તમામ 13 અખાડાના સાધુ-સંતોની હાજરીમાં સમયપત્રક જાહેર કરાયું
મહારાષ્ટ્રની કાશી તરીકે ઓળખાતી પૂણ્યનગરી નાસિકમાં સિંહસ્થ કુંભમેળાના પર્વની તારીખોની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. નાસિક અને ત્રંબકેશ્વરના તમામ અખાડાઓના સાધુ-મહંતોની હાજરીમાં આ જાહેરાત કરાઈ હતી.
- Advertisement -
નાસિક જિલ્લા કલેક્ટર કાર્યાલયમાં મુખ્યમંંત્રી દેવેન્દ્ર ફડણવીસના અધ્યક્ષ સ્થાને યોજાયેલી યોજાયેલી બેઠકમાં સિંહસ્થ કુંભમેળાનાં આખરી શિડયૂલની જાહેરાત કરાઈ હતી. આ બેઠકમાં તમામ 13 અખાડાના સાધુ-મહંતોએ ભાગ લીધો હતો. 31મી ઓક્ટોબર 2026ના રોજ ત્રંબકેશ્વર અને નાસિક બન્ને જગ્યાએ ધ્વજારોહણ સાથે સિંહસ્થ કુંભમેળાના પર્વની શરૂઆત થયેલી ગણાશે. જોકે, પહેલું અમૃત સ્નાન બીજી ઓગસ્ટ 2027, બીજું અમૃત સ્નાન 31મી ઓગસ્ટ 2027 અને ત્રીજું અમૃતસ્નાન 12મી સપ્ટેમ્બર 2027ના રોજ યોજાશે.એ પછી 24મી જુલાઈ 2028ના રોજ ધ્વજ ઉતારવાની વિધિ સાથે કુંભમેળાનું સમાપન થયેલું ગણાશે.
દર બાર વર્ષે સિંહસ્થ કુંભમેળો યોજાય છે. આ વખતના કુંભ મેળા માટે ત્રંબકેશ્વર અને નાસિકમાં તડામાર તૈયારી ચાલી રહી છે.સિંહસ્થ કુંભને લગતી કામગીરી માટે અત્યાર સુધીમાં ચાર હજાર કરોડના ટેન્ડરો ફાળવવામાં આવ્યા છે. ટૂંક સમયમાં વધુ બે હજાર કરોડના ટેન્ડરોની ફાળવણી કરવામાં આવશે. આ પહેલાં 2015-16માં નાસિક-ત્રંબકેશ્વર ખાતે સિંહસ્થ કુંભમેળો યોજાયો હતો. દેશમાં નાસિક-ત્રંબકેશ્વર ઉપરાંત પ્રયાગરાજ, ઉજ્જૈન તથા હરિદ્વાર ખાતે કુંભમેળાનું આયોજન થાય છે. પ્રયાગ અને હરિદ્વારમાં દર છ વર્ષે અર્ધકુંભ પણ યોજાય છે. નાસિક અને ત્રંબકેશ્વર સિંહસ્થ કુંભની વિશેષતા એ છે કે અહીં વૈષ્ણવ અને શૈવ બંને અખાડા દ્વારા અલગ અલગ સ્નાન કરવામાં આવે છે.
નાસિકમાં કુલ 44 શુભ સ્નાન કાર્યક્રમો અને ત્ર્યંબકેશ્વરમાં ૫૩ શુભ સ્નાન કાર્યક્રમો યોજાશે, જેમાં એકાદશી, પૂર્ણિમા, અમાવસ્યા, વૈધૃતિ અને વ્યતિપતા યોગનો સમાવેશ થાય છે. ભક્તોને આમાં મોટી સંખ્યામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, એમ જિલ્લા કલેક્ટર જલજ શર્માએ જણાવ્યું હતું.