ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઝડપાયેલા નવ આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન મામલે હિયરીંગ કરવામાં આવ્યા બાદ ગઈકાલે જામીન અરજી પર હુકમ કરવામાં આવ્યો હતો અને સેશન્સ કોર્ટે આઠ આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી અને એક આરોપીની જામીન અરજી પેન્ડીંગ રાખવામાં આવી છે ત્યારે આઠ આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે.
મોરબી પૂલ દુર્ઘટના કેસમાં પોલીસે નવ આરોપીની ધરપકડ કરીને તપાસ માટે રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી અને ફર્ધર રિમાન્ડ અરજી કોર્ટે ફગાવી દેતા આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા જેથી જેલમાં બંધ નવ આરોપીઓએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જે જામીન માટેની અરજીમાં પણ તારીખો પડી હતી અને હિયરીંગ કરવામાં આવ્યા બાદ ગઈકાલે જામીન અરજી પર કોર્ટે ચુકાદો આપ્યો હતો જેમાં આઠ આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી અને જામીન નામંજૂર કરતા આરોપીઓને ફરી પાછા જેલહવાલે કરાયા હતા જ્યારે દેવાંગ પ્રકાશ પરમાર નામના એક આરોપીની જામીન અરજી પેન્ડીંગ છે જેના પર બાદમાં હુકમ સંભળાવવામાં આવશે.