બાલંભાના ચામુંડા માતાજી મંદિરમાં સંસ્કાર અને અધ્યાત્મનો સંગમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બાલંભા સ્થિત શાંતિનગર વિસ્તારમાં આવેલા શ્રી ચામુંડા માતાજી મંદિરમાં સંત આશારામ બાપુની પાવન પ્રેરણા અને માતાજીના આશીર્વાદથી તુલસી પૂજન-2025 તેમજ *શ્રીમદ ભગવદગીતા અને તુલસી મહિમા જ્ઞાન સ્પર્ધા*ના વિજેતાઓને પુરસ્કાર વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સંસ્કાર, આધ્યાત્મિક ચેતના અને નૈતિક મૂલ્યોના પ્રસારના હેતુથી આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાન તરીકે ગોમતીબેન ચાવડા (ચેરમેન, સામાજિક ન્યાય સમિતિ, જામનગર જિલ્લા પંચાયત), ચંદ્રિકાબેન અઘેરા (ચેરમેન, કારોબારી સમિતિ, જામનગર જિલ્લા પંચાયત), જયસુખભાઈ પરમાર (પ્રમુખ, જોડિયા તાલુકા ભાજપ), ભરતભાઈ દલસાણીયા (પૂર્વ પ્રમુખ, જોડિયા તાલુકા ભાજપ), જેઠાલાલ અઘેરા (પૂર્વ પ્રમુખ, જોડિયા તાલુકા ભાજપ) તથા રીપલકુમાર હેલૈયા (પ્રમુખ, નોટરી એસોસિએશન, અમરેલી) ઉપસ્થિત રહ્યા હતા. ધ્રોલ-જોડિયા વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ પણ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી. ચામુંડા માતાજી મંદિર સમિતિ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાલ, પુષ્પગુચ્છ તથા શ્રીમદ ભગવદ ગીતા ભેટ આપી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર વાઘેલા દ્વારા બાળકો માટે રોચક અને પ્રેરણાદાયી બાલસંસ્કાર વર્ગ લેવામાં આવ્યો, જેમાં સવાલ-જવાબના માધ્યમથી સનાતન સંસ્કૃતિ, ભારતીય જીવનમૂલ્યો અને નૈતિક શિક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
શ્રીમદ ભગવદગીતા તથા તુલસી મહિમા જ્ઞાન સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થી ભાઈ-બહેનોને મહેમાનોના વરદ હસ્તે રોકડ પુરસ્કાર, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. સાથે જ સનાતન પરંપરા મુજબ આરોગ્યદાયિની તુલસી માતાનું શાસ્ત્રોક્ત પૂજન પણ સંપન્ન કરવામાં આવ્યું.
કાર્યક્રમના અંતે આયોજક ચામુંડા માતાજી મંદિર તરફથી તમામ બાળકો અને ભક્તો માટે પવિત્ર મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા અતુલભાઈ, અજીતભાઈ, કિશનભાઈ, પ્રતિકભાઈ, મનોજભાઈ, સોમાભાઈ, રક્ષાબેન, શાલીનીબેન, નીલમબેન, સીમાબેન, કાજલબેન, કિશનકુમાર સહિતના સેવાભાવી ભક્તોએ ભારે જહેમત ઉઠાવી નોંધપાત્ર સહયોગ આપ્યો હતો.



