એપ્રિલ મહિનામાં સોરઠમાં આકરા ઉનાળાનો પ્રારંભ, બપોરે રસ્તાઓ સુમસામ
ગિરનારના જંગલો અને શહેરી જનજીવન પર આકરા તાપનો કહેર
- Advertisement -
હજુ એપ્રિલના અંત સુધી 40 ડિગ્રી પાર તાપમાન જોવા મળશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને સોરઠ પંથકમાં ઉનાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા બે દિવસથી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેમ તાપમાનનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે. જૂનાગઢ શહેર સહિત સમગ્ર સોરઠ પંથક ગરમીના સકંજામાં સપડાયું છે, જેના કારણે જનજીવન ભારે અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે.
આજે જૂનાગઢ શહેરમાં તાપમાનનો પારો 40.07 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો. વધતી જતી ગરમીને કારણે બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો અને બજારો સુમસામ ભાસી રહ્યા છે. લોકોએ કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે, જેના કારણે દિવસના સમયે રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાં, શેરડીનો રસ અને છાશનો સહારો લઈ રહ્યા છે, જ્યારે કપડાંમાં પણ હવે સુતરાઉ અને કોટન વસ્ત્રોને લોકો પ્રાધાન્ય આપી રહ્યા છે.
જૂનાગઢ ગિરનાર પર્વત પર સ્થિતિ વધુ કપરી છે. આજે ગિરનાર પર્વતનું તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચતા પર્વત એક ’અગનભઠ્ઠી’માં ફેરવાયો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ગિરનારના કાળબિંડ પથ્થરો સૂર્યના તાપમાં તપીને લોખંડ જેવા ગરમ થઈ રહ્યા છે, જેની સીધી અસર યાત્રિકો પર પડી રહી છે. ગિરનારની યાત્રા કરતા યાત્રિકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. જોકે, ગરમીથી બચવા માટે અનેક યાત્રિકો હવે વહેલી સવારે યાત્રા કરવાનું પસંદ કરી રહ્યા છે. મોટાભાગના યાત્રિકો સવારના 6 થી 12 વાગ્યા સુધીમાં યાત્રા પૂર્ણ કરી પરત ફરી રહ્યા છે, જેથી બપોરના સમયે ગિરનારની સીડીઓ પણ વેરાન અને સુમસામ જોવા મળે છે. ગિરનારના ગાઢ જંગલોમાં પણ ગરમીની વ્યાપક અસર જોવા મળી રહી છે. જંગલના પશુ-પંખીઓ તથા કપિરાજના ટોળાં આકરા તાપથી બચવા માટે વૃક્ષોના ઘટાદાર છાંયડાની શોધમાં છે. જંગલી પ્રાણીઓ ગરમીથી રાહત મેળવવા માટે પાણીના જળસ્ત્રોતો અને નદીના કિનારે આવેલા ઠંડકવાળા વિસ્તારોમાં આશરો લેતા જોવા મળે છે. વન વિભાગ દ્વારા પણ જંગલમાં પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, એપ્રિલ મહિનાના અંત સુધી સોરઠ પંથકમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર જ રહેવાની શક્યતા છે. હીટવેવની આગાહીને પગલે તંત્ર દ્વારા પણ સાવચેતીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનમાં હજુ વધારો થવાની સંભાવના હોવાથી લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. જૂનાગઢ અને સોરઠ પંથક હાલ ગરમીના આકરા મિજાજ હેઠળ છે. પ્રકૃતિની આ અગનભઠ્ઠીમાં સુરક્ષિત રહેવા માટે જાગૃતિ જ એકમાત્ર ઉપાય છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને હીટવેવ સામે એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવી છે. ત્યારે નાગરિકોની સજાગતા જ તેમને આ કપરા ઉનાળામાં સ્વાસ્થ્યપ્રદ રાખશે.
- Advertisement -
ગરમીથી બચવા માટે નિષ્ણાતોની સલાહ
હીટવેવ અને લૂ થી બચવા માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો અને તંત્ર દ્વારા લોકોને સલાહ આપી છે કે, ગરમીમાં શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે દિવસ દરમિયાન વારંવાર પાણી પીવું જોઈએ. લીંબુ શરબત, નારિયેળ પાણી કે ઓ.આર.એસ.નું સેવન કરવું હિતાવહ છે. તેમજ બહાર નીકળતી વખતે હંમેશા સફેદ કે આછા રંગના, સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા જોઈએ. અને માથા પર ટોપી રાખવી અથવા છત્રીનો ઉપયોગ કરવો. ભીના રૂમાલ કે કપડાનો માથા પર સહારો લેવો જેથી લૂ લાગવાની શક્યતા ઘટી જાય. જયારે નાના બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, તેથી તેમને ભારે ગરમીમાં ઘરની બહાર નીકળવાનું બિલકુલ ટાળવું જોઈએ. જો ગરમીના કારણે અચાનક ચક્કર આવવા, ઉબકા થવા, વધુ તાવ આવવો કે માથાનો દુખાવો જેવી સમસ્યાઓ જણાય તો ઘરે ઉપચાર કરવાને બદલે તુરંત નજીકની હોસ્પિટલમાં જઈને ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી જોઈએ.



