દર અઠવાડિયે કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. તો, ‘ખાસ ખબર’ આપના સમક્ષ ટ્વિટર, વોટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમધોકાર વાયરલ થયેલી પોસ્ટ્સ પ્રસ્તુત..
– પરખ ભટ્ટ
યહ ટ્વિટ્ટર.. બડી કુત્તી ચીજ હૈ!
ભારતના ખ્યાતનામ જર્નલિસ્ટ સુચેતા દલાલની એક ટ્વિટથી આ અઠવાડિયે ટ્વિટર ‘અંબાણી-અંબાણી’ થઈ ગયું! જરાક મૂળિયામાં ઉતરું તો, સુચેતા દલાલ એ જ જર્નલિસ્ટ છે, જેણે એક સમયના શેરબજાર કિંગ કહેવાતાં હર્ષદ મહેતાનો ભાંડો ફોડ્યો હતો. 5000 કરોડ રૂપિયાનું એ દાયકાઓ જૂનું કૌભાંડબહાર લાવીને હર્ષદ મહેતાને જેલના સળિયા ગણાવનાર જર્નલિસ્ટ એટલે સુચેતા દલા. જેની બૂક પરથી થોડા મહિના પહેલાં ‘સ્કેમ 1992’ વેબસીરિઝ રીલિઝ થઈ હતી. સુચેતા દલાલ જ્યારે કોઈ ટ્વિટ કરે અથવા લેખ લખે ત્યારે કેન્દ્ર સરકારે તેના પર ધ્યાન આપવું જ પડે એવી એમની શાખ છે. આ અઠવાડિયે સુચેતા દલાલે ટ્વિટર પર રહસ્યમય અંદાજમાં એક પ્રશ્ન પૂછ્યો, ‘શું કોઈ કહી શકે કે ભારતનો સૌથી મોટો ડિફોલ્ટર કોણ છે, જેની સામે ભારત સરકારે કોઈ કાયદાકીય પગલાં નથી ઉઠાવ્યા?’ બસ, ખેલ ખલાસ. આખું ટ્વિટર હિલોળે ચડ્યું. સોશિયલ મીડિયા યુઝર્સ જાતજાતની સંભાવના સેવવા લાગ્યા. એમાં ઝપટે ચડી ગયા, બિચારા અનિલ અંબાણી! ઘણા ખરા લોકોએ ‘અનિલ અંબાણી’ને જ સુચેતા દલાલ કલ્પિત ડિફોલ્ટર ધારીને ટોપ ટ્રેન્ડિંગ બનાવ્યા.
યશરાજ મુખાતેનો ‘ટોમ્મી’!
બરાબર વિચારો છો તમે! ગોપી બહુ યાદ છે ને? રસોડે મેં કૌન થા? હા, 2020ના એ સુપરહિટ સોંગ સર્જક યશરાજ મુખાતે પાછલા આઠ દિવસોથી સતત ટ્રેન્ડ કરી રહ્યા છે. આ વખતે ગીતના શબ્દો છે: ‘ત્વાડા કુત્તા ટોમ્મી, સાડા કુત્તા કુત્તા?’ અર્થાત ‘તારો કૂતરો ટોમ્મી, અને અમારો કૂતરો એટલે કૂતરો.. એમ?’ સલમાન ખાન જે રિયાલિટી શોનો હોસ્ટ છે એ બિગ-બોસની જૂની સિઝનની એક સ્પર્ધક શહેનાઝ ગિલ સોફા પર બેઠી બેઠી આ સંવાદ બોલે છે. ‘ક્યા કરું મૈં, મર જાઉં? મેરી કોઈ ફીલિંગ્સ નહીં હૈ? તુમ્હારી ફીલિંગ તુમ્હારી. ત્વાડા કુત્તા ટોમ્મી, સાડા કુત્તા કુતા?’ આખું સોશિયલ મીડિયા યશરાજ મુખાતેના આ નવા ગીત પાછળ એટલું ઘેલું થયું કે ગણતરીના કલાકોની અંદર તેણે એક કરોડ વ્યુઝ પાર કરી નાંખ્યા. વત્તા, સિલેબ્રિટીઓએ એના પર વીડિયો બનાવ્યા એ અલગથી! ઘણી વખત સાલું આશ્ચર્ય થાય, નહીં? ભારતમાં કેવા કેવા કોન્ટેન્ટ રાતોરાત વાયરલ થઈ જાય છે!
- Advertisement -
રાહુલ બબુઆ, કિધર ચલે?
