ચાંદો ઉગ્યો ચોકમાં પુસ્તક દ્વારા શાહબુદ્દિન રાઠોડની સાહિત્ય યાત્રા અને જીંદગીના કરુણ પ્રસંગોની ભીતરની કથા
પરેશ રાજગોર
- Advertisement -
એક શિક્ષકે વિદ્યાર્થીઓને અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વ્યકિત ને મદદ કરવી અને તેના વિશે વર્ગમાં કહેવું તેમ સુચવ્યું. નિશ્વિત દિવસે શિક્ષકે આ અંગે પૂછતાં પ્રથમ વિદ્યાર્થી એ એક વૃદ્ધાને રસ્તો ક્રોસ કરાવ્યાનું કહ્યું. શિક્ષકે તેને શાબાશી આપી. બીજાને પૂછયું. બીજા એ પણ વૃદ્ધાને રસ્તા ક્રોસ કરાવ્યાનું કહ્યું! શિક્ષકે મનમાં માન્યું કે યોગાનુયોગ હોય શકે પરંતુ ત્યાર બાદ ત્રીજા, ચોથા, અને પાંચમા એ પણ આજ જવાબ આપતાં એક સરખો વિચાર શી રીતે આવ્યો? પાંચેય બોલી ઉઠ્યા કે એને ક્યાં રસ્તો પસાર કરવો તો, આ તો તમે સેવા કરવાનું કીધું હતું એટલે અમે એને હાથ-પગ અને માથું પકડી પરાણે રસ્તો ક્રોસ કરાવી આવ્યા!!
અત્યારે આપણા સમાજમાં સેવા કરવા વાળા આવા વધુ છે. રજનીશજીની માર્મિક હાસ્ય જગાવતી આ વાત સંભળી. આવા જ એક માર્મિક હાસ્યના ઊંચા દરજ્જાના સર્જક અને મોં પર સ્વસ્થતા રાખી આપણને પેટ પકડી હસાવી દે, એવા વક્તા, પ્રસિદ્ધ હાસ્યકાર શાહબુદ્દિન રાઠોડની યાદ આવે. ડાયરા અને કેસેટો દ્વારા એને ન ઓળખતો હોય એવો ગુજરાતી મળવો મુશ્કેલ. એમને સાંભળતા જ સમજાઈ જાય કે આ કોઈ નાના-મોટા જોક્સ કહેનાર હાસ્યકલાકાર નહિ પણ વિશ્વાસસાહિત્યના ભરપુર વાચક અને કેટલીય બારીક અને માર્મિક તત્વજ્ઞાનથી સભર વાતો પોતાના વકતવ્યમાં વણી લેનાર સંસ્કારી કલાકાર છે. આવો તેમનો પરિચય ‘ચાંદો ઉગ્યો ચોકમાં’ ની પ્રસ્તાવનામાં સ્વ. સુરેશ દલાલ આપે છે અને જણાવે છે કે સંગીતકાર કલ્યાણજીભાઈ પાસે રેર સેન્સ ઓફ હ્યુમર છે. (હતી) તે ખુદ અનેકને હસાવતા પણ તેમને પહેલીવાર બેફામ અને ચિક્કાર હસતાં શાહબેદીન રાઠોડના કાર્યક્રમમાં જોયેલાં. ‘ચાંદો ઉગ્યો ચોકમાં’ શાહબુદીન રાઠોડના નિબંધોનો સંગ્રહ છે. જેમાંનાં નિબંધો તમને ઝાઝુ હસાવશે, વધું શીખવશે, થોડું રડાવશે ય ને જરા પજવશે, પણ તમારા ભીતરને ક્યાંકને ક્યાંક સ્પર્શી જરૂર જશે.
