કડીયા પ્લોટના કામદાર કલ્યાણ કેન્દ્રના નવીની કરણ માટે રૂપિયા 91.36 લાખ રૂપિયા અને બિરલા રોડ ઉપર આવેલા કામદાર કલ્યાણ કેન્દ્રના નવીની કરણ માટે અંદાજીત 1.03 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવશે
કામદાર કલ્યાણ કેન્દ્રો કાર્યરત થશે ત્યારે આજુબાજુના વિસ્તારના બાળકોને રમત-ગમત, સંગીત અને સ્વ રોજગાર સહિતની અનેક પ્રવૃત્તિઓ કરી શકશે : અર્જુન મોઢવાડિયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં ઉદ્યોગ અને નાગરીક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપુતે જવાબ આપતા જણાવ્યું હતું કે પોરબંદર એરપોર્ટનો રનવે 1300 મીટરથી વધારીને 2600 મીટર કરવાની જે દરખાસ્ત છે તેને મંજુરી આપવામાં આવેલ છે, તેમજ આ બાબતે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ રીવાઈઝડ માસ્ટર પ્લાન મુજબ સરકારી અને ખાનગી જમીન સંપાદન કરવા માટે જિલ્લા કલેક્ટરને સુચના આપી દેવામાં આવેલ છે. એટલે હવે જમીન સંપાદન પુર્ણ કર્યા બાદ આગળની પ્રક્રિયા એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવશે, તેમજ એકાદ વર્ષ પછી આપણે આ કામગીરી કરવા માટે કેન્દ્ર સરકારને રજુઆત કરી શકીશું . ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા પોરબંદરમાં કડીયા પ્લોટ અને બિરલા રોડ વિસ્તારમાં આવેલ કામદાર કલ્યાણ કેન્દ્રો વર્ષોથી જર્જરીત હોવાથી બંધ હાલતમાં હતા
તે અંગે પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે આ વખતે આ બન્ને કામદાર કલ્યાણ કેન્દ્રોનું નવીનીકરણ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારે મંજુર કરી છે. જેમાં કડીયા પ્લોટના કામદાર કલ્યાણ કેન્દ્રના નવીની કરણ માટે રૂપિયા 91.36 લાખ રૂપિયા જેટલો અંદાજિત ખર્ચ થશે, જ્યારે બિરલા રોડ ઉપર આવેલ કામદાર કલ્યાણ કેન્દ્રના નવીની કરણ માટે અંદાજીત 1.03 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવશે. આ અંગે માહિતી આપતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આગામી વર્ષમાં આ બન્ને કામદાર કલ્યાણ કેન્દ્રોનું નવીની કરણ કરીને કાર્યરત કરવામાં આવશે. આ કામદાર કલ્યાણ કેન્દ્રો કાર્યરત થશે ત્યારે આજુબાજુના વિસ્તારના બાળકોને રમત-ગમત, સંગીત અને સ્વ રોજગાર સહિતની અનેક પ્રવૃત્તિઓ
કરી શકશે.



