RSSના પ્રચારકનો મુકાબલો કરશે કોંગ્રેસ સેવાદળનું ‘વિચારક’
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
કોંગ્રેસ સેવાદળ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરતાં પણ 2 વર્ષ જુનૂં સંગઠન છે. જોકે બાદમાં બદલાતા સમય સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મજબૂત થતું ગયું અને કોંગ્રેસ સેવાદળ નેપથ્યમાં જતું રહ્યું. કોંગ્રેસ સેવાદળ હવે ફરી એક વખત મુખ્ય પ્રવાહમાં પરત ફરશે અને RSSનો મુકાબલો કરશે. કોંગ્રેસ પાર્ટી પોતાના આ આગલી હરોળના પાયદળ (હરાવલ ટુકડી)ને ભવિષ્યના યુદ્ધ માટે તૈયાર કરવામાં લાગી છે. કોંગ્રેસ સેવાદળનો એક સમૃદ્ધ ઈતિહાસ રહ્યો છે પરંતુ બદલાતા સમય સાથે સેવાદળ પાસે ફક્ત પાર્ટીના કાર્યક્રમોમાં અનુશાસન જાળવવાની જવાબદારી જ રહી ગઈ. હવે પાર્ટી આ સંગઠનનું ગૌરવ ફરી પાછું લાવવાની કવાયત કરી રહી છે.
કોંગ્રેસ સેવાદળ પોતાના અનુશાસન અને જુસ્સાને લઈ પ્રખ્યાત છે.સેવાદળના સંસ્થાપક ડો. નારાયણ સુબ્બારાવ હાર્ડિકર અને RSSના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવાર બંને સહપાઠી હતા. હાર્ડિકરે 8 ડિસેમ્બર 1923ના રોજ હિન્દુસ્તાની સેવાદળના નામથી સેવાદળની રચના કરી હતી. જ્યારે હેડગેવારે 27 સપ્ટેમ્બર 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. આઝાદીની લડાઈમાં સેવાદળે પ્રમુખ ભૂમિકા ભજવી હતી. 1947માં તેનું નામ હિન્દુસ્તાની સેવાદળમાંથી બદલીને કોંગ્રેસ સેવાદળ કરી દેવામાં આવ્યું હતું. પંડિત જવાહરલાલ નેહરૂ તેના પ્રથમ અધ્યક્ષ હતા. તે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ અને સરદાર પટેલના સપનાંઓનું સંગઠન ગણાય છે.
બંને સંગઠનો વચ્ચેનો તફાવત
- Advertisement -
આઝાદી બાદ સેવાદળે શિક્ષણના પ્રસાર, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્તિ અને શાંતિ-સદ્ભાવ જેવા કામ સંભાળ્યા. જોકે ધીરે-ધીરે પાર્ટીને સેવાદળની જરૂરિયાત ઓછી લાગવા લાગી અને તે ફક્ત પાર્ટીના કાર્યક્રમોમાં વ્યવસ્થા સંભાળનારૂં સંગઠન બનીને રહી ગયું. RSS અને કોંગ્રેસ સેવાદળમાં તફાવત એ છે કે, RSS માતૃસંગઠન છે તથા વિભિન્ન સંસ્થા-સંગઠનોનું નેતૃત્વ કરે છે જ્યારે કોંગ્રેસ સેવાદળ કોંગ્રેસનું એક અગ્રિમ સંગઠન છે. RSS ભલે કોંગ્રેસ સેવાદળના 2 વર્ષ બાદ અસ્તિત્વમાં આવ્યું હોય પરંતુ હવે તે એક પાવરફુલ સંગઠન છે.