સાહિત્યસર્જનની તેમની પ્રક્રિયા નાટ્યલેખનથી શરૂ થઈ. નાટકો લખ્યા, ભજવ્યાં અને છોડયાં તે દરમિયાન તેમનું જીવન દેણું, દરિદ્રતા, દર્દો, દુર્ભાગ્ય, દુ:ખો અને પારિવારિક સંઘર્ષમાં અટવાતું રહ્યું. બી. એડ. કરી શિક્ષક અને પછી હેડમાસ્તર તરીકેની કારકિર્દીની સાથે-સાથે હાસ્યકલાકારના રૂપમાં ઊભર્યા. મોટાભાઈના અવસાનના દિવસે જ બી.એડને એન્યુઅલ લેશન પાસ કર્યું કર્યું. તેમ માતાના અવસાનના દિવસે જ લાગણીઓને હૃદયમાં ધરબી રાજકોટમાં ડાયરાનો કાર્યક્રમ પૂરો કર્યો કારણકે, શો મસ્ટ ગો ઓન. જીંદગી કભી રૂકતી નહિ.
આ કાર્યક્રમમાં કહેલી ચાર્લી ચેપલિનની માતાની કરૂણ કહાની તમને જણાવું. પબમાં વાયોલિન વગાડી બાળકોના પેટ ભરતીને ખુદ ભુખી રહેતી લીલી હાર્લી જીવતરના દુઃખોને કારણ પાગલ બની ગઈ. માતાની જેમ રમુજી નકલને હાવભાવ કરી જગતભરમાં પ્રસિદ્ધ થયો બાળક ‘ચાર્લી. જગવિખ્યાત થયા બાદ ચાર્લી ચેપલિનના ભવ્ય મહાલયના વિશાળ ગાર્ડનમાં બ્રેડબટર અને ચાનો નાસ્તો કરી રહ્યો હતો. સામે ટગર ટગર જોઈ રહેલી પાગલ માતાના ડહાપણ ભર્યા શબ્દો હતા,’એ વખતે મને એક કપ ચા અને એક બ્રેડનો ટુકડો મળ્યો હોત તો હું પાગલ ન થઇ જાત.’ ચાર્લીના હાસ્યના સમંદરની વચ્ચે ટાપુ જેવા આવા અનેક બનાવો આવ્યા કરશે. જેને આપણે વાચીયે તો આપણા હ્રદયના ટુકડા થઈ જાય.પણ તેમ છતાં એમના સર્જનનો મૂળ હેતુ તો સહપરિવાર સાથે માણી શકે તેવું નિર્દોષ અને વિશુદ્ધ હાસ્ય રજુ કરવાનો હતો, જે ક્યારેય અટક્યો નહતો.
જીંદગી સુખી હોય ત્યારે વર્ષો ક્યાં વીતી જાય ખબર પડતી નથી. કાંચનવરણી કામિની અને કામણગારો કંથ જેવી જોડી હોય ત્યારે એને પિયરનો પંથે વહ્યો લાગે, પણ બૈરું અકોણુ કે મુરખ હોય તો જીવતર ધૂળધાણી થઈ જાય. એવો જ એક એમનો મિત્ર વિઠ્ઠલ. એની વહુ એને ઘણીવાર મારતી. પણ વિઠ્ઠલ શેરીમાં મોભો રાખવા માર ખાતાં-ખાતાંય જોરથી બોલતો જાય,“એ લેતી જા, તે કેટલાય દિ’ થી ઉપાડો લીધો છે.” બહાર માણસો એવું સમજતાં કે ભાઈ આજ તો વિઠ્ઠલનો પિત્તો ગયો છે હો!!
