રાજકોટમાં ઓલ ઈન્ડિયા આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રવેશ પરીક્ષામાં ટેકનિકલ ખામીનો વિવાદ
વિદ્યાર્થી પાંચ મિનિટ મોડો પહોંચે તો નિયમ, તંત્રની બે કલાકની ભૂલનું શું?
- Advertisement -
રોહિતસિંહ રાજપૂતની કલેક્ટરને નિષ્પક્ષ અહેવાલ મોકલી જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ
રાજકોટમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા તા. 22 ઓગસ્ટે યોજાયેલી ઓલ ઈન્ડિયા આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રવેશ પરીક્ષા (AIAPGET) દરમિયાન એકથી વધુ પરીક્ષા કેન્દ્રો પર ટેકનિકલ અવ્યવસ્થાની ફરિયાદો સામે
આવતા પરીક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. આ સમગ્ર મામલે રોહિતસિંહ રાજપૂતે રાજકોટ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને ન્યાય આપવા માંગ કરી
છે. રજૂઆત મુજબ, રાજકોટના મવડી ચોકડી ખાતે આવેલા સાંદીપની ઇન્સ્ટિટ્યૂટ પરીક્ષા કેન્દ્ર પર આશરે 400 વિદ્યાર્થીઓ AIAPGETની પરીક્ષા આપવા પહોંચ્યા હતા. તે દરમિયાન આશરે 15 વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે
કોમ્પ્યુટર ઉપલબ્ધ ન થયા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે 5થી 7 જેટલા કોમ્પ્યુટર શરૂ જ ન થયા હોવાની પણ વિદ્યાર્થીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી. પરિણામે આશરે 22 વિદ્યાર્થીઓની પરીક્ષા નિયત સમયે
શરૂ થઈ શકી નહોતી અને નિયમિત પરીક્ષા પૂર્ણ થયા બાદ આ વિદ્યાર્થીઓનું પેપર લેવામાં આવ્યું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
માત્ર કોમ્પ્યુટર ઉપલબ્ધ ન હોવા અથવા શરૂ ન થવા પૂરતી જ સમસ્યા મર્યાદિત રહી ન હતી. સમયસર પરીક્ષા આપી રહેલા કેટલાક વિદ્યાર્થીઓએ પણ કોમ્પ્યુટરનાં માઉસ યોગ્ય રીતે કામ ન કરતા હોવાની ફરિયાદ કરી હતી.
મહત્વની રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ પરીક્ષા દરમિયાન આવી ટેકનિકલ ખામીઓ સર્જાતા ઉમેદવારોમાં ગભરાટ અને માનસિક તણાવની સ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રોહિતસિંહ રાજપૂતે માધાપર ચોકડી નજીક
આવેલા વેસ્ટગેટ-2 બિલ્ડીંગ સ્થિત ફ્યૂચર ઇન્ફોટેક પરીક્ષા કેન્દ્ર અંગે પણ રજૂઆત કરી છે. અહીં પરીક્ષા દરમિયાન સર્વર ડાઉનની સમસ્યા સર્જાઈ હોવાની ફરિયાદો મળી હોવાનું જણાવાયું છે. રાજકોટના અન્ય પરીક્ષા કેન્દ્રો પર
પણ વિવિધ પ્રકારની ટેકનિકલ ખામીઓ અંગે વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદો કરવામાં આવી રહી હોવાનો દાવો રજૂઆતમાં કરવામાં આવ્યો છે.
- Advertisement -
સમગ્ર ઘટનાને પગલે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે પરીક્ષા શરૂ થાય તે પહેલાં સંબંધિત કેન્દ્રો પર કોમ્પ્યુટર, માઉસ, સર્વર, નેટવર્ક સહિતની તમામ ટેકનિકલ વ્યવસ્થાનું યોગ્ય રીતે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું કે નહીં?
જો ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું તો પરીક્ષા શરૂ થયા બાદ એકસાથે આ પ્રકારની સમસ્યાઓ કેવી રીતે સર્જાઈ તે અંગે પણ તપાસ જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. મેડિકલ ક્ષેત્રમાં પોસ્ટગ્રેજ્યુએટ પ્રવેશ મેળવવા માટે
વિદ્યાર્થીઓ મહિનાઓ નહીં પરંતુ વર્ષો સુધી મહેનત કરતા હોય છે. આવી સ્થિતિમાં પરીક્ષાના દિવસે ટેકનિકલ ખામીના કારણે કોઈ વિદ્યાર્થીને લાંબા સમય સુધી રાહ જોવી પડે અથવા બે કલાક જેટલા વિલંબ બાદ પેપર આપવું
પડે તો તેના માનસિક સ્વાસ્થ્ય અને પરીક્ષા પ્રદર્શન પર તેની અસર થઈ શકે છે. તેથી આવી ખામીથી કોઈ વિદ્યાર્થીના ભવિષ્યને નુકસાન થાય તો તેની જવાબદારી કોની રહેશે તે અંગે પણ જવાબ માંગવામાં આવ્યો છે.