કોંગ્રેસપક્ષ અને રાહુલ ગાંધી તરફથી ભારતની જનતાને નિયમિતપણે અવનવું કોન્ટેન્ટ મળી રહે છે. આજ વખતે એમણે ફરી સાબિત કરી આપ્યું કે, ભારતના નાગરિકોએ કોંગ્રેસના હાથમાં દેશની ધુરા ન સોંપીને સમજદારીપૂર્વકનો નિર્ણય કર્યો છે. બન્યું એવું કે કોંગ્રેસ સ્થાપના દિવસ પર રાહુલ બાબા ગેરહાજર હતાં. પછીથી ખબર પડી કે એ તો ઇટાલી પહોંચી ગયા છે! દિલ્હીમાં આંદોલન કરી રહેલાં ખેડૂતો પણ રાહુલ બાબાના આ પગલાંથી નારાજ થઈને બોલ્યા કે, ‘કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી તરફથી આ સમય પર અમને સૌથી વધુ સપોર્ટની જરૂર છે, ત્યારે અમે એકલા પડી ગયા છીએ.’ વળી, કોંગ્રેસ સ્થાપના દિવસ પર એના સૂત્રધારની ગેરહાજરી બિલ્કુલ યોગ્ય નથી. એમના જ પક્ષના લોકોએ બાદમાં સફાઈ આપતાં કહ્યું, રાહુલ બાબા પોતાના અંગત કામ માટે ઇટાલી ગયા છે, બહુ જલ્દી પાછા આવી જશે. પણ ભારતીયોને તો મીમ્સ અને જોક્સ બનાવવા માટેનું બહાનું મળી ગયું. બિચારા રાહુલ બાબા ભયંકર ટ્રોલ થયા. ઇટાલી બેઠા બેઠા વિચારતા હશે, ‘સાલું કયા કાળ ચોઘડિયે આ વેકેશન લેવાનો નિર્ણય બનાવ્યો!?’
અનિલ કપૂરના ગળે ગાળિયો!
નેટફ્લિક્સ પર આ અઠવાડિયે એક સરસ એક્સપેરિમેન્ટલ ફિલ્મ રીલિઝ થઈ: એ.કે. વર્સેસ એ.કે. (અનુરાગ કશ્યપ વર્સેસ અનિલ કપૂર)! તદ્દન નવા પ્રકારની અને હટકે કહી શકાય એવી આ ફિલ્મ રીલિઝ થતાં પહેલાં વિવાદોમાં ફસાઈ ગઈ. તેના ટ્રેલરમાં અનિલ કપૂર એરફોર્સનો યુનિફોર્મ પહેરીને ડ્રામેબાજી અને મારામારી કરતો નજરે ચડે છે. આ જોઈને ભારતીયોનું દિલ ફરી પાછું હર્ટ થઈ ગયું. અનિલ કપૂરની આ ફિલ્મ બોયકોટ્ટ કરવા અને તેના પર રોક લગાવવાની માંગ ઉઠવા લાગી. એરફોર્સ દ્વારા પણ આ મામલે ખુલાસો કરવાની ડિમાન્ડ આવી. નાછૂટકે અનિલ કપૂરે સ્ક્રીન પર બે હાથ જોડીને ભારતીયોને કહ્યું કે, ‘અરે બાપલિયા, પહેલાં ફિલ્મ તો જુઓ, પછી વાદ-વિવાદ ઉભો કરજો. હું મારા એરફોર્સના ભાઈઓનું ખૂન સન્માન કરું છું, એમના માટે મને ગર્વ છે. વળી, આ ફિલ્મમાં હું કોઈ એરફોર્સ ઑફિસરનો કિરદાર નથી નિભાવી રહ્યો.’ ત્યારે છેક એ વિવાદ ટાઢો પડ્યો અને ફિલ્મ રીલિઝ થયા બાદ લોકોને ધરપત થઈ.
બ્રિટનની એક્ઝિટ!
2016ની સાલથી આખું બ્રિટન જે મુદ્દે ધણધણતું હતું, એ મુદ્દો એટલે: બ્રેક્ઝિટ! જે મૂળે બે શબ્દ ‘બ્રિટન’ અને ’એક્ઝિટ’ એવા બે શબ્દોનો બનેલો સંધિશબ્દ છે. બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન થેરેસા મે બ્રેક્ઝિટનો મુદ્દો ઉકેલવામાં નિષ્ફળ પૂરવાર થયા હતાં. ઘણા વર્ષોથી બ્રિટનની ડિમાન્ડ એવી હતી કે, યુરોપિયન સંઘમાંથી એમને મુક્તિ મળે. યુરોપિયન સંઘમાં કુલ 27 દેશોનો સમાવેશ થાય છે, જેના નાગરિકોને યુરોપિયન દેશોમાં ફરવા માટે કે નોકરી મેળવવા માટે કોઈ વિઝા નથી લેવા પડતાં. આથી બ્રિટનના નાગરિકોની ફરિયાદ હતી કે યુરોપના બાકીના દેશોના લોકો બ્રિટન આવીને એમના હિસ્સાની નોકરીઓ છીનવી લે છે. આથી બ્રિટન પોતે યુરોપિયન સંઘમાંથી મુક્ત થવા માંગતું હતું. બ્રિટનના હાલના વડાપ્રધાન બોરિસ જોહ્નસને શપથ વખતે જ ત્યાંના નાગરિકોને વાયદો કર્યો હતો કે 2019ના ઑક્ટોબર મહિના પહેલાં બ્રેક્ઝિટ ડીલ ફાઇનલ થઈ ગઈ હશે. પરંતુ એમાં મોડું થયું. છેવટે આ અઠવાડિયે બોરિસ જોહ્નસને ટ્વિટર પર બ્રેક્ઝિટ ડીલની જાહેરાત કરી, જેના કારણે સોશિયલ મીડિયા પર વર્લ્ડવાઇડ બ્રેક્ઝિટ ડીલની ચર્ચા ચાલતી રહી.