અમરેલી ખાતે ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી દરમિયાન મુખ્યમંત્રીની મહત્વની જાહેરાત
આંગણવાડીના બાળકો માટે પૂરક પોષણ આહારના દરમાં ૬૭%નો જંગી વધારો : હવે પ્રતિ બાળક દરરોજ રૂ. ૫.૧૦ને બદલે રૂ. ૮.૫૦ ફાળવવામાં આવશે
- Advertisement -
વિદેશ અભ્યાસ અર્થે જતાં બિનઅનામત વર્ગના યુવાનોને લોન માટે કૌટુંબિક આવકમર્યાદા રૂ. ૬ લાખથી વધારીને રૂ. ૧૦ લાખ કરાઈ
રાજ્યના રોડ નેટવર્કને વધુ સુરક્ષિત બનાવવા રૂ. ૩૪૨૮ કરોડના ખર્ચે ૨૧૦ કિમીના રસ્તાનું નવીનીકરણ થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની ઊજવણીના ગરિમાપૂર્ણ સમારોહમાં તિરંગાને સલામી આપી નાગરિકોને સંબોધિત કરતા ગૌરવસહ જણાવ્યું હતુ કે ગરીબો, યુવાનો, અન્નદાતા કિસાનો અને નારીશક્તિ એ વિકસિત ગુજરાતના ચાર મુખ્ય સ્તંભ છે. રાજ્યમાં સ્ટાર્ટઅપ પોલિસી, ઈન્ક્યુબેશન સેન્ટરો અને કૌશલ્ય વિકાસ દ્વારા યુવાશક્તિને રોજગારના નવા અવસરો પૂરા પાડવામાં આવી રહ્યા છે. કિસાનોને દિવસે વીજળી, પર્યાપ્ત પાણી અને ઈ-નામ જેવી ડિજિટલ સુવિધાઓથી સશક્ત કરાયા છે. આ ઉપરાંત, મહિલા સશક્તિકરણને વેગ આપીને અર્થતંત્રમાં નારીશક્તિની ભાગીદારી ઉત્તરોત્તર વધારવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. પર્યાવરણ સંરક્ષણ માટે ‘એક પેડ મા કે નામ’ અને ‘મિશન લાઈફ’ જેવા અભિયાનો દ્વારા ગુજરાત ગ્રીન ગ્રોથ તરફ અગ્રેસર છે.
- Advertisement -
રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં રહેણાંક આવાસ પૂરા પાડવા અંગેના મહત્વપૂર્ણ નિર્ણય વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં વસતા પાત્રતા ધરાવતા કુટુંબોની વધતી વસતી અને આવાસની જરૂરિયાતોને ધ્યાને રાખીને, જો ગ્રામ પંચાયત પાસે ગામતળ, સરકારી પડતર કે ખરાબાની પૂરતી જમીન ઉપલબ્ધ નહીં હોય તો રાજ્ય સરકાર ખાનગી જમીન ખરીદીને પણ પાત્ર પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવશે. નાગરિકોને સુરક્ષિત, સુવિધા સભર અને ગુણવત્તાયુક્ત રોડ નેટવર્ક ઉપલબ્ધ કરાવવાની પ્રાથમિકતા સાથે માર્ગ અને મકાન વિભાગ હેઠળના રાજ્યના જુદા જુદા ૨૧૪ રસ્તાઓના ૨૧૦ કિલોમીટરના નવીનીકરણ અને સુધારણા માટે રૂ.૩,૪૨૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યની આંગણવાડીઓમાં આવતા ૩ થી ૬ વર્ષના ૧૬.૭૫ લાખથી વધુ બાળકો માટે એક અગત્યની જાહેરાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ બાળકોને વર્ષમાં ૩૦૦ દિવસ અપાતા પૂરક પોષણ રૂપે અપાતા ગરમ નાસ્તા માટે સ્થાનિક બજારમાંથી ખરીદીના દરમાં ૬૭ ટકાનો જંગી વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સ્થાનિક ખરીદી માટે રોજ બાળક દીઠ અપાતા રૂ. ૫.૧૦ ના બદલે હવે પ્રતિ બાળક રૂ. ૮.૫૦ આપવામાં આવશે. આ બાળકલ્યાણકારી નિર્ણયના અમલ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૭૩ કરોડની વધારાની ફાળવણી કરવામાં આવી છે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા રાજ્યના યુવાનોને આર્થિક મુશ્કેલી ન પડે તે હેતુથી ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અપાતી વિદેશ અભ્યાસ લોન યોજનામાં કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬ લાખથી વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવી છે. આ નિર્ણયથી બિનઅનામત વર્ગના વધુ યુવાનોને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઉત્તમ તકો પ્રાપ્ત થશે.
કાર્યક્રમની શરૂઆતમાં દેશભક્તિ પણ માહોલમાં મુખ્યમંત્રીએ ધ્વજ ફરકાવ્યો ત્યારે આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા, પોલીસ બેન્ડની કર્ણપ્રિય સુરાવલી અને હર્ષ નાદથી સમગ્ર પરેડ ગ્રાઉન્ડનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશપ્રેમથી ભરપૂર વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરાઈ હતી. વિદ્યાસભાના વિદ્યાર્થીઓ દ્વારા અમરેલીના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ગૌરવને ઉજાગર કરતી ‘મારું અમરેલી’ થીમ આધારિત મનમોહક સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. જ્યારે શક્તિ સેવા કેન્દ્ર, અંબાજી દ્વારા ગુજરાતનું પ્રથમ આદિજાતિ બાલિકાઓનું બેગપાઇપર બેન્ડની પ્રસ્તુતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.કાર્યક્રમમાં પોલીસ જવાનો દ્વારા યોગ નિદર્શન, નારી શક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ, મહિલા રાયફલ ડ્રીલ, મોટરસાયકલ સ્ટંટ શો, ડોગ શો અને અશ્વ શો સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પોલીસ જવાનોની શિસ્ત, સાહસ, કૌશલ્ય અને તાલીમનું પ્રત્યક્ષ નિદર્શન કરાવતા આ કાર્યક્રમોએ ઉપસ્થિત જનમેદનીમાં જબરદસ્ત રોમાંચ અને ઉત્સાહ જગાવ્યો હતો. ઉપસ્થિત બાળકો અને નાગરિકોએ તાળીઓ અને હર્ષનાદથી આ પ્રસ્તુતિઓને વધાવી લીધી હતી. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ સમયે બહોળી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ પણ હર્ષભેર મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના સમાપન પ્રસંગે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.




