એક તરફ પર્યાવરણના નામે વાવેતરનું કરોડોનું બજેટ અને બીજી તરફ સિંહોના કાયમી દરિયાઇ પટ્ટી કોરિડોરનો નાશ કરવાની વહીવટી મંજૂરી
રિના બ્રહ્મભટ્ટ
- Advertisement -
પૃથ્વી શું ભગવાને માત્ર માણસ માટે બનાવી છે ? માણસની ઐયાશીઓ, ચિત્ર-વિચિત્ર શોખો માટે બનાવી છે ? તો સાંભળી લો કે, તમને ભગવાને પૃથ્વી પરના સૌથી બુદ્ધિશાળી માણસ ભલે બનાવ્યા પરંતુ પૃથ્વી કોઈપણ રીતે ફક્ત તમારા માટે નથી બનાવી.તેની પર પ્રાણીઓ, પશુ, પક્ષીઓ અને ઇવન ઝાડો નો પણ એટલો જ અધિકાર છે.વળી આ બધી કડીઓ ક્યાંકને ક્યાંક સમગ્ર પૃથ્વીના અસ્તિત્વ સાથે પણ જોડાયેલ છે. તે ન ભૂલો,પોતાના શોખ કે લાલચ માટે પ્રાણીઓને ક્ષુલ્લ્ક ગણી અક્ષમ્ય બેદરકારી કરતા પહેલા એટલું જાણી લો કે, તમે ન કેવળ પશુ-પક્ષી કે પ્રાણીઓને છેડી રહ્યા છો બલ્કે, કુદરતને પણ છછેડી રહ્યા છો.માનવામાં ન આવે તો થોભો, યુરોપ તરફ નજર દોડાવો અસહ્ય ગરમીએ જીવવું દોહ્યલું કરી નાખ્યું છે.કેટલાય લોકો આ ગરમીના કારણે મરી પણ ગયા છે .તેમના ઘરો અગન ભઠ્ઠી જેવા બની ગયા છે જેમાં તેઓ રહી પણ શકતા નથી.
ખેર અહીં મુદ્દો તેના થોડા રિલેટેડ જ છે.હમણાં છેલ્લા કેટલાક સમયથી જંગલના રાજા તેવા સિંહોના માણસો પરના હુમલાને લઈને ખાસી ચર્ચાઓ ચાલી.હાલ માનવભક્ષી બની ગયેલા 10 જેટલા સિંહો કે સિંહણોને પાંજરે પણ પુરી દેવામાં આવ્યા છે,ત્યારે બને કે, તેમ લાગે કે, મુદ્દો પૂરો થઇ ગયો છે.તો સમજી લેજો કે, તેવું હરગિજ નથી.આપણે આપણી માનસિકતા, સરકારની નીતિઓ , કુદરત સામેની લાપરવાહી અંગે જાગૃત નહીં થઈએ ત્યાં સુધી આવા હુમલાઓ થતા જ રહેશે.કેમ કે, તમે તેમના રહેઠાણમાં ઘુસી તેમનું જીવવું મુશ્કેલ કરી દીધું છે.તો તે શું કરશે ? સિંહોની જેમ ચોમાસામાં શહેરી વિસ્તારોમાં પણ સાપો, ક્યાંક મગરો નીકળવાના બનાવો સારા એવા પ્રમાણમાં બને છે. ખેર અત્યારે આપણે આ મુદ્દે અહીં ખાસ અને વિગતે વાત કરીયે તો,
થૉડા સમય અગાઉ ખાંભાના ચતુરી ગામમાં બાળકના મોત બાદ 4 દિવસમાં 10 સિંહ પકડાયા. વાંકિયા ગામે PHC ક્વાર્ટરમાં દીપડો ઘૂસ્યો. સિંહો જંગલ છોડી માનવ વસાહતમાં કેમ આવે છે? જંગલ સાંકડું, શિકાર ખૂટ્યો, પાણી સુકાયું, રસ્તા કપાયા, ઢોરનો લોભ. જાણો 7 મુખ્ય કારણો અને ઉકેલ.
