રાજકોટીયન્સે આતશબાજીને હર્ષનાદથી આવકારી, 40 ફૂટની હાઈટ ઉપર લેઝર શો માણ્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં બજરંગ દળ દ્વારા સતત 27માં વર્ષે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ગુજરાતના સૌથી ઊંચા 60 ફૂટના રાવણના પૂતળા અને સાથે સાથે 30-30 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ સાથે ભવ્ય આતશબાજી અને લેઝર શો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયા દશમી. વિજયા દશમી નિમિતે સમગ્ર દેશમાં રાવણ દહનનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આજે દશેરાના દિવસે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે પણ ગુજરાતના સૌથી મોટા રાવણના પૂતળા દહનનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશથી આવેલા કારીગરો દ્વારા 60 ફૂટ ઊંચા રાવણ અને 30-30 ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા તૈયાર કરવામાં આવ્યા હતા. રેસકોર્સ મેદાન ખાતે પ્રથમ સાંજના 7.30 વાગ્યે ભવ્ય આતશબાજી કરી બાદમાં રાવણ , મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત રાવણ દહનના કાર્યક્રમને જોવા મોટી સંખ્યામા રાજકોટ વાસીઓ આવી પહોંચ્યા હતા.
આ સાથે આ વર્ષે પ્રથમ વખત રાજકોટમાં રાવણ દહનની સાથે સાથે ભવ્ય લેશર શો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સાઉન્ડ સાથે 40 ફૂટ ઊંચાઈએ આજે પ્રથમ વખત રાવણ દહનની સાથે સાથે લેશર શો રાજકોટ વાસીઓ માટે નવું નજરાણું હતું.