માનવ ઉત્કર્ષ મહોત્સવમાં હૈયે હૈયું દળાય એટલી મેદની ઉમટી – રેસકોર્સ ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
- Advertisement -
ઇઅઙજ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત ભવ્ય ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ના ત્રીજા દિવસે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે હજારોની ઉપસ્થિતિમાં સંસ્કાર, સંયમ અને ચારિત્ર્યનો પ્રભાવશાળી સંદેશ ગુંજ્યો હતો. આર્ય સંતાનો સાવધાન વિષય પર પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ પોતાના પ્રવચન દ્વારા યુવાનોને જીવનમૂલ્યો તરફ જાગૃત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિકતા અને પ્રેરણાનો અનોખો માહોલ સર્જાયો હતો.
કાર્યક્રમની શરૂઆત સંસ્થાના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં ધૂન-પ્રાર્થના અને વૈદિક પૂજનવિધિથી કરવામાં આવી હતી, ત્યારબાદ આરતી અને દીપ પ્રાગટ્યથી વાતાવરણમાં ભક્તિભાવ છવાઈ ગયો હતો. મહોત્સવમાં પધારનાર શ્રોતાજનોનું એકાદશી નિમિત્તે ફરાળી પ્રસાદકિટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવાવૃંદ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રેરક પ્રસ્તુતિએ પણ સૌને અભિભૂત કર્યા હતા.
પૂ. અપૂર્વમુનિ સ્વામીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રાજકોટનું રેસકોર્સ મેદાન માત્ર મનોરંજનનું સ્થળ નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે મનોપરિવર્તનનું શાશ્વત કેન્દ્ર બની ગયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજના સમયમાં યુવાનો માટે સૌથી મોટો પડકાર પોતાનું ચારિત્ર્ય જાળવવાનો છે. ભૌતિક સુખસગવડો વચ્ચે સંસ્કાર અને સંયમ જાળવવા અત્યંત જરૂરી છે. તેમણે જણાવ્યું કે માત્ર સગવડો આપવાથી સંતાનનો વિકાસ થતો નથી, પરંતુ સાવધાની અને સંસ્કારનું શિક્ષણ આપવું પણ એટલું જ આવશ્યક છે.
સ્વામીએ વધુમાં જણાવ્યું કે આજના યુગમાં ટેક્નોલોજી અને સુવિધાઓનો વધતો પ્રભાવ હોવા છતાં આધ્યાત્મિકતા અને આંતરિક વિકાસનું મહત્વ ઓછું થવું જોઈએ નહીં. અઈં કરતાં જઈં એટલે કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ વધુ મહત્વપૂર્ણ છે. તેમણે ચેતવણી આપી કે મોબાઇલ અને શોર્ટકટની દોડમાં યુવાનો પોતાનું ભવિષ્ય જોખમમાં મૂકી રહ્યા છે, તેથી માતા-પિતાએ સંતાનોને યોગ્ય દિશા આપવી જરૂરી છે.
વક્તવ્ય દરમિયાન સ્વામીએ અર્જુન, રાણી લક્ષ્મીબાઈ અને ચાણક્ય જેવા આદર્શ પાત્રોના ઉદાહરણો આપી યુવાનોને સંસ્કારયુક્ત જીવન જીવવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે આપણા દેશનો ગૌરવશાળી ઈતિહાસ અને સંસ્કૃતિ આપણને ઉન્નતિનો સાચો માર્ગ બતાવે છે અને તેને વિસરવું નહીં જોઈએ.
કાર્યક્રમનું વિશેષ આકર્ષણ સત્સંગદીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનું મુખપાઠ કરનારા રાજકોટના આશરે 400 બાલ-બાલિકાઓનું ભવ્ય સન્માન રહ્યું હતું. બાળકો દ્વારા ગવાયેલા પવિત્ર શ્લોકોએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર બનાવી દીધું હતું. આ પ્રસંગે પૂ. સ્વામીએ જણાવ્યું હતું કે કોણ કહે છે કળિયુગ ચાલે છે, અહીં તો સતયુગનો અનુભવ થઈ રહ્યો છે.
અંતમાં પૂ. અપૂર્વમુનિ સ્વામીએ આવતીકાલે યોજાનારા સત્ય સનાતન દેશ હૈ મેરા વિષયક કાર્યક્રમમાં સૌએ ઉપસ્થિત રહી જીવનને નવી દિશા આપવા માટે હાર્દિક આમંત્રણ આપ્યું હતું. આ રીતે ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજમાં સંસ્કાર જાગૃતિ લાવતું પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે.
પ્રદર્શન ખંડના કલાત્મક દ્રશ્યો અને શ્ર્લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યા
આ મહોત્સવનું વિશેષ આકર્ષણ છે- માનવ ઉત્કર્ષ પ્રદર્શન ખંડ. જે માત્ર પ્રદર્શન નથી પરંતુ જીવનને નવી દિશા આપતું પ્રેરણાસ્થળ છે. અહીં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસને સરળ, વૈજ્ઞાનિક અને પ્રેરણાદાયી રીતે રજૂ કરવામાં આવ્યો છે. કલાત્મક દૃશ્યો, પ્રેરણાત્મક શ્લોકો અને આધુનિક વિજ્ઞાનના તથ્યોનો અદભૂત સમન્વય દર્શકોને વિચારી લેવા મજબૂર કરે છે.
પ્રદર્શન ખંડમાં શારીરીક જાગૃતિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. યોગાસન, સૂર્યનમસ્કાર અને વોકિંગ જેવી સરળ પરંતુ અસરકારક જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપવામાં આવે છે. સાથે સાથે માનવ શરીરના આશ્ચર્યજનક તથ્યો પણ અહીં રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા છે. જેમ કે લીવર પોતાની જાતે પુન:સર્જન કરવાની અનોખી ક્ષમતા ધરાવે છે, માણસની આંખ વર્ષ દરમિયાન લાખો વખત ઝબકે છે અને એક વ્યક્તિ દિવસમાં આશરે 25,000 શ્વાસ લે છે.
આ ઉપરાંત, શાકાહારના મહત્વને વૈજ્ઞાનિક આધાર સાથે સમજાવવામાં આવ્યું છે, જે સ્વાસ્થ્યપ્રદ જીવન તરફ દોરી જાય છે. વ્યસનમુક્તિ અને સકારાત્મક જીવનમૂલ્યોને પ્રોત્સાહન આપતી માહિતી દર્શકોને અંદરથી સ્પર્શે છે.ખાસ વાત એ છે કે આ પ્રદર્શનની સમજણ નાના બાળકો દ્વારા સરળ અને અસરકારક રીતે આપવામાં આવે છે. તેમની નિર્દોષ રજૂઆત અને સ્પષ્ટ સમજાવટ દર્શકોને ખાસ આકર્ષે છે અને પ્રદર્શનને જીવંત બનાવે છે. માનવ ઉત્કર્ષ મહોત્સવનો મુખ્ય હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ દરેક વ્યક્તિને પોતાના શરીર, મન અને આત્મા પ્રત્યે જાગૃત બનાવી, તંદુરસ્ત અને સુખી જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો છે. રાજકોટવાસીઓ માટે આ મહોત્સવ એક અનોખો અવસર છે, જ્યાં જ્ઞાન, પ્રેરણા અને આધ્યાત્મિકતા એકસાથે અનુભવવા મળે છે. આથી મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે આવી આ પ્રદર્શનનો લાભ લઈ રહ્યા છે અને તેને શહેરનું હોટ ફેવરિટ આકર્ષણ બનાવી રહ્યા છે.