ઘટના તાજી છે: ચતુરી ગામમાં માતમ, વાંકિયામાં દહેશત
ખાંભા તાલુકાના ચતુરી ગામમાં પાંચ વર્ષના બાળક પર સિંહના હુમલા બાદ 4 દિવસમાં કુલ 10 સિંહોને પાંજરે પૂરવા પડ્યા. પ્રથમ પાંચ, બાદમાં ત્રણ અને ગત રાત્રિના વધુ બે પકડાયા. બીજી તરફ અમરેલીના વાંકિયા ગામે રહેણાંક મકાનમાં પાડાનું મારણ કરી દીપડો ખાલી ક્વાર્ટરમાં ઘૂસી જતાં ફફડાટ ફેલાયો હતો.
આ સિવાય 2 અલગ અલગ યુવાનોને સિંહો ઉઠાવી ગયા અને તેમનું અરેરાટીપૂર્ણ ભક્ષણ પણ કર્યું.આવા એકસાથે અનેક બનાવો નોંધાયા ત્યારે સિંહોને જ નહીં પણ જંગલો અને કુદરતને અને ખુદ માનવને બચાવવા પણ આ મુદ્દે ડિટેલમાં ચર્ચા કરવી જરૂરી છે.ત્યારે,
સવાલ એક : જંગલનો રાજા ગામમાં શું કરવા આવે છે?
કારણ નંબર 1: ગીર સાંકડું પડ્યું, સિંહની વસ્તી ડબલ થઈ
20 વર્ષ પહેલાં ગુજરાતમાં 300 સિંહ હતા. આજે 700+ સિંહ છે. વસ્તી ડબલ, પણ ગીર અભયારણ્યનું ક્ષેત્રફળ એનું એ જ – 1,412 ચો.કિમી.
એક સિંહને 40-50 ચો.કિમી વિસ્તાર જોઈએ. 700 સિંહ માટે 28,000 ચો.કિમી જંગલ જોઈએ. છે માત્ર 1,412. એટલે નવા સિંહોને જગ્યા ક્યાંથી મળે?
જવાબ: ગીર બહાર, ગામ-ખેતર-શહેર ભણી.
હવે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદરના 9 જિલ્લામાં સિંહ ફેલાયા છે. ખાંભા તો ગીરથી 80 કિમી દૂર છે, છતાં ત્યાં સિંહ પહોંચી ગયા.
કારણ નંબર 2: જંગલમાં શિકાર ખૂટ્યો, ગામમાં ઢોર સહેલા
સિંહનું મુખ્ય ખોરાક ચિત્તલ, સાંબર, ભૂંડ પણ ગીરમાં માનવ હસ્તક્ષેપથી શિકાર પ્રાણી ઘટ્યા ઉપરથી ઉનાળામાં ઘાસ સુકાય એટલે હરણ-ભૂંડ બહાર નીકળે નહીં.
સામે ગામમાં? ગાય, ભેંસ, પાડા, બકરા છૂટા ફરે. ખેતરના શેઢે બાંધેલા હોય. સિંહ માટે “હોમ ડિલિવરી” જેવું. એક વાર ઢોરનું માંસ ચાખે એટલે વારંવાર ગામમાં આવે.
વાંકિયા ગામે દીપડાએ પાડાનું મારણ કર્યું એનું કારણ આ જ છે. ખાલી ક્વાર્ટરમાં ઘૂસ્યો કારણ કે લોહીની ગંધ આવી.
કારણ નંબર 3: તરસ્યો સિંહ ગામના અવેડા ભણી
ઉનાળામાં ગીરના કુદરતી ઝરણા, તળાવ સુકાઈ જાય. વનવિભાગ પાણીના ટેન્કર મૂકે પણ 700 સિંહ માટે પૂરતા ન પડે.
ગામમાં? ખેતરનો કૂવો, અવેડો, નહેર, તળાવ 12 મહિના પાણીથી ભરેલા. સિંહ-દીપડા રાત્રે પાણી પીવા ગામમાં આવે. પાણી પીતા-પીતા ઢોર દેખાય તો શિકાર કરી લે.
કારણ નંબર 4: જંગલ ચીરતા રસ્તા, રેલવે, નહેર
અમરેલી-ધારી હાઇવે, રાજુલા-જાફરાબાદ રોડ, રેલવે લાઇન – આ બધા ગીરને ચીરીને જાય છે. સિંહોનો કુદરતી કોરિડોર તૂટી ગયો.
