ચાર ધામની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે ગુડ ન્યુઝ સામે આવ્યાં છે. એટલે કે આજથી જ ચાર ધામની યાત્રા માટેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે.
પર્યટન વિભાગનું પોર્ટલ સવારના સાત વાગ્યાથી ખુલી ગયું છે. ભક્તોની સુવિધા માટે યાત્રા શરૂ થવાના બે મહિના અગાઉથી એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે, એપ્રિલ મહિનામાં ચાર ધામ યાત્રા શરૂ થઈ રહી છે. જે અંતર્ગત 25મી એપ્રિલે કેદારનાથ ધામ અને 27 એપ્રિલે બદ્રીનાથ ધામના કપાટ ખુલશે. આજથી જ ભક્તો પોતાનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. ગત વર્ષે ચાર ધામમાં ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડને જોતા આ વખતે પણ દર્શન માટે ભક્તોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
- Advertisement -
જુઓ કેવી રીતે કરી શકાશે ઓનલાઇન રજિસ્ટ્રેશન?
તમને જણાવી દઇએ કે, આ વખતે પ્રવાસન વિભાગે રજિસ્ટ્રેશનને લઈને ચાર વિકલ્પો આપ્યા છે. આ વખતે ચાર ધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ટુરિઝમ વિભાગની વેબસાઈટ registrationandtouristcare.uk.gov.in, વોટ્સએપ નંબર 8394833833, ટોલ ફ્રી નંબર 1364 અથવા તો મોબાઈલ એપ ટુરીસ્ટ કેર ઉત્તરાખંડ (Tourist Care Uttarakhand) દ્વારા પણ કરી શકાશે. સવારના 7 વાગ્યાથી જ વેબસાઈટ, ટોલ ફ્રી નંબર, વોટ્સએપ નંબર અને મોબાઈલ એપ પર રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ત્યારે ભક્તો પોતાની સુવિધા અનુસાર વેબસાઈટ, વોટ્સએપ નંબર, ટોલ ફ્રી નંબર અથવા તો મોબાઈલ એપ પર જઇને રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
ચાર ધામ યાત્રાને લઈને આજે લેવાશે મહત્વના નિર્ણયો
આજે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં ચારધામ યાત્રાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાશે અને તેમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવશે. ચાર ધામ યાત્રાની વ્યવસ્થા અને ભક્તોની સુવિધા માટે બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવી શકે છે. ગત વર્ષે ચારધામમાં ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડને જોતા આ વખતે પણ દર્શન માટે ભક્તોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
અહેવાલ અનુસાર, બદ્રીનાથ માટે દરરોજ લગભગ 18 હજાર, કેદારનાથ ધામ માટે 15 હજાર, ગંગોત્રીમાં નવ હજાર અને યમુનોત્રી માટે છ હજાર મુસાફરોની સંખ્યા નક્કી કરવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. તદુપરાંત ચારધામ યાત્રાના રૂટ પર ખાણી-પીણી અને આરોગ્યની સુવિધાઓ, કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં શ્રદ્ધાળુઓનું રોકાણ, બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં વીઆઈપી દર્શન માટે ફી નક્કી કરવી, બસોનું સંચાલન, ઘોડા ખચ્ચરનું આરોગ્ય તપાસવું, ચાલવાના માર્ગો પર હોટ સ્પોટ, પાણીની વ્યવસ્થા, શેડ, રસ્તાના સમારકામ સહિત અનેક બાબતો અંગે નિર્ણય લેવાશે.