ગાંધીનગરના માણસા ખાતે ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે
રાજ્યભરમાં ૧૪થી ૨૦ જૂન સુધી ‘યોગ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી
- Advertisement -
૧૭ મહાનગરપાલિકા, ૩૩ જિલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય સ્તરે એક જ સમયે સામૂહિક યોગથી રચાશે નવો રેકોર્ડ
ખાસ ખબર ન્યૂઝ ગાંધીનગર
૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને ગુજરાત સરકારે રાજ્યભરમાં ભવ્ય અને વ્યાપક આયોજન હાથ ધર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણી અંતર્ગત આ વર્ષે યોગ દિવસને વિશિષ્ટ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડીને ઉજવવામાં આવશે. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં યોજાશે, જેમાં ૪ હજારથી વધુ નાગરિકો સહભાગી બનશે.
- Advertisement -
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ રાખવામાં આવી છે. આ થીમને કેન્દ્રમાં રાખીને રાજ્યભરમાં વિવિધ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૧૦થી વધુ મોટા કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાઈ ચૂક્યા છે, જ્યારે યોગ દિવસ સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં કુલ ૨૪ હજાર જેટલા કાર્યક્રમો યોજાવાના છે. તેમણે જણાવ્યું કે શાળાઓ, કોલેજો, કોર્પોરેટ ઓફિસો, ઉદ્યોગ સંસ્થાઓ, બગીચાઓ અને જાહેર સ્થળોએ યોગ અંગે જાગૃતિ અને સામૂહિક અભ્યાસના કાર્યક્રમો યોજાશે. રાજ્ય સરકારનો હેતુ યોગને જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો છે જેથી વધુમાં વધુ લોકો સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધે.
હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે સમગ્ર રાજ્યમાંથી ૧.૨૫ કરોડથી વધુ નાગરિકો યોગ પ્રોટોકોલ તાલીમ અને યોગાભ્યાસમાં ભાગ લેવાના છે. આ માટે જિલ્લાવાર કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો, યોગ સંસ્થાઓ અને વિવિધ સામાજિક સંગઠનોના સંકલનથી અનેક સમિતિઓ કાર્યરત છે, જે કાર્યક્રમોની સફળતા માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં ૧૪ જૂનથી ૨૦ જૂન સુધી ‘યોગ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહ દરમિયાન સમાજના વિવિધ વર્ગોને આવરી લેતા વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સફાઈ કર્મચારીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને ખેડૂતો સહિતના વર્ગોને કેન્દ્રમાં રાખીને કુલ ૧૨ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી ૧૦ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના બે કાર્યક્રમો આગામી દિવસોમાં યોજાશે.
તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યની ૧૭ મહાનગરપાલિકાઓ, ૩૩ જિલ્લાઓના તમામ તાલુકા મથકો, નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં એક જ સમયે સામૂહિક યોગાભ્યાસ યોજાશે. યોગ દિવસને લોકોત્સવનું સ્વરૂપ આપવા માટે રાજ્યવ્યાપી સ્તરે તૈયારીઓ પૂર્ણતાની નજીક પહોંચી રહી છે. આ આયોજનની ઝાંખીરૂપે આજે વહેલી સવારે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે વિશાળ સામૂહિક યોગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૫ હજારથી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને યોગાભ્યાસ કર્યો હતો. આ કાર્યક્રમને યોગ દિવસ પૂર્વેના મહત્વપૂર્ણ આયોજન તરીકે જોવામાં આવી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની વિદેશ મુલાકાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે વિદેશી ધરતી પર યોગ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે યોગની વૈશ્વિક સ્વીકૃતિ અને ભારતીય સંસ્કૃતિના વધતા પ્રભાવનું પ્રતિબિંબ છે. તેમણે જણાવ્યું કે આજે વિશ્વભરમાં ભારતીય યોગ શિક્ષકોની માંગ સતત વધી રહી છે અને યોગ ક્ષેત્ર રોજગારીની નવી તકો પણ ઊભી કરી રહ્યું છે.
ગુજરાત યોગ બોર્ડની કામગીરીની પ્રશંસા કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે સામાન્ય નાગરિકો રોજિંદા જીવનમાં યોગ અપનાવી શકે તે માટે બોર્ડ દ્વારા તાલીમ, માર્ગદર્શન અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમણે યોગ બોર્ડના ચેરમેન તથા સમગ્ર ટીમને રાજ્યમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આમ, ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ગુજરાતમાં જનભાગીદારીના મહોત્સવ તરીકે ઉજવવા માટે રાજ્ય સરકાર દ્વારા બહોળા પાયે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાખો લોકો સ્વસ્થ અને સંતુલિત જીવન માટે યોગ સાથે જોડાશે.