સિંહ રસ્તો ક્રોસ કરવા જાય, ટ્રકની લાઈટ જુએ, હોર્ન સાંભળે, ગભરાઈને ગામમાં ઘૂસી જાય. રાત્રે હાઇવે પર સિંહ દેખાવા એ નવું નથી રહ્યું.
કારણ નંબર 5: ખેતર જંગલને અડીને, વાડ નથી
પહેલાં ગામ અને જંગલ વચ્ચે 5-10 કિમી નો “બફર ઝોન” હતો. હવે ખેડૂતોએ જંગલની કોર સુધી ખેતર કર્યાં. કપાસ, મગફળી, તલના ખેતર સિંહોને છુપાવા માટે બેસ્ટ.
ચતુરી ગામ પણ જંગલને અડીને જ છે. બાળક ખેતરમાં રમતું હશે, સિંહ ખેતરમાં છુપાયેલો હશે. માનવ-સિંહ આમને-સામને થઈ ગયા.
કારણ નંબર 6: કચરો અને ગંદકી ,
ગામના પાદરમાં કચરો નાખીએ, હોટલનો વેસ્ટ ફેંકીએ એટલે નીલગાય, ભૂંડ કચરો ખાવા આવે. નીલગાય એટલે સિંહનું ફેવરિટ ખોરાક.
જ્યાં નીલગાય, ત્યાં સિંહ. ગામ જાતે જ સિંહને આમંત્રણ આપે છે.
કારણ નંબર 7: સિંહને માણસનો ડર ન રહ્યો
પહેલાં સિંહ માણસને જોઈ ભાગી જતો. હવે રોજ ગામમાં આવ-જા કરે, ટ્રેક્ટર જુએ, માણસ જુએ. ધીરે-ધીરે ડર નીકળી ગયો.
સોશિયલ મીડિયા પર રિલ બનાવવા લોકો સિંહની 10 ફૂટ નજીક જાય છે. સિંહને લાગે કે “આ માણસ ખતરો નથી”. પછી એ જ માણસ પર હુમલો કરે.
વેલ, આ સિવાય અહીં સરકારની નીતિની પણ ચર્ચા કરીયે તો,
પ્રાપ્ત વિગત કે અખબારી અહેવાલો અનુસાર, ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળ આવતી બાબરકોટની 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટ જમીન
ખાનગી કંપનીને માઈનિંગ માટે પધરાવવાની તજવીજ
ત્યારે જાણી લો કે, આ વિસ્તાર 50થી વધુ સિંહોનું કાયમી નિવાસસ્થાન છે. ‘રાજુલા-બાબરકોટ કોસ્ટલ હાઈવે કોરિડોર’ તરીકે નોંધાયેલો છે.
વૃક્ષો: આશરે 5500 જેટલા મોટા અને જૂના વૃક્ષોને કાપી નાખવાની મંજૂરી*ની પ્રક્રિયા ચાલી રહી છે.
2. મંજૂરી કોણે આપી?
‘ડેપ્યૂટી કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ’ DCFના પદથી ઓળખાતા અધિકારીએ મંજૂરી આપી છે. ધારી ગીર પૂર્વ ડિવિઝન મારફતે હકારાત્મક પોઝીટિવ અભિપ્રાય આપ્યો હોવાની ચર્ચા છે.
- Advertisement -
ત્યારે નિષ્ણાતો કહે છે કે, રહેઠાણ છીનવાતા સિંહ બેકાબૂ બન્યા છે.
1. 50 સિંહ બેઘર થશે: જો માઇનિંગ માટે જંગલ આપવામાં આવશે તો સિંહો સહિત વન્યજીવો ઉપર મોટી અસર પડશે. 50થી વધુ સિંહો જ્યાં વસવાટ કરે છે તે ક્ષેત્ર જોખમમાં આવી શકે છે.
2. માનવ-સિંહ સંઘર્ષ વધશે: માઇનિંગની પ્રવૃત્તિ વધવાથી સિંહોના કુદરતી નિવાસસ્થાનમાં ખલેલ પહોંચશે, જેના કારણે સિંહો રેણાંક વિસ્તારોમાં ઘૂસી આવશે અને ગ્રામજનો તથા સિંહો વચ્ચે સંઘર્ષ વધવાની ભીતિ છે.
