બદામ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે અને મોટાભાગના લોકો યાદશક્તિ વધારવા તેમજ શારીરિક તંદુરસ્તી માટે તેનું રોજ સેવન કરતા હોય છે. ખાસ કરીને બાળકોના મગજના વિકાસ માટે તેમને પલાળેલી બદામ ખવડાવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે બદામ ખાઈ રહ્યા છો તે અસલી છે કે કેમિકલવાળી નકલી? હાલ બજારમાં નકલી બદામનું વેચાણ ધમધમી રહ્યું છે, જે દેખાવમાં બિલકુલ અસલી જેવી જ લાગે છે.
બદામમાં રહેલા પોષક તત્વો અને તેના ફાયદા
- Advertisement -
બદામ એ પોષક તત્વોનો ખજાનો છે. તેમાં પ્રોટીન, હેલ્ધી ફેટ, ફાઈબર, વિટામિન E અને B2, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે માત્ર મગજ જ તેજ નથી કરતી, પરંતુ હૃદયને સ્વસ્થ રાખવામાં, હાડકાંને મજબૂત બનાવવામાં અને ત્વચા તથા વાળની સુંદરતા વધારવામાં પણ મદદરૂપ થાય છે. આ ઉપરાંત, બદામ પાચનતંત્રને સુધારવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
કેવી રીતે બનાવવામાં આવે છે નકલી બદામ?
નકલી બદામ બનાવવા માટે વેપારીઓ અવનવી યુક્તિઓ અપનાવે છે. ઘણીવાર બદામ પર આર્ટિફિશિયલ બ્રાઉન કલર અથવા કેમિકલનું કોટિંગ કરવામાં આવે છે જેથી તે વધુ આકર્ષક લાગે. કેટલીક જગ્યાએ તો મગફળીને કાપીને બદામ જેવો આકાર આપવામાં આવે છે અને તેના પર કલર ચડાવી દેવાય છે. આવી બદામ ખાવાથી સ્વાસ્થ્યને કોઈ ફાયદો થતો નથી, ઉલટાનું કેમિકલયુક્ત કલર શરીરમાં જવાથી પેટની ગંભીર સમસ્યાઓ અને અન્ય બીમારીઓ થઈ શકે છે.
- Advertisement -
અસલી બદામ ઓળખવાની 3 સરળ રીતો
રંગ દ્વારા ઓળખ: અસલી બદામનો રંગ આછો ભૂરો હોય છે અને તેનું પડ ચમકદાર હોતું નથી. જ્યારે નકલી બદામ વધુ પડતી ચમકદાર અને ઘેરા ભૂરા રંગની દેખાય છે. જો તમે બદામને હથેળી પર ઘસશો અને રંગ છૂટો પડે, તો સમજી લેવું કે તે નકલી છે.
સુગંધની પરખ: અસલી બદામમાં હંમેશા કુદરતી અને ‘નટી’ સુગંધ આવે છે. નકલી બદામમાં કોઈ કુદરતી સુગંધ હોતી નથી, ઉલટાનું તેમાં કેમિકલ કે કલર જેવી વાસ આવે છે. જો બદામમાંથી વાસી કે વિચિત્ર ગંધ આવતી હોય તો તે ખરાબ અથવા નકલી હોઈ શકે છે.
પાણીનો ટેસ્ટ: બદામને 5-6 કલાક માટે પાણીમાં પલાળી રાખો. જો તે નકલી હશે તો પાણીનો રંગ બદલાઈ જશે અને તેની ઉપરનું પડ એટલે કે છાલ સરળતાથી ઉતરશે નહીં. અસલી બદામમાં પાણી ચોખ્ખું રહે છે અને તેની છાલ ખૂબ જ આસાનીથી ઉતરી જાય છે.




