દર્શન દાસાણી વગેરેએ માત્ર 35 લાખમાં સ્પષ્ટ વેલ્યૂએશન વગર બ્રાન્ડ નવી કંપનીમાં તબદિલ કરી હતી
બ્રાન્ડ ટ્રાન્સફર પછી શેર વેંચીને કમાયેલો નફો 3 મહિનામાં મૂળ કંપની ટ્રાન્સફર કરવાનો ઐતિહાસિક આદેશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા ટી પોસ્ટ બ્રાન્ડના લાંબા સમયથી ચાલતા વિવાદમાં પારદર્શિતા અને કોર્પોરેટ ગવર્નન્સને લગતો એક સીમાચિન્હરૂપ ચૂકાદો આપવામાં આવ્યો છે. એનસીએલટીએ આદેશ કર્યો છે કે નવી કંપનીએ શેરના વેચાણમાંથી મેળવેલો નફો 3 મહિનાની અંદર મૂળ કંપનીને પરત કરવાનો રહેશે, જે તમામ શેરહોલ્ડર્સ વચ્ચે વહેંચાશે.
ઝડપથી વિકસતી બ્રાન્ડ ‘ટી પોસ્ટ’ને લઈને ચાલી રહેલા વિવાદનો હવે અમદાવાદ સ્થિત એનસીએલટી સમક્ષ મહત્ત્વના ચૂકાદા સાથે અંત આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં અરજદાર તરીકે રાજેશ મધુસુદન રાજગુરુ, સ્વ. હરીશ મધુસુદન રાજગુરુ અને તુષાર મધુસુદન રાજગુરુ હતા, જ્યારે સામા પક્ષે (પ્રતિવાદી) દર્શન અનિલભાઈ દસાણી, સ્વ. હસિત અનિલભાઈ દસાણી, સમીર અનિલભાઈ દસાણી તેમજ પરેશ જોષી સહિત અન્ય વ્યક્તિઓ અને કંપનીઓ સામેલ હતી.
ફ્રેન્ચાઈઝી મોડલ દ્વારા દેશભરમાં જબ્બર વિસ્તરણ પામેલી ટી પોસ્ટ બ્રાન્ડે વર્ષ 2015 સુધીમાં 80થી વધુ આઉટલેટ્સ ઊભા કરી લીધા હતા અને આ બ્રાન્ડ મૂળ કંપનીની આવકનો મુખ્ય આધાર બની ગઈ હતી. પરંતુ અરજદારોએ આક્ષેપ કર્યો હતો કે કંપનીના કેટલાક ડિરેકટર્સે મળીને ટી પોસ્ટ બ્રાન્ડ અને તેના સંબંધિત બિઝનેશને માત્ર રૂા. 35 લાખના અત્યંત નીચા મૂલ્યાંકને એક નવી કંપનીમાં ટ્રાન્સફર કરી દીધો હતો. અરજદારોના મતે, આ ટ્રાન્સફરનો નિર્ણય એ સમજણથી સ્વીકારાયો હતો કે નવી કંપની મૂળ કંપનીની સબસિડિયરી તરીકે જ કામ કરશે અને વ્યવસાય પર નિયંત્રણ જળવાઈ રહેશે. જો કે ટ્રાન્સફર બાદ નવી કંપનીએ સમગ્ર બ્રાન્ડ અને બિઝનેસ પર સંપૂર્ણ કબજો જમાવી દીધો, જેથી મૂળ કંપની પોતાની મુખ્ય આવકથી વંચિત રહી ગઈ.
સામા પક્ષે દર્શન દસાણી અને અન્ય પ્રતિવાદીઓએ આ તમામ આક્ષેપો ફગાવતા દલીલ કરી હતી કે આખી પ્રક્રિયા સંપૂર્ણ કાયદાકીય રાહે પૂર્ણ કરવામાં આવી હતી અને એકસ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગમાં યોગ્ય ઠરાવ પસાર કરીને તમામ જરૂરી મંજૂરીઓ લેવાઈ હતી, જેની અરજદારોને સંપૂર્ણ જાણકારી હતી. જો કે સુનાવણી દરમિયાન એનસીએલટીએ બિઝનેસ ટ્રાન્સફરની પારદર્શિતા અને વેલ્યુએશન (મૂલ્યાંકન) પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ટ્રિબ્યુનલના નિરીક્ષણમાં સામે આવ્યું કે આ ટ્રાન્સફર વખતે કોઈ સ્પષ્ટ અને પ્રમાણભૂત વેલ્યુએશન રિપોર્ટ રજૂ કરાયો નહોતો. આ મુદ્દો જ કેસના નિષ્કર્ષમાં સૌથી મહત્ત્વપૂર્ણ સાબિત થયો.
ટ્રાન્સફર પછીની ઘટનાઓ પણ નોંધપાત્ર રહી હતી. ટ્રાન્સફર બાદ નવી કંપનીના શેરહોલ્ડિંગમાં ફેરફાર કરાયા અને થોડા જ સમયમાં તેના શેર ઘણી ઉંચી કિંમતી વેચવામાં આવ્યા. આ પરિસ્થિતિ સાબિત કરે છે કે બિઝનેસનું સાચું બજાર મૂલ્ય ટ્રાન્સફર સમયે દર્શાવેલા 35 લાખના મૂલ્ય કરતાં ઘણું વધારે હતું. એનસીએલટીએ કડક નોંધ લીધી કે કંપનીના ડિરેકટર્સની જવાબદારી શેરહોલ્ડર્સ અને કંપનીના હિતોનું રક્ષણ કરવાની હોય છે, પરંતુ આ કિસ્સામાં લેવાયેલા નિર્ણયોમાં પારદર્શિતા અને ન્યાયના સિદ્ધાંતોનું સંપૂર્ણ પાલન જણાયું નહોતું. વધુમાં, ગ્રુપ કંપની અને સબસિડિયરી કંપની વચ્ચેના નિયમો તથા એસેટ ટ્રાન્સફરની કાયદાકીય જોગવાઈઓનું પણ યોગ્ય પાલન ન થયું હોવાનું ટ્રિબ્યુનલના ધ્યાનમાં આવ્યું હતું.
આ તમામ ગંભીર મુદ્દાઓને ધ્યાને લઈને એનસીએલટીએ અંતિમ આદેશ આપ્યો છે કે નવી કંપનીએ શેરના વેચાણમાંથી જે નફો મેળવ્યો છે તે મૂળ કંપનીને પરત કરવો પડશે. આ રકમ તમામ શેરહોલ્ડર્સ વચ્ચે તેમની હિસ્સેદારીના પ્રમાણમાં વહેંચવાની રહેશે. આ માટે 3 મહિનાની સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. કોર્પોરેટ ગવર્નન્સ માટે આ ચૂકાદો અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તે સ્પષ્ટ કરે છે કે બિઝનેસ ટ્રાન્સફર કે બ્રાન્ડ મૂલ્યાંકન વખતે કાયદાકીય પાલન અને શેરહોલ્ડર્સના હિતોની જાળવણી અનિવાર્ય છે. આ ચૂકાદા બાદ કંપની દ્વારા ભવિષ્યમાં લાવવામાં આવનારા આઈપીઓની પ્રક્રિયા અને આયોજનો પર પણ મોટા સવાલો ઊભા થયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.



