રવિવારે રામેશ્ર્વર હોલ રૈયા રોડ ખાતે હનુમાન ચાલીસાના પાઠ તેમજ થેલેસેમીયા પીડિત બાળકોનાં લાભાર્થે રકતદાન કેમ્પનું પણ આયોજન
જલારામ બાપાની પ્રસાદીરૂપે ખિચડી, શાક, રોટલા, રોટલી તથા છાશ જરૂરિયામંદોને નિવાસસ્થાને નિ:શુલ્ક પહોંચાડાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પ.પૂ. જલારામબાપા તથા સદગુરૂ ભગવાનશ્રી રણછોડદાસજી બાપુના આશીર્વાદથી સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા.ર3, જુન, સોમવારથી દરરોજ રૈયા ચોકડી, પેટ્રોલ પંપની સામેની શેરી, જીવનનગર શેરી નં.3 રાજકોટ ખાતે સમય સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી રૂા. 20ના રાહતદરના ભોજનાલયમાં સાત્વિક સદગુરુ પ્રસાદ અપાશે. તૈયાર ભોજનની પેકીંગ ડીશ પણ રાહત દરે ભોજનાલયમાંથી અપાશે. ડીશ પેકીંગ માટેના મશીનનું અનુદાન સ્વ. કોમલ વાગડીયાના જન્મદિનના સ્મરણાર્થે હસ્તે મૈત્રેયીબેન કોમલ વાગડીયા, નિર્મળાબેન રામજીભાઈ વાગડીયા, આદીત્ય કોમલ વાગડીયાના સૌજન્યથી પ્રાપ્ત થયેલ છે.
20ની થાળીમાં સ્વાદિષ્ટ શાક, રોટલી-દાળભાત, છાશ, અથાણું, ગોળ આપવામાં આવશે. ભુખ્યાજનોને પીરસાસે. હાલના મોંઘવારીના જમાનામાં સામાન્યમાં સામાન્ય હોટલ કે ઢાબામાં 100 રૂપિયાથી નીચે થાળી મળતી નથી. ત્યારે આ ગુજરાતી થાળીમાં જેટલી વસ્તુઓ હોય તેટલી વસ્તુઓ પીરસીને ભુખ્યાજનોની જઠરાગ્નિ તૃપ્ત કરાશે. આ ઉપરાત સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા રાજકોટમાં વસતા લોહાણા સમાજમાં જો કોઈને ત્યાં પરીવારના સભ્યનું મૃત્યુ થાય તેવા દુ:ખદ પ્રસંગે જેઓને આવશ્યકતા હોય તેઓની જરૂરીયાત મુજબ શ્રી જલારામ બાપાની પ્રસાદીરૂપે ખીચડી, શાક, રોટલા, રોટલી તથા છાશ તેઓના નિવાસસ્થાને નિ:શુલ્ક પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
- Advertisement -
ભારતીય સનાતન સંસ્કૃતિ મુજબ કોઈપણ સારુ કાર્ય કરતા પહેલા ભગવાનની પૂજન-અર્ચન-ભકિત કરવાનું મહાત્મ્ય દર્શાવ્યુ છે, તેને અનુલક્ષીને તા.22, જુન, રવિવારે, રામેશ્વર હોલ, રામેશ્વર પાર્ક, રૈયા ચોકડીથી રૈયા ગામ તરફ, રાજકોટ ખાતે સાંજે 07 કલાકેથી બાલાજી સુંદરકાંડ મંડળ દ્વારા સંગીતમય શૈલીમાં હનુમાન ચાલીસાના પાઠ તથા સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પધારનાર સૌ માટે દિપકભાઇ જયંતીલાલ રાજાણી, હર્ષાબેન દિપકભાઈ રાજાણી, આદિત્ય દિપકભાઈ રાજાણી, કૃતિકાબેન આદિત્યભાઈ રાજાણીના સૌજન્યથી ભોજન-પ્રસાદનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં મિત્ર વર્તુળ સહ, સહ પરિવાર પધારવા સૌને જાહેર આમંત્રણ અપાયું છે