હૈદરાબાદમાં એક 86 વર્ષીય ઉદ્યોગપતિની તેમના પૌત્ર દ્વારા મિલકતના વિવાદમાં તેમના ઘરે હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. પ્રાથમિક વિગતો મુજબ પૌત્ર એટલો ગુસ્સે થયો કે, તેણે તેના દાદાને 70 વાર ચાકુ માર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના 6 ફેબ્રુઆરીની રાત્રે બની હતી જ્યારે આરોપી કે. કીર્તિ તેજા (28) એ તેના દાદા વીસી જનાર્દન રાવ પર છરી વડે હુમલો કર્યો અને જેમાં તેમનું મોત થયું. રાવ વેલજન ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) હતા. મળતી માહિતી મુજબ, તેજા અમેરિકાથી માસ્ટર્સ પૂર્ણ કરીને પરત ફર્યો હતો.
માતાને પણ મારી હતી છરી
- Advertisement -
પંજાગુટ્ટા પોલીસે જણાવ્યું કે, જ્યારે આરોપીની માતાએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેણીને પણ છરી મારી દીધી. આરોપીની માતા ઘાયલ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આરોપીની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરના બીજા ભાગમાં રહેતા તેજા અને તેની માતા ગુરુવારે સોમાજીગુડામાં રાવના ઘરે ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે તેજાની માતા કોફી લેવા ગઈ ત્યારે તેજા અને રાવ વચ્ચે મિલકતના વિભાજનને લઈને ઝઘડો થયો.
પ્રાથમિક તપાસને ટાંકીને અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેજાએ છરી કાઢીને તેના દાદા પર હુમલો કર્યો હતો. તેજાએ આરોપ લગાવ્યો કે, બાળપણથી જ તેના દાદાનું વર્તન તેના પ્રત્યે સારું નહોતું અને તે મિલકત વહેંચવાનો ‘ઈનકાર’ કરી રહ્યા હતા. જ્યારે પોલીસ અધિકારીઓને રાવ પર કથિત રીતે 70 થી વધુ વખત છરીના ઘા મારવામાં આવ્યા હોવાના અહેવાલો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, છરીના અનેક ઘા હતા અને ચોક્કસ સંખ્યા પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પુષ્ટિ થશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપી તાજેતરમાં જ પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી અમેરિકાથી હૈદરાબાદ પાછો ફર્યો હતો.
તપાસ અધિકારીઓએ જણાવ્યું કે, ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે. વેલ્જનની વેબસાઇટ અનુસાર 1965માં સ્થપાયેલી આ કંપની શિપબિલ્ડીંગ, ઉર્જા, મોબાઇલ અને ઔદ્યોગિક ક્ષેત્રો સહિત વિવિધ ક્ષેત્રો માટે સંપૂર્ણ ઉકેલો પૂરા પાડવામાં નિષ્ણાત છે.