠતા પ્રશ્ર્નો
આ બનાવે ઓખા નગરપાલિકા તંત્રની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોવાને કારણે વહીવટ પર અસર પડી રહી હોવાનો આક્ષેપ છે. દ્વારકાના ચીફ ઓફિસર સમયાંતરે આવી કામગીરી સંભાળે છે, પરંતુ સતત દેખરેખનો અભાવ સ્પષ્ટ દેખાય છે. આ સાથે, નગરપાલિકાની હાલની બોડીની મુદત પૂર્ણ થવાને આરે હોવાને કારણે વિકાસ અને નિયંત્રણની કામગીરીમાં ઢીલાશ હોવાનો આક્ષેપ પણ ઉઠી રહ્યો છે. ઘટના બાદ પણ કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર પહોંચી ન હોવાનું સ્થાનિકોમાં નારાજગીનું કારણ બન્યું છે.



