ઘરના દીવા જ ઘર બાળે: કાર્યકરોનો રોષ અને જનતાની ઉપેક્ષા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે પરંતુ આ વખતે રાજકીય ગરમાવો માત્ર પક્ષો વચ્ચે જ નહીં, પક્ષની અંદરોઅંદર પણ જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાતાની સાથે જ અસંતોષની જ્વાળા પ્રગટી છે. વર્ષોથી પાયાનું કામ કરતા કાર્યકરોમાં અન્યાયની ભાવના પ્રબળ બની છે, જે આગામી ચૂંટણીના પરિણામો પર મોટી અસર પાડી શકે છે.
આજ સુધી રાજ્યના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હંમેશા રસાકસીભરી રહી છે પરંતુ 2026ની આ ચૂંટણી પક્ષો માટે ઘરના જ ઘા સમાન સાબિત થઈ રહી હોય તેમ જણાય છે. સત્તાધારી ભાજપ હોય, મુખ્ય વિપક્ષ કોંગ્રેસ હોય કે ઊભરતી આમ આદમી પાર્ટી – ત્રણેય પક્ષોમાં ટિકિટ ન મળવાથી નારાજ કાર્યકરોએ બળવાના સૂર છેડ્યા છે. અમુક ખુલીને મેદાનમાં આવ્યા છે તો ઘણા મૌન રહીને પડદા પાછળથી ખેલ બગાડવાની ફિરાકમાં છે.
શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપમાં સામાન્ય રીતે હાઈકમાન્ડનો નિર્ણય અંતિમ માનવામાં આવે છે, પરંતુ આ વખતે ચિત્ર થોડું અલગ છે. પક્ષમાં નવાસવા આવેલા પેરાશૂટ ઉમેદવાર અને ચોક્કસ જ્ઞાતિના લોકોને વધુ પડતી ટિકિટ ફાળવવામાં આવતા વર્ષો જૂના પાયાના કાર્યકરોમાં રોષ છે. અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટા મહાનગરોમાં કાર્યકરોએ જાહેરમાં વિરોધ પ્રદર્શિત કર્યો છે. રાજકોટમાં તો ટિકિટ આપેલા ઉમેદવારને સ્ટેજ પરથી ઉતારી દેવાના અને ક્યાંક તો મહિલા કાર્યકરોની આંખોમાં આંસુ અને નારાજગીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
આ વખતે રાજકીય પાર્ટીઓએ સીટોની ફાળવણીમાં જ્ઞાતિના સમીકરણો જાળવવામાં કેટલાક સક્રિય ચહેરાઓને કાપ્યા હોવાથી અસંતોષ વધુ વ્યાપ્યો છે. આ જ રીતે જૂથવાદ અને પાયાના કાર્યકરોની અવગણના કોંગ્રેસ માટે પણ મોટી સમસ્યા સાબિત થઈ છે. આ ચૂંટણી કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો જંગ છે, છતાં આંતરિક ખેંચતાણ ઓછી થવાનું નામ નથી લેતી. કોંગ્રેસે જ્યારે પાથરણાવાળા જેવી સામાન્ય મહિલાઓને ટિકિટ આપીને લોકશાહી બતાવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે બીજી તરફ સંગઠનમાં કામ કરતા મજબૂત નેતાઓની બાદબાકી થતા અસંતોષ ફાટી નીકળ્યો છે.
- Advertisement -
સ્થાનિક ચૂંટણી ‘પ્રજા વિરુદ્ધ સમસ્યા’ને બદલે ‘પક્ષ વિરુદ્ધ કાર્યકર’ની બની
આ ચૂંટણીમાં ઉમેદવારની ખરી લડાઈ વિરોધ પક્ષ સાથે નથી પરંતુ પોતાના જ પક્ષના અસંતુષ્ટ સાથીઓ સાથે છે
ટિકિટ ન મળતા કેટલાક મહત્વના સ્થાનિક નેતાઓ ભાજપ કે અન્ય પક્ષ તરફ વળ્યા છે, જે કોંગ્રેસના પરંપરાગત મતોના સમીકરણો બગાડી શકે છે.
આમ આદમી પાર્ટી જે પોતાની જાતને અલગ વિચારધારાવાળી પાર્ટી ગણાવે છે, તે પણ આંતરિક અસંતોષથી બચી શકી નથી. સુરત, જામનગર અને અન્ય શહેરોમાં ઉમેદવારોની પસંદગી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. પક્ષના જ કેટલાક જૂના કાર્યકરોનો આરોપ છે કે, ટિકિટ વહેંચણીમાં પારદર્શિતા જળવાઈ નથી. શિક્ષિત, શિસ્તવાન અને સ્વચ્છ પ્રતિભાના નામે જાણીતી બનેલી પાર્ટીમાં જ્યારે સ્થાનિક કક્ષાએ વિવાદો વધે છે, ત્યારે કાર્યકરોની નૈતિક હિંમત તૂટતી જોવા મળે છે. અહીં પણ સંગઠન માટે પરસેવો પાડનારા કાર્યકરોને બદલે છેલ્લા સમયે આવેલા આયાતી નેતાઓને મહત્વ આપવાનાં કારણે પાયાના કાર્યકરોમાં નારાજગી છે.
