કારચાલક પણ સગીર હોવાની શક્યતા : પોલીસે કરી કાર્યવાહી
રાજકોટના કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ પાસે રોહીદાસપરામાં રહેતાં પરિવારની 4 વર્ષની દિકરી ઘર પાસે રમવા ગઇ ત્યારે પટમાં રાખેલી કારને ચાલક દૂર લેતો હતો તે વખતે આ બાળકી કારની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થતાં બાળકીનું મોત થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. કારનો ચાલક સગીર હોવાનું મૃતક બાળાના પિતાએ કહેતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
- Advertisement -
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રોહીદાસપરામાં રહેતી જીયાંશી મહેશભાઇ ચુડાસમા ઉ.4 ઘર નજીક પટમાં બહેનપણી અને બીજા છોકરાઓ સાથે રમવા ગઇ ત્યારે અર્ટીગા કારની ઠોકરે આવી જતા ગંભીર ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ ટુંકી સારવાર બાદ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. મૃત્યુ પામનાર જીયાંશી ભાઈ-બહેનમાં મોટી હતી અને આંગણવાડીમાં અભ્યાસ કરવા જતી હતી. તેના પિતા મહેશભાઇ મજુરી કરી ગુજરાન ચલાવે છે. પિતાએ જણાવ્યું હતું કે દિકરી જીયાંશીને બહેનપણી રમવા માટે બોલાવવા આવતાં તે બહાર ગઇ હતી. બાદમાં આ બંને અને બીજા છોકરા નજીકના પટમાં દડાથી રમવા ગયા ત્યારે ત્યાં અર્ટીગા કાર પાર્ક કરેલી હોઇ કારવાળાને થોડી દુર કાર લેવાનું બાળાઓએ કહેતાં એક છોકરો આવ્યો હતો અને કાર દુર લેતો હતો ત્યારે કોઇ કારણોસર તેણે કાબુ ગુમાવતાં જીયાંશી ઠોકરે ચડી જતાં તેને ગંભીર ઇજા થઇ હતી. તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ ટુંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું કારનો ચાલક સગીર વયનો હતો બનાવની જાણ થતા બી-ડિવીઝનના સ્ટાફે પ્રાથમિક કાર્યવાહી કરી હતી.



