ટીકુભાઇ વરુ દ્વારા મુખ્ય સચિવ, જિલ્લા કલેકટર અને શક્તિસિંહ ગોહિલને રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકામાં ત્રણ બાળકો અને એક સાધુના આકસ્મિક મુત્યુ બાદ એક વર્ષથી સરકારી સહાય ન ચુકવતા કોંગ્રેસના અગ્રણી ટીકુભાઇ વરૂ દ્વારા મુખ્ય સચિવ, જિલ્લા કલેકટર અને શક્તિસિંહ ગોહિલને રજૂઆત કરવામાં આવી હતી. રાજુલા તાલુકાના મોરંગી, વડગામ અને વડલી ગામમાં એક પછી એક થયેલ દુર્ઘટનાઓમાં નિર્દોષ લોકોના દુ:ખદ અવસાન પછી પણ પીડિત પરિવારોને આજદિન સુધી સરકાર તરફથી એક પણ રૂપિયાની સહાય મળેલી નથી. મોરંગી ગામે એક વર્ષ પહેલા તળાવમાં નાહવા ગયેલા બે બાળકો ડૂબી ગયા હતા. અને 24 કલાકની ભારે શોધખોળ બાદ તેમના મૃતદેહ મળી આવ્યા હતા. તેમજ વડગામમાં પણ સમાન રીતે નદીમાં યુવાન ડૂબી જતા જીવ ગુમાવ્યો હતો.
- Advertisement -
ટીકુભાઈ વરુએ આ મામલે સરકારની કામગીરી પર વધુમા જણાવેલ કે, આ યોજના તો બીરબલની ખીચડી જેવી બની છે માત્ર કાગળ પર રહી છે અને ગરીબને લાભ સમયસર મળતો નથી. જેથી દુ:ખી પરિવારોને સરકાર તરફથી તાત્કાલિક મદદ મળવી જોઈતી હતી. અને એક વર્ષથી પણ વધુ સમયથી ફક્ત સહાયની રાહ જોઇ રહ્યા છે.