ખાસ-ખબર સંવાદદાતા
વીરપુરના રાણબાગ વિસ્તારમાં વીરપુર ગ્રામ પંચાયત દ્વારા પશુઓને પીવાના પાણી માટે એક હવાડાનું નિર્માણ કરવામાં આવ્યું છે. વીરપુરના સીમ વિસ્તારોમાં મોટાભાગના માલધારીઓ અને ખેડૂતો પોતાના પશુઓને લઇને આ રાણબાગ વિસ્તારમાંથી પસાર થતા હોય છે. પરંતુ આ માર્ગમાં પશુઓ માટે પીવાના પાણીની કોઇ વ્યવસ્થા ન હોવાથી પશુઓ તરસ્યા રહેતા હતા. જેને ધ્યાને લઇને વીરપુર ગ્રામ પંચાયત દ્વારા જન્માષ્ટમીના દિવસે હવાડાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં રાધેશ્યામની પ્રતિમા વીરપુર ગામના યુવા સરપંચ રમેશભાઇ સરવૈયા તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય કેશુભાઇ મેર, રમેશભાઇ કોઠારી સહિતના લોકો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતના આ ઉમદ્દા કાર્યને ખેડૂતો અને માલધારીઓએ બિરદાવ્યું હતું અને પશુઓને પાણી પીવડાવવાની સમસ્યાનો અંત આવ્યો હતો.
વીરપુરમાં પશુઓને પીવાના પાણી માટે નવા હવાડાનું નિર્માણ કરાયું
