ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે બે લોકોના મોત, હવામાન વિભાગે 6 અને 7 જુલાઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું , નૈનીતાલ જિલ્લામાં હજુ પણ શાળાઓ બંધ
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે બે લોકોના મોત થયા છે. હવામાન વિભાગે 6 અને 7 જુલાઈ માટે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. ભારે વરસાદની સંભાવનાને કારણે નૈનીતાલ જિલ્લામાં હજુ પણ શાળાઓ બંધ છે.
- Advertisement -
અહીં ભારે વરસાદનું એલર્ટ
IMDની આગાહી અનુસાર આજે નૈનીતાલ, પિથોરાગઢ, બાગેશ્વર, ઉધમ સિંહ નગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે ચમોલી અને પૌરી જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
નોંધનિય છે કે, શુક્રવારે ચંપાવત જિલ્લાના લોહાઘાટ, બાગેશ્વર જિલ્લાના કપકોટ અને ગઢવાલના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. દેહરાદૂનમાં વરસાદના પાણીથી ભરેલા ખાડામાં પાંચ વર્ષનો બાળક ડૂબી ગયો અને હરિદ્વારમાં એક કિશોર નાળામાં ડૂબી ગયો. દેહરાદૂનમાં પણ સતત પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.
ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે સહિત 90 રસ્તાઓ બંધ
પહાડી રાજ્યમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું જેના કારણે બદ્રીનાથ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા હતા. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે, ભૂસ્ખલનને કારણે 88 ગ્રામીણ મોટરેબલ રસ્તાઓ, બે સરહદી રસ્તાઓ, એક રાજ્ય ધોરીમાર્ગ અને બદ્રીનાથ મંદિર તરફ જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ બંધ થઈ ગયો છે. ઋષિકેશ-બદ્રીનાથ નેશનલ હાઈવે લામ્બાગઢમાં બ્લોક કરવામાં આવ્યો હતો, જે ભૂસ્ખલન માટે અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. શુક્રવારે રુદ્રપ્રયાગ જિલ્લામાં ભૂસ્ખલનના કાટમાળથી જૂની ટનલ બંધ થઈ ગઈ. જોકે કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી.