નેપાળમાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીના ભયાનક પૂરને કારણે અત્યાર સુધીમાં ૯૫૦ લોકોનાં મોત થયા છે, જ્યારે ૪,૨૦૦થી વધુ લોકો ગુમ છે. વહીવટીતંત્ર સામે મળેલા મૃતદેહોની ઓળખ અને સુરક્ષિત રાખવાનો મોટો પડકાર છે. ચિતવનના દેવઘાટ જંગલમાં અજાણ્યા મૃતદેહોને દફનાવવા માટે સેંકડો કબરો તૈયાર કરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં ૧૯૬ મૃતદેહો દફનાવવામાં આવ્યા છે. લાંબા સમય સુધી પાણીમાં રહેવાથી ઘણા મૃતદેહો ખરાબ થઈ ગયા છે, જેના કારણે ઓળખ મુશ્કેલ બની રહી છે. દરેક મૃતદેહને ઓળખ નંબર આપીને તેનો રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે. બાદમાં ઉગઅ તપાસ દ્વારા મૃતદેહોની ઓળખ કરીને પરિવારજનોને સોંપવાનો પ્રયાસ કરવામાં આવશે. હજારો લોકો હજુ પણ ગુમ છે, તેથી આ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે. નેપાળમાં ભયાનક પૂર પછી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ અભિયાન સતત ચાલુ છે. ત્રિશૂલી-૩અ સહિત અનેક પ્રોજેકટ્સની સુરંગોના મુખ પર જમા થયેલો કાટમાળ અને કાદવ હટાવીને અંદર પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બચાવ ટીમોમાં નેપાળના સુરક્ષા દળોની સાથે ભારત અને ચીનના નિષ્ણાતો પણ સામેલ છે. ટીમો સુરંગોની અંદર હાજર લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ અત્યાર સુધી કોઈ જવાબ મળ્યો નથી. પૂર પછી સુરંગોના રસ્તા કાટમાળથી બંધ થઈ ગયા છે. આવા સમયે ભારે મશીનો અને અન્ય ઉપકરણોની મદદથી રસ્તો ખોલવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સદગુરુ જગ્ગી વાસુદેવે નેપાળમાં પૂર પીડિતોની મદદ માટે પ્રધાનમંત્રી આપત્તિ રાહત કોષમાં ૧ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમણે રવિવારે કાઠમંડુમાં ‘ઇન સોલિડેરિટી વિથ નેપાળ’ કાર્યક્રમમાં આ જાહેરાત કરી. સદગુરુએ કહ્યું કે આટલી મોટી આપત્તિનો સામનો કરવાની જવાબદારી એકલા નેપાળની ન હોવી જોઈએ. તેમણે હિમાલયી ક્ષેત્રમાં આપત્તિ વ્યવસ્થાપન અને રાહત કાર્યો માટે ભારત, ચીન, પાકિસ્તાન, નેપાળ અને ભૂટાનનું સંયુક્ત હિમાલયી બોર્ડ બનાવવાનું સૂચન પણ કર્યું.




