ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણમંત્રી રિવાબા જાડેજાને સત્તાવાર પત્ર લખી અપીલ કરી
ટઈંઙ કલ્ચર, ડેકોરેશન અને વાહનખર્ચ ઘટાડીને બચતનું ફંડ શાળાઓના સમારકામ, સ્માર્ટ ક્લાસરૂમ અને ગરીબ વિદ્યાર્થીઓ માટે વાપરવાની માંગ
- Advertisement -
માત્ર ધો.1ના ભપકા બંધ કરી, ધો.8ના ’ડ્રોપઆઉટ’ પર ધ્યાન આપવા રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજાતા અને ભારે તામજામ સાથે ચર્ચામાં રહેતા ‘શાળા પ્રવેશોત્સવ’ને લઈને આ વર્ષે નવી ચર્ચા ઊભી થઈ છે. આગામી 18 થી 20 જૂન દરમિયાન યોજાનારા પ્રવેશોત્સવ પહેલા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણમંત્રી રિવાબા જાડેજાને સત્તાવાર પત્ર લખીને કાર્યક્રમને ભવ્યતા કરતાં સાદગીથી યોજવાની રજૂઆત કરી છે. સંઘે પોતાના પત્રમાં જણાવ્યું છે કે પ્રવેશોત્સવના નામે થતો ભારે ખર્ચ, વિઆઈપી કલ્ચર અને સરકારી તંત્રના મોટા કાફલાઓના પ્રવાસને કારણે લાખો રૂપિયાનું સરકારી નાણું અને ઈંધણ બગડે છે. આ ખર્ચને ઘટાડીને તે જ નાણાં શાળાઓની મૂળભૂત જરૂરિયાતો અને વિદ્યાર્થીઓના હિત માટે વાપરવા જોઈએ. રાજ્ય સરકારના કાર્યક્રમ મુજબ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, મંત્રીમંડળના સભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓ ગામેગામ જઈ બાળકોને શાળામાં આવકારશે. જોકે શિક્ષક સંઘનું માનવું છે કે આવા કાર્યક્રમો માત્ર સ્થાનિક આગેવાનો, ગ્રામ્ય કક્ષાના હોદ્દેદારો અને શાળા પરિવારની હાજરીમાં સાદગીપૂર્વક યોજવામાં આવે તો પણ પ્રવેશોત્સવનો મૂળ હેતુ પૂર્ણ થઈ શકે. સંઘે ખાસ કરીને આ વખતે ધોરણ-8 પછી ભણતર છોડતા વિદ્યાર્થીઓના વધતા ડ્રોપઆઉટ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાની માંગ કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે મંત્રીઓ અને અધિકારીઓના પ્રવાસો પાછળ ખર્ચાતી શક્તિ અને સમયનો ઉપયોગ ગામડાંઓમાં ઘર-મુલાકાત અને વાલીઓના કાઉન્સેલિંગ માટે કરવામાં આવે તો ડ્રોપઆઉટ રેટ ઘટાડવામાં મદદ મળી શકે.
સંઘે દાવો કર્યો છે કે પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યભરમાં મંત્રીઓ, કલેક્ટર, ડીડીઓ, મામલતદાર અને શિક્ષણ વિભાગના અધિકારીઓના મોટા કાફલાઓ સરેરાશ 50થી 100 કિલોમીટર સુધીના પ્રવાસ કરે છે. હજારો સરકારી વાહનોના ઉપયોગને કારણે લાખો રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ માત્ર ત્રણ દિવસમાં વપરાઈ જાય છે. તે ઉપરાંત, શાળાઓમાં વી.આઈ.પી. પ્રોટોકોલ જાળવવા માટે મોંઘા મંડપ, સ્ટેજ, ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, બુકે અને સ્મૃતિચિહ્નો પાછળ પણ નોંધપાત્ર ખર્ચ થાય છે. ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીમંડળના સભ્યો માટે ખાસ ભોજન અને કેટરિંગની વ્યવસ્થા પણ ખર્ચમાં વધારો કરતી હોવાનું પત્રમાં ઉલ્લેખાયું છે. શિક્ષક સંઘનું કહેવું છે કે પ્રવેશોત્સવનો હેતુ બાળકોને શિક્ષણ તરફ આકર્ષવાનો છે, ભવ્ય કાર્યક્રમો કરવાનો નહીં. તેથી સરકાર શિક્ષણક્ષેત્રની વાસ્તવિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વર્ષે પ્રવેશોત્સવને સાદગીપૂર્ણ અને પરિણામલક્ષી બનાવે તેવી માંગ ઉઠી છે.
- Advertisement -
પ્રવેશોત્સવના તામજામ પાછળ થતા ખર્ચને ઘટાડી તે રકમ શાળાઓની સમસ્યા પર ખર્ચવાની માંગ
જર્જરિત ઓરડાનું સમારકામ : જે શાળાઓના ઓરડા જર્જરિત છે અથવા જ્યાં પીવાના પાણી-શૌચાલયની સુવિધા નથી ત્યાં આ પૈસા વાપરવા.
સ્માર્ટ ક્લાસરૂમ : શાળાઓમાં કમ્પ્યૂટર, પ્રોજેક્ટર કે ડિજિટલ સ્માર્ટ બોર્ડ લાવી શિક્ષણને આધુનિક બનાવવું.
ગરીબ બાળકોને શૈક્ષણિક : કિટ સ્લમ એરિયા કે ગરીબ પરિવારના બાળકોને સ્કૂલ બેગ, સ્ટેશનરી અને યુનિફોર્મનું વિતરણ કરવું.
ધોરણ 8ના ડ્રોપઆઉટ બાળકોનું કાઉન્સેલિંગ : આ બચેલા સમય અને શક્તિનો ઉપયોગ ગામડાઓમાં ધોરણ 8 પછી ભણતર છોડી દેતા બાળકોના વાલીઓની ઘર-મુલાકાત (કાઉન્સેલિંગ) પાછળ કરવો, જેથી ડ્રોપઆઉંટ રેટ ઘટાડી શકાય.