3. સિંહોનો વાંક નથી: વનરાજોના આ રૌદ્ર અને અણધાર્યા બદલાવ પાછળ સિંહોની કોઈ ભૂલ નથી પરંતુ માણસ દ્વારા તેમના આવાસ પર કરવામાં આવતી તરાપ અને પજવણી જવાબદાર છે. જ્યારે જ્યારે સિંહને તેના હક્કના વિસ્તારમાંથી ખદેડવાનો કે તેની જગ્યા છીનવવાનો પ્રયાસ થાય છે ત્યારે સિંહ વિકરે છે અને માનવભક્ષી બને છે.
સરકારની બેધારી નીતિ
ગુજરાત સરકાર એક તરફ એશિયાટિક સિંહોના સંવર્ધન અને સુરક્ષા માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે, ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સિંહોના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે. એક તરફ ખુદ વન વિભાગ જ પર્યાવરણ દિવસ નિમિત્તે 50,000 મતદાન મથક હેઠળના વિસ્તારોમાં 12-12 વૃક્ષોનું વાવેતર કરવા પ્રયત્નશીલ થયો છે, તો બીજી તરફ માઇનિંગ પ્રોજેક્ટના કારણે જંગલની જ જમીનમાં આશરે 5500 જેટલા મોટા અને જૂના વૃક્ષોને કાપી નાખવાની મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.
ઉકેલ શું? 5 પગલાં નહીં ભરીએ તો રોજ બાળક મરશે
1. બફર ઝોન બનાવો: જંગલ અને ગામ વચ્ચે 2 કિમી ખાલી જગ્યા. વાડ કરો. ખેતી બંધ.
2. પાણી-શિકારની વ્યવસ્થા: ગીરમાં 500 નવા પાણીના પોઇન્ટ. ચિત્તલ-સાંબરની સંખ્યા વધારો.
3. ઢોર વાડામાં પૂરો: રાત્રે ઢોર છૂટા ન મૂકો. પાકા વાડા બનાવો. સરકાર સબસિડી આપે.
4. જાગૃતિ અભિયાન: વાંકિયા ગામે ખાસ ગ્રામસભા યોજી એમ દરેક ગામમાં મિટિંગ કરો. રાત્રિ દરમિયાન સાવચેત રહેવા સમજાવો.
5. રેડિયો કોલર: બધા સિંહને GPS કોલર પહેરાવો. ગામ ભણી આવે એટલે એલર્ટ મળે. વનવિભાગ દોડે.
અને છેલ્લે વનમંત્રીએ ગામની મુલાકાત લીધી એ સારું છે. 10 સિંહ પકડાયા એ તાત્કાલિક ઉકેલ છે. પણ કાયમી ઉકેલ નથી.સમસ્યાઓ હજી મોં ફાડીને ઉભી જ છે.કેમ કે, આપણે ભગવાને તેમને આપેલા આરક્ષિત વિસ્તારમાં વિકાસ નામના રૂપાળા શબ્દના નામે ઘુસી જઈ રહ્યા છીએ.આપણી લાલસાઓનો અંત નથી આપણે નદીઓને ગટર બનાવી, કેમિકલયુક્ત બનાવી મિટાવી દીધી, પર્વતો પર પણ જોખમ, જંગલો, વનો પર પણ વિકાસના નામે તરાપ મારી છે, ત્યારે સમજો પ્લીઝ..પ્લીઝ..કુદરતનું સંતુલન ન બગાડો.
ગીરનો સિંહ ગુજરાતનું ગૌરવ છે. પણ ચતુરીના 5 વર્ષના બાળકનો જીવ પણ અણમોલ છે.
જંગલ સિંહનું ઘર છે, ગામ માણસનું.બંને વચ્ચે લક્ષ્મણ રેખા દોરવી પડશે. નહીંતર રોજ ચતુરી જેવી ઘટના બનશે અને રોજ 10 સિંહ પાંજરે પૂરવા પડશે.
તમારા વિસ્તારમાં સિંહ દેખાય છે? 1926 હેલ્પલાઇન પર જાણ કરો. સાવધાન રહો, સુરક્ષિત રહો.