રજૂઆતમાં એક અત્યંત ગંભીર અને માનવિય મુદ્દા તરફ પણ જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોરવામાં આવ્યું છે. રોહિતસિંહ રાજપૂતના જણાવ્યા મુજબ, સાંદીપની ઇન્સ્ટિટ્યૂટ ખાતે એક વાલી, જેઓ પોતે સરકારી કર્મચારી છે, તેમણે
જણાવ્યું હતું કે ગામડામાંથી આવેલી એક વિદ્યાર્થીની માત્ર પાંચ મિનિટ મોડી પહોંચતા તેને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો અને તે વિદ્યાર્થીની રડતી હતી. આ ઘટનાને આધારે રાજપૂતે સવાલ ઉઠાવ્યો છે કે
ઉમેદવાર માત્ર પાંચ મિનિટ મોડો પહોંચે ત્યારે નિયમોના નામે આટલી કડકાઈ રાખવામાં આવે છે, તો બીજી તરફ પરીક્ષા કેન્દ્રની ટેકનિકલ ખામીના કારણે આશરે 22 વિદ્યાર્થીઓને લગભગ બે કલાક મોડું પેપર લેવામાં આવે
ત્યારે જવાબદાર તંત્ર સામે સમાન કડકાઈ કેમ દાખવવામાં આવતી નથી?
રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે AIAPGET જેવી રાષ્ટ્રીય કક્ષાની મહત્વપૂર્ણ પ્રવેશ પરીક્ષામાં ઉમેદવારોનું ભવિષ્ય જોડાયેલું હોય છે. પરીક્ષા દરમિયાન કોમ્પ્યુટર, માઉસ અથવા સર્વર જેવી ટેકનિકલ ખામી સર્જાય અને તેના
કારણે પરીક્ષામાં વિક્ષેપ પડે તો ઉમેદવારને અનાવશ્યક માનસિક દબાણમાંથી પસાર થવું પડે છે. પરીક્ષાના સમય અને વાતાવરણમાં થયેલા આવા ફેરફારની અસર ઉમેદવારના પ્રદર્શન પર પણ પડી શકે છે. NTA દ્વારા અગાઉ
યોજાયેલી વિવિધ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ, ખાસ કરીને NEET-UGને લઈને પણ સમયાંતરે પરીક્ષા વ્યવસ્થા, ટેકનિકલ મુદ્દાઓ અને વહીવટી પ્રક્રિયા અંગે સવાલો ઊભા થયા છે. આવા સંદર્ભમાં રાજકોટમાં એકથી વધુ
AIAPGET પરીક્ષા કેન્દ્રો પર કોમ્પ્યુટર, માઉસ અને સર્વર સંબંધિત ખામીઓની ફરિયાદોને માત્ર સામાન્ય ટેકનિકલ સમસ્યા ગણવાને બદલે સમગ્ર વ્યવસ્થાની તપાસ કરવી જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
રોહિતસિંહ રાજપૂતે જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરી છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. સંબંધિત પરીક્ષા કેન્દ્રોની ટેકનિકલ ક્ષમતા, NTAને આપવામાં આવેલી માહિતી અને પરીક્ષા પહેલાં કરવામાં આવેલી
ટેકનિકલ ચકાસણી અંગેના રેકોર્ડની તપાસ કરવામાં આવે. સાથે જ પરીક્ષા દરમિયાન કોમ્પ્યુટર, માઉસ અને સર્વર ડાઉન સહિતની સમસ્યાઓ અંગે NTA પાસેથી વિગતવાર રિપોર્ટ મંગાવવામાં આવે તેમજ પરીક્ષા કેન્દ્રોના
CCTV ફૂટેજ અને અન્ય ઉપલબ્ધ ટેકનિકલ રેકોર્ડની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
રજૂઆતમાં ખાસ કરીને એવી માંગ કરવામાં આવી છે કે ટેકનિકલ ખામીઓના કારણે અસરગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓના પરિણામ પર કોઈ વિપરીત અસર ન પડે તે માટે NTA સમક્ષ યોગ્ય રાહત અને ન્યાયસંગત નિર્ણય માટે
જિલ્લા તંત્ર દ્વારા ભલામણ કરવામાં આવે. ઉમેદવારોની વર્ષોની મહેનત પરીક્ષા કેન્દ્રની ટેકનિકલ બેદરકારીના કારણે જોખમાય નહીં અને જો કોઈ સ્તરે બેદરકારી સાબિત થાય તો જવાબદારી નક્કી કરી જવાબદાર સામે
કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.