ભાજપ, કોંગ્રેસ, આપ – જો આ ત્રણેય પક્ષો પોતાના નારાજ કાર્યકરોને મનાવવામાં નિષ્ફળ રહેશે, તો તેની સીધી અસર વોટિંગ ટકાવારી અને પરિણામો પર જોવા મળી શકે છે. ચૂંટણી જીતવા માટે માત્ર જનતાના મત નહીં, પણ કાર્યકરોનો ઉત્સાહ પણ એટલો જ જરૂરી છે. હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે, ત્રણેય પાર્ટીઓ માટે સૌથી મોટો પડકાર વિરોધી પક્ષ કરતા પોતાની અંદરના અસંતોષને શાંત કરવાનો છે. હવે પ્રશ્ર્ન એ થાય કે આ બધામાં પ્રજાનું શું? લોકશાહીમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે અપેક્ષા એવી હોય કે જનતાના જમીની પ્રશ્ર્નો જેમ કે રસ્તા, પાણી, ગટર, મોંઘવારી, સ્વાસ્થ્ય, સલામતી અને શિક્ષણ ચર્ચાના કેન્દ્રમાં હોય. પરંતુ હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે, આ ચૂંટણી ‘પ્રજા વિરુદ્ધ સમસ્યા’ને બદલે ’પક્ષ વિરુદ્ધ કાર્યકર’ની બની ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનને ગણતરીના દિવસો બાકી છે છતાં હજુ સુધી મતદારોની મુસીબતો પર કોઈ ખાસ ધ્યાન દેવાતું હોય એવું લાગતું નથી. એટલે આ ચૂંટણી આગળ જતાં નિરસ બની રહેવાની સંભાવના પણ છે. અત્યારે તો દરેક પાર્ટીના અસંતુષ્ટ પાછા એવો ડોળ કરતા નજરે પડે છે કે અમે તો પાર્ટીના કામે લાગી ગયા છીએ. હકીકતમાં તેઓ એવા ધંધે લાગ્યા છે કે, એ મહાશય કે મોહતરમા તમાચો મારી ગાલ લાલ રાખી ફરે છે. ન રહેવાઈ, ન સહેવાઈ, ન કહેવાઈની આ સ્થિતિ ચૂંટણીમાં હાર કરતા પણ વધુ દુ:ખદાયક છે. અને આ બધા કારણે જ વર્તમાન ચૂંટણીમાં ક્રોસ વોટિંગ સાથે પેનલો તૂટવાની સૌથી વધુ શક્યતાઓ સેવાઈ રહી છે. મતલબ કે, આ બધી જ માથાકૂટનું પરિણામ 28 એપ્રિલ જાણવા મળી જશે.
રાજકીય વિશ્લેષકો હંમેશા કહેતા હોય છે કે, ચૂંટણી મેદાનમાં જીતવા માટે સેનાપતિ મજબૂત હોવો જોઈએ પણ લડાઈ તો સૈનિકો (કાર્યકરો) જ જીતાડે છે. જો આ સૈનિકો જ હથિયાર હેઠા મૂકી દે અથવા ઘરભેગા થઈ જાય તો ગમે તેવો મજબૂત ઉમેદવાર પણ હારી શકે છે. દરેક વોર્ડ કે બેઠક પર પક્ષના પાયાના કાર્યકરોનું એક નેટવર્ક હોય છે. જ્યારે તેમની અવગણના કરીને કોઈ ’પેરાશૂટ’ કે ’પસંદગીના’ ઉમેદવારને ઉતારવામાં આવે છે, ત્યારે તે પાર્ટી અને કાર્યકરોના આ આંતરિક ડખ્ખામાં સૌથી મોટું નુકસાન સામાન્ય જનતાનું થાય છે. તેથી જ અત્યારે ચર્ચા એ નથી થતી કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા કેવી રીતે ઉકેલાશે, પણ ચર્ચા એ થાય છે કે “ફલાણા ભાઈને ટિકિટ કેમ ન મળી?” ઉમેદવારો અત્યારે મતદારોને રિઝવવાને બદલે પોતાના પક્ષના નારાજ જૂથોને મનાવવામાં શક્તિ વેડફી રહ્યા છે. જો કાર્યકરોનો અસંતોષ જ ચૂંટણીનો મુખ્ય મુદ્દો બની જાય તો જનતા પાસે વિકલ્પ શું? મતદાર જ્યારે પોલિંગ બૂથ પર જશે ત્યારે તેને એ સમજાશે નહીં કે તે વિકાસ માટે મત આપી રહ્યો છે કે કોઈની આંતરિક હરીફાઈનું સાધન બની રહ્યો છે.
રાજકીય પક્ષોએ સમજવું પડશે કે કાર્યકરોની નારાજગી માત્ર હાર-જીતનો વિષય નથી, પણ તે પ્રજાના વિશ્વાસ સાથેનો દ્રોહ છે. જો ચૂંટણી માત્ર ‘ટિકિટની વહેંચણી’ અને ‘અસંતોષ’ની આસપાસ જ ફરતી રહેશે તો સામાન્ય માણસના પ્રશ્ર્નો ફરી એકવાર હાંસિયામાં ધકેલાઈ જશે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય.. જે પક્ષ પોતાના નારાજ કાર્યકરોને મનાવવામાં અને તેમને ફરીથી કામ પર લગાડવામાં સફળ રહેશે તે જ મેદાન મારી જશે. નહીંતર ઘરના જ દીવા ઘર બાળશે એ કહેવત મુજબ કાર્યકરો જ પોતાના પક્ષના ઉમેદવારો માટે સૌથી મોટો અવરોધ સાબિત થશે. ટૂંકમાં કહીએ તો આ ચૂંટણીમાં ઉમેદવારની ખરી લડાઈ વિરોધ પક્ષ સાથે નથી, પરંતુ પોતાના જ પક્ષના અસંતુષ્ટ સાથીઓ સાથે છે. હવે જો રાજકીય પક્ષો પ્રજાના પ્રશ્ર્નોને બદલે આંતરિક અસંતોષમાં જ અટવાયેલા રહેશે તો મતદારોનો વિશ્વાસ જીતવો તેમના માટે અઘરો સાબિત થશે.



