મનપાની ગોલ્ડન જ્યુબિલી વર્ષ ઉજવણીના ભાગરૂપે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા ‘ગોલ્ડન જ્યુબલી વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે આજે રાત્રે 8:30 કલાકે કવિ રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે ગઝલ સમ્રાટ મનહર ઉધાસ પ્રસ્તુત સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે.
માન. કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રામભાઇ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા અને મંત્રી બિનાબેન આચાર્ય તથા મ્યુનિ. કમિશનર આનંદ પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રીઓ અશ્વિનભાઇ મોલીયા, વિરન્દ્રસિંહ ઝાલા અને ડો.માધવ દવે, અગ્રણી ઉદ્યોગપતિ મૌલેષભાઇ ઉકાણી, હિમાંશુભાઇ માંકડ, સુમનભાઇ કામદાર, વી.ડી. બાલા, કૌશિકભાઇ સિંધવ, દિલિપભાઇ જોશી, ઉષાબેન જાની, બળવંતભાઇ દેસાઇ તથા અતિથિ વિશેષ તરીકે મહાનગરપાલિકાના શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનિષભાઇ રાડીયા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાત ફોર્જીંગ પ્રા.લિ.ના ચેરમેન અરવિંદભાઇ પટેલના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય થશે.
- Advertisement -
ગઝલ સમ્રાટ મનહર ઉધાસનો ટૂંકો પરિચય
મનહર ઉધાસનો જન્મ સૌરાષ્ટ્રના જેતપુરનાં ચારણ(ગઢવી) પરિવારમાં થયો હતો. તેમનું મૂળ ગામ ચરખડી છે. મનહર ઉધાસ ત્રણ ભાઈઓ છે. તેમના પિતાનું નામ કેશુભાઈ ઉધાસ અને માતાનું નામ જીતુબેન છે. અને ગાયક કલાકાર પંકજ ઉધાસ અને નિર્મલ ઉધાસના મોટા ભાઈ છે. મનહર ઉધાસ ગુજરાતમાં મિકેનિકલ એન્જિનિયરિંગની તાલીમ પૂર્ણ કરી અને નોકરીની શોધ માટે 1960ના દાયકાના અંતમાં મુંબઈ ગયા હતા. તેમને બાળપણથી જ સંગીતમાં રસ હતો. મુંબઈમાં ગુજરાતી ફિલ્મ બનાવતા તેમના સાળાએ તેમનો પરિચય સંગીત દિગ્દર્શક કલ્યાણજી આનંદજી સાથે કરાવ્યો. ગીત રેકોર્ડીંગમાં મદદ કરવા ઉધાસ કલ્યાણજી આનંદજી સાથે જ રહ્યા. એકવાર ગાયક મુકેશ હાજર ન હતા. તેથી ઉધાસના અવાજમાં ગીત ડબ કરવાનું નક્કી થયું અને પછી મુકેશ તેના પર ગીત ગાશે. આ ગીત 1969ની ફિલ્મ વિશ્ર્વાસનું ‘આપ સે હમ કો બિચ્છડે હુયે એક જમાના બીત ગયા’ હતું. જ્યારે મુકેશે ગીત સાંભળ્યું ત્યારે તેણે કહ્યું કે ઉધાસે આ ગીત સંપૂર્ણ રીતે ગાયું છે અને તેના અવાજમાં ગીત રેકોર્ડ કરવાની કોઈ જરૂર નથી. ગીત હિટ થયું. તે તેની કારકિર્દીમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. તેમણે 300 થી વધુ ફિલ્મો માટે ગીતો ગાયા છે.
ગુજરાતી, હિન્દી, પંજાબી, બંગાળી અને અન્ય ઘણી બધી ભાષાઓમાં તેમના ભાઈ પંકજની જેમ ગઝલો ગાવા માટે જાણીતા છે.