અમદાવાદમાંથી વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ઉસ્માનપુરા નજીક કાર ચાલકે અડફેટે લેતા રાહદારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
અમદાવાદમાંથી એકબાદ એક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે મણીનગરમાં અકસ્માત સર્જાયા બાદ શહેરના ઉસ્માનપુરા નજીકથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે રોડ ઉસ્માનપુરા નજીક કારચાલકે રોડ ક્રોસ કરી રહેલા એક રાહદારીને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
- Advertisement -
ઉસ્માનપુરા નજીકની ઘટના
મળતી માહિતી અનુસાર, શહેરના ઉસ્માનપુરા નજીક આવેલી એસ્પાયર હોટલની સામે આજે સવારે એક રાહદારી રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન વેગેનાર કારના ચાલકે રાહદારીને અડફેટે લીધા હતા. આ અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જે બાદ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ ઈજાગ્રસ્તની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ગઈકાલે રાત્રે મણીનગરમાં સર્જાયો હતો અકસ્માત
આપને જણાવી દઈએ કે, ગઈકાલે રાત્રે અમદાવાદમાં અકસ્માત સર્જાયો હતો. મણીનગર વિસ્તારમાં આવેલા જવાહર ચોક પાસે પ્રભુ એપાર્ટમેન્ટ સામે ગઈકાલે રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને બાંકડા સાથે અથડાઈ હતી. જોકે, આ બાંકડા પર બેસેલા ત્રણ વ્યક્તિઓએ સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં કાર ચાલકને પહોંચી ઈજા પહોંચી હતી અને તે નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે ત્રણને દબોચી લીધા
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઘટનામાં કાર ચાલક સહિત ત્રણ નબીરાઓને સ્થાનિકોએ દબોચીને પોલીસને સોંપ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરી તો બિયરની બોટલ પણ મળી આવી હતી. જે બાદ ડ્રિંક એન્ડ ડ્રાઇવ મામલે પોલીસે તપાસ તેજ કરી છે.



