રાજકોટનાં 150 ફૂટ રિંગ રોડ પર હાઈપ્રોફાઈલ એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ: મૃતકોમાં સ્વિગિનોે ડિલિવરી બોય અને બે પિતરાઈ ભાઈ
બે ફ્લેટ વચ્ચે લોબીના ભાગમાં શોર્ટસર્કિટના કારણે લાગી હતી આગ: બાળકી અને વૃદ્ધા દાઝ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ બિલ્ડીંગમાં ધૂળેટીની સવારે અચાનક શોટ સર્કિટથી આગ લાગતાં 3 યુવાન ભડથું થઈ ગયા હતા બે ફ્લેટ વચ્ચે લોબીના ભાગમાં લાગેલી આગ ફ્લેટ સુધી પ્રસરી ગઈ હતી અને લોબીના ભાગનું તમામ એલિવેશન બળીને ખાખ થયું હતું આગ લાગતાં ગીર સોમનાથ ઉના પંથકના બે યુવાન અને રાજકોટનો 1 યુવાન ભડથું થઈ ગયા હતા મૃતકો સ્વીગી – બ્લિનકિટના ડિલિવરી બોય હતા જ્યારે એક યુવક કામ શિખતો હોવાનું જાણવા મળ્યું છે છઠ્ઠા માળે આગ લાગતા ઘરકામ કરવા જતી 15 વર્ષીય સગીરા દાઝી ગઈ હતી. જ્યારે 55 વર્ષીય પ્રૌઢા ધુમાડાથી બેભાન થઈ જતાં બંનેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ધૂળેટીની સવારે 10.17 વાગ્યે મુખ્ય ફાયર સ્ટેશન ખાતેના હર્ષીદભાઇ નામના વ્યક્તિએ ફોનથી જાણ કરેલ કે, રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર બિગ બજારની સામે આવેલ એટલાન્ટિસ બિલ્ડીંગમાં પાંચમા તથા છઠ્ઠા માળે આગ લાગી છે આ કોલ આવતા જ ફાયર સ્ટાફ દ્વારા તાત્કાલીક બનાવ સ્થળથી નજીકના નિર્મલા રોડ ફાયર સ્ટેશનને જાણ કરી હતી જે બાદ અલગ અલગ ફાયર સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ મળી 52 લોકોની ટીમ દોડી ગઈ હતી બિલ્ડીંગના સી તથા ડી વિંગના છઠ્ઠા માળે ફ્લેટ નંબર 602 તથા 603 વચ્ચેની લોબી સ્પેશમાં ફર્નિચરનું ફિટીંગ કામગીરી કરતી વેળાએ શોટ સર્કિટથી આગ લાગી હતી તેમાં ફાયર સ્ટાફ દ્વારા તાત્કાલીક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો તેમજ વધુ લોકોને રેસ્ક્યુ હાઇડ્રોલીક પ્લેટ ફોર્મ તથા બિલ્ડીંગના સ્ટેરકેસ મારફત કરવામાં આવેલ હતા આશરે એકથી દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો આ આગમાં ત્રણ લોકો ભડથું થઈ ગયા હતા મૃતકોમાં વીર સાવરકર આવાસ યોજનામાં રહેતો અને સ્વીગી ડિલિવરી બોય તરીકે કામ કરતો અજય ખીમજીભાઈ મકવાણા ઉ.22, મૂળ ઉનાનો અને હાલ સાધુ વાસવાણી રોડ ઉપર ન્યુ અંબિકા પાર્ક સોસાયટીમાં રહી બ્લિનકિટના ડિલિવરી બોય તરીકે નોકરી કરતો કલ્પેશ પીઠાભાઈ લેવા ઉં.29 અને મૂળ ઉનાનો હાલ કાકા કલ્પેશ સાથે રહેતો અને ડિલિવરી પ્રક્રિયા શિખતો મયુર વિનુભાઈ લેવા ઉ.19નો સમાવેશ થાય છે મૃતક અજયભાઈને સંતાનમાં ચાર વર્ષની બેબી હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો. આગના આ બનાવની જાણ થતાં જ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા, ડે.કમિશર નંદાણી, સુરક્ષા અધિકારી ઝાલા, આસીસ્ટન કમિશન ડોડીયા, પી. એ. ટુ કમિશનર રામાનુજ, રાજકોટ શહેર પોલીસ વિભાગના અધિકારીઓ સહીતની સ્ટાફ, પીજીવીસીએલ રાજકોટનો સ્ટાફ તેમજ ધારાસભ્ય દર્શીતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, રાજકોટ મહાનગરપાલિકાના ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક મનિષભાઈ રાડીયા સહિતના દોડી ગયા હતા.
