રાજકોટમાં ભેળસેળખોરો સામે મનપાની આરોગ્ય ટીમના દરોડા
66 પેઢી-રેસ્ટોરન્ટ પર દરોડા, 218 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો : 17 ખાદ્ય નમૂના લેવાયા, 26 વેપારીને નોટિસ, રૂ.42 હજારનો વહીવટી ચાર્જ વસૂલાયો
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, ગંદકી અને અનહાઈજેનિક સ્થિતિ સામે વ્યાપક સર્વેલન્સ ડ્રાઈવ હાથ ધરી હતી. આ અભિયાન દરમિયાન શહેરની કુલ 66 પેઢી, રેસ્ટોરન્ટ અને ખાદ્ય વ્યવસાયિક એકમોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 218 કિલોગ્રામ જેટલો વાસી, અખાદ્ય અને માનવ આરોગ્ય માટે જોખમી ખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્ટોરેજ, ફૂડ લાઇસન્સ, સ્વચ્છતા, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ, ખુલ્લી ખાદ્ય ચીજોના વેચાણ અને અન્ય નિયમોના ભંગ બદલ કુલ 26 વેપારીને નોટિસ ફટકારવામાં આવી હતી. મનપાએ વિવિધ પેઢીઓ પાસેથી કુલ રૂ.42 હજારનો વહીવટી ચાર્જ પણ વસૂલ્યો હતો. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે 17 નમૂનાઓ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
દરોડા દરમિયાન એસ્ટ્રોન ચોક નજીક જનકલ્યાણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલી વિરમણી સ્વીટ્સ એન્ડ નમકીન સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થળ પર અનહાઈજેનિક સ્થિતિમાં રાખવામાં આવેલ ફૂગ લાગેલો માવો, એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા અને શાકભાજી, પડતર મસાલા, પ્રતિબંધિત કલર કેમિકલ્સ, વાસી તૈયાર ખોરાક, સમોસા-કચોરીનો માવો સહિત અંદાજે 91 કિલોગ્રામ અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર જથ્થાનો નાશ કર્યા બાદ પેઢીને સીલ કરવામાં આવી હતી. સંચાલક પાસેથી રૂ.10 હજારનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો તેમજ સ્વચ્છતા અને લાઇસન્સ સંબંધિત નોટિસ પણ આપવામાં આવી હતી. અજંતા પાર્ક વિસ્તારમાં આવેલી બેસ્ટ મયુર ભજીયા ખાતે તપાસ દરમિયાન એક્સપાયરી થયેલી 200 મિલી અને એક લીટરની કુલ 350 પાણીની બોટલ, બ્રેડ તથા 6 કિલોગ્રામ સડેલા શાકભાજીનો નાશ કરવામાં આવ્યો હતો. અહીંથી મીઠી ચટણીનો નમૂનો પણ લેવામાં આવ્યો હતો અને રૂ.500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
- Advertisement -
કૃષ્ણનગર, પીડીએમ કોલેજ રોડ, સાધુ વાસવાણી રોડ, ગાયત્રીનગર, કોઠારીયા રોડ, ગોંડલ રોડ, ભક્તિનગર, કેનાલ રોડ સહિતના વિસ્તારોમાં આવેલી અનેક ફરસાણ, મીઠાઈ, ડેરી અને નાસ્તાની દુકાનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલ્લી ખાદ્ય ચીજો રાખવી, લાઇસન્સ ન હોવું અથવા રિન્યૂ ન કરાવવું, વપરાશમાં લેવાતા ખાદ્યતેલની વિગતો પ્રદર્શિત ન કરવી, પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ, FIFO સિસ્ટમનો અભાવ, ટેગિંગ વગરનું પેકિંગ, એક્સપાયરી માલ અલગ ન રાખવો અને અનહાઈજેનિક વાસણો જેવી ગંભીર ખામીઓ સામે આવી હતી. આવા કેસોમાં રૂ.500થી લઈને રૂ.5 હજાર સુધીના વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યા હતા અને નોટિસો આપવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક સ્થળોએ વાસી બટેટા, કાપેલી ડુંગળી, ચટણી, બેકરી પ્રોડક્ટ, પસ્તી, સડેલા શાકભાજી અને અન્ય અખાદ્ય ખાદ્ય સામગ્રીનો નાશ પણ કરવામાં આવ્યો હતો. અનેક પેઢીઓની સ્થળ તપાસ કરી વેપારીઓને ફૂડ સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.
દૂધની ગુણવત્તા ચકાસવા શહેરભરમાં ખાસ ડ્રાઈવ
ફૂડ વિભાગે દૂધમાં ભેળસેળ અટકાવવા માટે અલગથી મિલ્ક ચેકિંગ ડ્રાઈવ પણ હાથ ધરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી અનેક ડેરી ફાર્મમાંથી લૂઝ મિક્સ દૂધ, ગાયનું દૂધ અને ભેંસના દૂધના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. સરદારનગર, સાધુ વાસવાણી રોડ, યોગીનગર રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, ગોંડલ રોડ, મંગળા રોડ, મવડી રોડ સહિતના વિસ્તારોની ડેરીઓમાંથી સેમ્પલ એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સરદારનગર સ્થિત કૈલાશ ફરસાણ માર્ટ અને મવડી રોડની ગોપાલ ડેરી ફાર્મ ખાતે લાઇસન્સ સંબંધિત ખામીઓ બદલ રૂ.1,000-1,000નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો.




