સોનાના ભાવમાં જોવા મળશે જંગી ઘટાડો
24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ.15000 સુધીનો ધરખમ ઘટાડો થવાની સંભાવના
- Advertisement -
કસ્ટમ ડયુટી ઘટવાથી સોનાની દાણચોરી અને ગેરકાયદેસર વેપાર પર લાગશે લગામ
ભારતીય બુલિયન બજાર અને સોનું ખરીદનારાઓ માટે મોટા સમાચાર છે. સરકાર સોના પર લાગતી કસ્ટમ ઇમ્પોર્ટ ડયુટીને ૧૫% થી ઘટાડીને ૬% કરવા પર વિચાર કરી રહી છે. જો આ નિર્ણય લાગુ થાય છે, તો દેશમાં સોનાની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. મે ૨૦૨૬માં સરકારે વિદેશી મુદ્રા ભંડાર પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને સોના પરની આયાત શુલ્ક વધારીને ૧૫% કરી દીધી હતી. વિશ્લેષકો અનુસાર, આ ડયુટીમાં ઘટાડાની સીધી અસર સ્થાનિક બજારમાં સોનાના ભાવ અને આગામી તહેવારો-લગ્નની સિઝનમાં જવેલરીની માગ પર પડશે. ભારત તેની સોનાની જરૂરિયાતો પૂરી કરવા માટે વાર્ષિક ૭૦૦ થી ૮૦૦ ટન સોનું વિદેશોમાંથી આયાત કરે છે. જ્યારે ઇમ્પોર્ટ ડયુટી ૧૫% હોય છે, ત્યારે તે સ્થાનિક બજારમાં સોના માટે લઘુત્તમ ભાવ નક્કી કરે છે. જો ડયુટી ૯% ઘટીને ૬% પર આવે છે, તો આંતરરાષ્ટ્રીય બજાર અને ભારતીય બજાર વચ્ચેનો તફાવત ઘણો ઓછો થઈ જશે. તેનાથી સ્થાનિક બુલિયન બજારોમાં સોનાના લેન્ડેડ કોસ્ટમાં સીધો ઘટાડો થશે, જેનો ફાયદો સીધો રિટેલ ખરીદદારોને મળશે.
ધારો કે દિલ્હીમાં ૨૪ કેરેટ સોનાનાં ભાવ ₹૧,૬૩,૮૯૦ પ્રતિ ૧૦ ગ્રામ પર જો ઇમ્પોર્ટ ડયુટી ૧૫% થી ઘટીને ૬% એટલે કે ૯% નો સીધો ઘટાડો થાય છે, તો તેના ભાવમાં સીધો ₹૧૪,૭૫૦ નો મોટો ઘટાડો આવશે અને તે ઘટીને લગભગ ₹૧,૪૯,૧૪૦ પ્રતિ ૧૦ ગ્રામ પર આવી જશે. જ્યારે ૨૨ કેરેટ સોનાનો ભાવ ₹૧,૫૦, ૨૪૦ પ્રતિ ૧૦ ગ્રામ થી ₹૧૩, ૫૨૨ સસ્તો થઈને લગભગ ₹૧,૩૬,૭૧૮ પ્રતિ ૧૦ ગ્રામ થઈ જશે. રિપોર્ટ અનુસાર, વધારે ઇમ્પોર્ટ ડ્યુટી (૧૫%) નું સૌથી મોટું નુકસાન એ છે કે તેનાથી સોનાની દાણચોરી અને ગેરકાયદેસર માર્ગોથી આવતા સોનાને પ્રોત્સાહન મળે છે. ડ્યુટી ૬% થવાથી કાયદેસર રીતે આયાત કરાયેલા સોના અને ગેરકાયદેસર સોના વચ્ચેનો ભાવ તફાવત સમાપ્ત થઈ જશે. તેનાથી બુલિયન ટ્રેડર્સ અને જવેલર્સ ઔપચારિક ચેનલો દ્વારા સોનું ખરીદવા માટે પ્રોત્સાહિત થશે, જેનાથી સરકારના મહેસૂલ સંગ્રહમાં પણ સુધારો થશે.
- Advertisement -
ભારતીય સંસ્કૃતિમાં લગ્ન-પ્રસંગો અને તહેવારો દરમિયાન સોનાની ખરીદી સૌથી વધુ થાય છે. સોનાના ભાવ ઘટવાથી મધ્યમ વર્ગના પરિવારો અને રિટેલ ખરીદદારોનું બજેટ સુધરશે, જેનાથી જવેલરીની માગમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. બુલિયન વેપારીઓ અને રિટેલ જવેલર્સ નવી આયાત ખર્ચ મુજબ તેમના મેકિંગ ચાર્જિસ અને રિટેલ ભાવમાં ઝડપથી ફેરફાર કરશે. ખાસ કરીને ટિયર-૨ અને ટિયર-૩ શહેરોમાં તેની અસર સૌથી ઝડપી દેખાશે.