- Advertisement -
રંગોની ઉજવણી વચ્ચે ત્રણ પરિવારનું જીવન બેરંગ બની ગયું
મૃત્યુ પામનારા કલ્પેશનાં 1 મહિના પહેલાં જ લગ્ન થયા હતાં, અજયને 4 વર્ષની દીકરી છે
પરિવારજનોનું હૈયાફાટ રૂદન
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર એટલાન્ટિસ બિલ્ડીંગમાં ગઈકાલે આગ લાગી હતી. જેમાં ત્રણ યુવાનના મોત થયા હતા. રાજકોટમાં ધુળેટીના રંગોની ઉજવણી વચ્ચે કરુણ ઘટના બની હતી. આગમાં ભડથું થયેલ કલ્પેશ લેવાના 1 મહિના પહેલા જ લગ્ન થયા હતા. જ્યારે અજયને 4 વર્ષની દીકરી છે. અજય બપોરે માતા-પિતાના ઘરે જઈ સાથે જમીશું તેમ પોતાની પત્નીને કહીંને ઘરેથી નીકળ્યો હતો. પણ ઘરે તેનો મૃતદેહ પહોંચતા ગમગીની છવાઈ હતી. મૃતકોના પરિવારજનોનું હૈયા ફાટ રુદન જોઈ પથ્થર દિલ પણ પીગળી હાય તેવા દ્રશ્ર્યો જોવા મળેલા. સિવિલ હોસ્પિટલમાં હતભાગીઓના પરિવારજનો અને સંબંધીઓ દોડી આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, અજય સ્વીગીમાં નોકરી કરતો પોતે પત્ની અને પુત્રી સાથે વીર સાવરકર ટાઉનશીપમાં રહેતો. તેના માતા પિતા ઘંટેશ્ર્વર 25 વારીયા ક્વાર્ટરમાં રહે છે. અજય 3 દિવસ ડે નાઈટ ડ્યુટી પર હતો. જેના તેને 6000 વધારાના મળવાના હતા. આગલા દિવસે રાતે 12 વાગ્યે નોકરી પરથી પરત ઘરે આવ્યો હતો. સવારે વહેલા જાગી પરત નોકરી પર લાગી ગયો હતો. ઘરેથી નીકળથી વખતે તે પત્નીને કહેતો ગયો હતો કે, બપોરે હું આવી જઈશ. ઘંટેશ્ર્વર 25 વારીયા ખાતેના ઘરે જઈ બધા સાથે જમીશું. જોકે બાદમાં તેના મૃત્યુના સમાચાર મળતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. અજય બે ભાઈ એક બહેનમાં વચેટ હતો. નાનો ભાઈ રીક્ષા ચલાવે છે. પિતા બીમાર હોવાથી અજય પરિવારનો આધાર સ્તંભ હતો.
ઉદ્યોગપતિઓ, જ્વેલર્સ, ડોક્ટરો સહિતના શહેરના નામાંકિત અગ્રણીઓ એટલાન્ટિસમાં રહે છે
ગઈકાલે શહેરમાં એટલાન્ટિસ નામના બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ બિલ્ડિંગ 150 ફુટ રીંગ રોડ પર બિગ બજારની સામે આવેલ છે. આ સોસાયટીના ડી વિંગમાં છઠ્ઠા માળે આગ લાગી હતી. આ સોસાયટીમાં અનેક નામાંકિત અગ્રણીઓ રહે છે જેમાં ડોક્ટરો, ઉધોગપતિઓ, જ્વેલર્સ, વેગેરે ફ્લેટધારકો છે. જાણીતા શિલ્પા જ્વેલર્સના પ્રભુદાસભાઈ પારેખ તેમના પુત્રો હિરેન તથા ભાસ્કર સાથે રહે છે, તો ઉદ્યોગપતિ વસંતભાઈ તથા વિનુભાઈ માંગરોલીયા (યુનિટેક એન્જિનિયરિંગ) પણ અહીં રહે છે. વોકહાર્ટ હોસ્પિટલના ડોક્ટર પ્રફુલ કમાણી, સિનરજી હોસ્પિટલના ડોક્ટર જયેશ ડોબરિયા, એસ.કે.એસ.ઈ ના પૂર્વ ડાયરેક્ટર – સ્ટોક બ્રોકર મુકેશભાઈ દોશી તેમના પરિવાર સાથે અહીં રહે છે, જે.પી.જ્વેલર્સ પરિવાર, અને આ ઉપરાંત બિલ્ડર જીતુભાઈ બેનાણી પણ ખુદ અહીં રહે છે અને ઓફિસ પણ ધરાવે છે.