પ્રતિમાને પુષ્પાર્પણ કરી રાષ્ટ્ર નિર્માણમાં રાજીવ ગાંધીના યોગદાનને યાદ કર્યું
ભારતના પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના
આગેવાનો અને કાર્યકર્તાઓએ રાજીવ ગાંધીના રાષ્ટ્ર નિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમના વિચારોને અનુસરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સ્વ. રાજીવ ગાંધી આધુનિક ભારતના શિલ્પી તરીકે ઓળખાય છે. દેશને 21મી સદી તરફ આગળ ધપાવવાના તેમના દૂરંદેશી
વિચારો અને નિર્ણયો આજે પણ ભારતના વિકાસમાં માર્ગદર્શક બની રહ્યા છે. ટેલિકોમ ક્રાંતિ, કમ્પ્યુટરાઇઝેશન, માહિતી ટેકનોલોજીનો વિકાસ, પંચાયતી રાજ સંસ્થાઓને વધુ સશક્ત બનાવવાના પ્રયાસો તેમજ યુવાઓને
રાજકારણ અને રાષ્ટ્ર નિર્માણની મુખ્યધારામાં જોડવાના તેમના પ્રયાસો ઐતિહાસિક રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજીવ ગાંધી હંમેશા દેશની એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાના પક્ષમાં રહ્યા હતા. સામાન્ય માણસના જીવનમાં પરિવર્તન લાવવા અને ભારતને આધુનિક, પ્રગતિશીલ તથા આત્મનિર્ભર
બનાવવા માટે તેમણે અનેક મહત્વપૂર્ણ પહેલ કરી હતી. તેમના વિચારો અને કાર્ય આજે પણ દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.રાજીવ ગાંધી યુવાશક્તિને દેશના વિકાસની મુખ્યધારામાં જોડવા માટે સતત પ્રયત્નશીલ
રહ્યા હતા. 18 વર્ષની ઉંમરે મતાધિકાર આપવાનો નિર્ણય હોય કે પંચાયતી રાજ વ્યવસ્થાને મજબૂત બનાવવાની દિશામાં કરાયેલા પ્રયાસો હોય, તેમના નિર્ણયો દેશની લોકશાહી વ્યવસ્થાને વધુ સશક્ત બનાવનારા રહ્યા છે.
આ પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ રાજીવ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા તેમજ તેમના આદર્શોને જનજન સુધી પહોંચાડવા અને દેશના બંધારણીય મૂલ્યોના રક્ષણ માટે
સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, કોર્પોરેટરઓ, વિવિધ ફ્રન્ટલ સેલ અને વિભાગોના આગેવાનો તેમજ ડૉ.રાજદીપસિંહ જાડેજા સહિત ડૉ.હેમાંગ વસાવડા, જસવંતસિંહ ભટ્ટી, ડી.પી. મકવાણા, વશરામભાઇ
સાગઠીયા, અતુલ રાજાણી, રહીમ સોરા, ગાયત્રીબા વાઘેલા, વૈશાલી શીંદે, દિપ્તીબેન સોલંકી, હેમાગીબેન, અર્જુનભાઈ ચોહાણ, ઈબ્રાહિમભાઈ સોરા, હરપાલસિંહ જાડેજા, કૃષ્ણદત રાવલ, જોનભાઈ, માવજીભાઈ ડોડીયા,
અજીતભાઈ વાંક, જીતુભાઈ રાઠોડ, જીતુભાઈ ઠાકર, યુનુસભાઈ, જલ્પેશ વાઘેલા, જગદીશસિંહ જાડેજા, કેતનભાઈ તાળાં, યુનુસભાઈ, જુણેજા, સુરેશભાઈ ગેરીયા, અમિતભાઈ ઠાકર, મનસુખભાઈ જાદવર, ડૉ.ભારત કોયાણી,
કમલેશભાઈ, નરેશ પરમાર, અશોકભાઈ વાળા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.