આવી જ એક બીજી ઘટના પુસ્તકમાં વર્ણવી છે. નાનો બોબી અમેરિકાથી ઇટાલી રહેવા ગયો. શાળામાં તેણે “ધ વર્લ્ડ ઓફ ડો. આલ્બર્ટ શ્વાઈત્ઝર” પુસ્તક વાંચ્યું હતું. ડો.આલ્બર્ટ ધર્મશાસ્ત્રના પ્રોફેસર અને સંગીત નિષ્ણાંત હોવા છતાં બધું છોડી આફ્રિકાની અભણ અને અશ્વેત પ્રજાની સેવા કરવા ગયા હતા. તેઓએ હોસ્પિટલ શરૂ કરી. પણ તેના માટે નાણાની અછત રહેતી. બોબીએ તેની માતા પાસેથી પાંચ ડોલર લીધા. તેણે આ દાન ડો.આલ્બર્ટ સુધી પહોચાડવા નાટોના જનરલને એક પત્ર સાથે મોકલ્યા. પત્રમાં લોકોને દાન કરવા માટે પણ અપીલ કરી હતી. આ પત્ર ઈટાલિયન રેડિયોને પહોંચાડતાં તેણે બોબીની આ અપીલ વિવિધ ભાષાઓમાં પ્રસારિત કરી. પરિણામે લોકોમાં કરૂણાનો સાગર ઉમટ્યો. અઢળક ધન એકઠું થયું. આટલી વિશાળ સહાય પોતાને એક બાળકને કારણે મળી છે, તેવું જાણતા જ ડો. શ્વાઈત્ઝરે બોબીને મળવા બોલાવ્યા અને તેને એક ડબ્બો ભેટ આપતા કહ્યું, “આ તારી માતા માટે છે, ‘બોબીની માતાએ ડબ્બો ખોલતા મળેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું “બોબી જેવા બાળકને જન્મ આપનાર માતાને પ્રણામ.” માનવમાત્રની ઝંખના સુખ મેળવવાની રહી છે પરંતુ સુખ હંમેશા કોઈકને આપીને જ મળે છે. ભોગો ભોગવવાની તમન્ના રાખનારા ખુદ ભોગવાઈ જાય છે. ઘણા કાર્યો શરૂઆતમાં કઠીન લાગે પણ અંતે હિતકારી નિવડે. દા.ત. કસરત. જયારે કેટલાક કાર્ય શરૂઆતમાં આનંદ આપે પણ અંતે દુઃખદાયક બને દો.ત. વ્યસનો.
પિંગલાનું સૌંદર્ય અપ્રતિમ હતું એવા વર્ણનો લેખકો કરતા હોય છે. પણ શાહબુદીન રાઠોડ લખે છે કે અમારા ગામની નાટક મંડળી જયારે ભરથરીનો ખેલ કરતી ત્યારે અમારો મનસુખ પીંગલા બનતો. બોદારમાં ઝરી મેળવી રંગેલા ચહેરો પણ કાળા બાવડાને વાઢીયા વાળા પગ લઈ મનસુખ પીંગલા બની પ્રવેશતો ત્યારે પ્રેક્ષકો હેબતાઈ જતાં. હું ત્યારે નાનો હતો છતાં મને યાદ છે હું એમ જ વિચારતો કે આવી પિંગલા હોય તો ભરથરી ભેખ જ લે ને? આવું જ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું નાટક ભજવ્યું ત્યારે થયેલું. પ્રિતમલાલ માસ્તરનો દિકરો એમાં રોહિતનું પાત્ર ભજવતો પણ એને બહાર જવાનું થયું ને અંતે ચમનાને તૈયાર કર્યો. ચમન હતો દમનો દર્દી. એણે શરત કરેલી કે મને સુવડાવવાનો થાય ત્યારે ઉંધો સુવડાવજો નહિંતર એકવાર મને ઉધરસ આવવાની ચાલુ થઈ પછી બાજી કોઈના હાથમાં નહિ રહે. રોહિતના મૃત્યુ બાદ તેને સ્મશાને લઈ ગયેલી તારામતીથી ભૂલ થઈ ગઈ. ચમનને ચત્તો સૂવડાવી, એની છાતી પર હાથ પછાડી પછાડી એણે રોવાનું શરૂ કર્યું. પ્રેક્ષકો પણ હીબકે ચડ્યા, ત્યાં તારામતીના બે ચાર વાળ ચમનના મોઢાને-નાકમાં ઘુસતા ચમનને આવી છીંક અને ફરી ઉધરસનો હુમલો થયો. ટ્રેજડી કોમેડીમાં ફેરવાઈ ગઈ.
જે છે તેનો સ્વીકાર એ જ સાચી મુક્તિ છે અને જે છે તેનો અસ્વીકાર એ બંધન છે. જીવનના મહત્વના બનાવોનું આયોજન થઈ શકતુ નથી. માનવી ખડખડાટ હસે છે ત્યારે વિચારો બંધ થઈ જાય છે. હસવું અને વિચારવું બંને સાથે શકય જ નથી. વિચારો વિરામ પામે પછી મન કયાંથી હોય? હસો, હસાવો અને હસી નાખો.




