રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષક દિન નિમિત્તે આયોજીત ’શિક્ષક વંદના’ મોટીવેશનલ પ્રોગ્રામમાં બહોળી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા
ઉપસ્થિત શિક્ષકોને પ.પૂ. શ્રુતીપ્રકાશ સ્વામીજી, પ.પૂ. અપૂર્વમુની સ્વામી અને જાણીતા વક્તા શૈલેષભાઇ સગપરિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું
શિક્ષક દિન નિમિત્તે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ’શિક્ષક વંદના’ શિર્ષક અંતર્ગત મોટીવેશનલ પ્રોગ્રામનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુલ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ. જેમાં પ.પૂ. શ્રુતીપ્રકાશ સ્વામીજી, પ.પૂ. અપૂર્વમુનીજી સ્વામી અને જાણીતા વક્તા શૈલેષભાઇ સગપરિયા દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ગત સમયમાં યોજેયેલ વિવિધ સ્પર્ધાઓના વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યુ હતું.
કાર્યક્રમની શરુઆત ઉપસ્થિત મહેમાનોના શુભહસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. આ મોટીવેશનલ પ્રોગ્રામમાં ઉપસ્થિત તમામ શિક્ષકોને સંબોધીને પૂજ્ય અપૂર્વમુની સ્વામીએ કહ્યું કે શિક્ષકનું કાર્ય રત્નકલાકાર જેવું છે, જે કાચા હીરાને ઘસીને મૂલ્યવાન બનાવે છે. જેમ મરણ પથારીએ પડેલી માણસાઈને બચાવે છે એ ડોક્ટર અને માણસમાં મરવા પડેલી માણસાઈને બચાવે એ શિક્ષક છે. કોરોના કાળ દરમિયાન ડોક્ટર અને પોલીસની જેમ જ શિક્ષકોએ પણ ઉમદા કામગીરી નિભાવી છે. વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી અનેકગણું ફળ મળી જાય છે. રાષ્ટ્રપતિ શિક્ષક બને તેમાં શિક્ષકની ગરિમા છે. જ્યારે કોઈએ કલામ સાહેબને પૂછ્યું કે તમને લોકો કઈ રીતે યાદ કરે તે ગમે? ત્યારે કલામ સાહેબે કહ્યું મને લોકો શિક્ષક તરીકે યાદ કરશે તે વધુ ગમશે. કેરેક્ટર ઈઝ ફર્મ, સ્ટ્રેન્થ ઓફ માઈન્ડ ઈઝ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ પાવર ઓફ ઈન્ટલેકટ ઈઝ એક્સ્પાન્ડેડ. કોઈપણ એજ્યુકેશન આ ત્રણ શબ્દોથી બને છે. આ શબ્દોનો અર્થ પૂ. અપૂર્વમુનિજીએ સવિસ્તારથી તેમના વકતવ્યમાં જણાવ્યો હતો.
- Advertisement -
પૂ. શ્રુતિ પ્રકાશદાસજી સ્વામીએ તેમના ઉદબોધનમાં કહ્યું કે ’શિક્ષક દિન’ અને ’શિક્ષક વંદના’ દિવસમાં ઘણો મોટો ફરક છે. વિદ્યાર્થીના હૃદયમાં શિક્ષકની ગરિમાની ઝાંખી થાય, અને શિક્ષક પ્રત્યે તેનું હૃદય અહો ભાવથી ઢળી પડે એ જ સાચી શિક્ષક વંદના. શિક્ષકમાંથી વિદ્યાર્થીઓ ઘણું બધું શીખતા હોય છે એટલે એમની જવાબદારી ઘણી મોટી છે. શિક્ષક જ્યાં સુધી શ્રેષ્ઠ વિદ્યાર્થી ન બને ત્યાં સુધી તે શ્રેષ્ઠ શિક્ષક બની શકતો નથી. બદલાયેલા પ્રવાહો, ટેકનોલોજી અને આવનારા ભવિષ્ય ને માપી અને સમય પ્રમાણે આપણે આપણી જાતને કેળવતાં જઈએ, શીખતા જઈએ અને અન્યને પણ શીખવતા જઈએ. આ કાર્યક્રમમાં શૈલેષભાઇ સગપરિયાએ તેમની મોટીવેશનલ સ્પીચ આપતા કહ્યું કે એક શિક્ષક રાષ્ટ્રપતિ બને એ તો સામાન્ય ઘટના છે, પરંતુ જ્યારે એક રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ બન્યા બાદ પણ શિક્ષક બને એ એક અસામાન્ય ઘટના છે. શિક્ષક એટલે ’રાષ્ટ્રનું ચરિત્ર નિર્માણ કરનાર વ્યક્તિ’. શિક્ષકનો વિચાર કોઇનું જીવન બનાવી પણ શકે અને કોઇનું જીવન બરબાદ પણ કરી શકે. શિક્ષકના વિચારમાં અદ્ભૂત નિર્માણની તાકાત રહેલી છે, જેના પ્રોત્સાહનથી ચા વેચતો એક સામાન્ય બાળક ઇન્ટરનેશનલ ફિલ્મ ડિરેક્ટર બને છે અને સાઈકલ રીક્ષાચાલકનો દીકરો કલેકટર બની પ્રધાન કાર્યાલયમાં સલાહકાર તરીકે કાર્ય કરે છે. શિક્ષકના હાથમાં રાષ્ટ્રનું ચરિત્ર છે, ભવિષ્ય છે માટે જ શિક્ષકોએ સતત અપડેટ થવું જરૂરી છે.
આ કાર્યક્રમ દરમિયાન ગત સમયમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા યોજાયેલ ચેસ ટુર્નામેન્ટ, પ્રજાસતાક દિવસ અને સ્વતંત્રતા દિવસ અંતર્ગત યોજાયેલ ‘એ મેરે પ્યારે વતન’ ની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇને વિજેતા થનાર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકોને મહાનુભાવોના હસ્તે પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ મોટીવેશનલ પ્રોગ્રામના સફળ આયોજન માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઈ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરિયા, મહામંત્રી પરિમલભાઈ પરડવા, મહામંત્રી પુષ્કરભાઈ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર જયદીપભાઇ જલુ અને મેહુલભાઈ પરડવા, ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, એફ.આર.સી કમિટીના સભ્ય અજયભાઈ પટેલના માર્ગદર્શનમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની કારોબારી સમિતિના તમામ સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.



