આણંદપુરથી પાદરીયા સુધીની 14 કિમી લાઇનનું ટેસ્ટિંગની કામગીરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં નવા ભળેલા વિસ્તારોને પીવાનું પાણી વધુ સારી રીતે, પુરતું અને પુરતા ફોર્સ સાથે મળી શકે તે માટે આણંદપુરથી પાદરીયા સુધીની પાણીની નવી લાઇન નંખાઇ છે. આ લાઇનની ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે. કામગીરી સંતોષપૂર્ણ જણાયે 75,000ની વસતીને પાણી વિતરણ કરી શકાશે.
- Advertisement -
આ કામ કુલ 20 કરોડનું છે જેમાં 14 કરોડના ખર્ચે નવી પાણીની લાઇન નાંખવાની કામગીરી થઇ રહી છે જેનું હાલ ટેસ્ટિંગ કરાઇ રહ્યું છે. ખાસ કરીને પાણી બરોબર પહોંચે છેે કે નહિ? તે માટે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. કુલ 14 કિમીની લંબાઇમાં 600 એમએમ સાઇઝની એમએસ (માઇલ્ડ સ્ટિલ)ની આ પાઇપ લાઇન પથરાયેલ છે.
પાઇપ લાઇનની પહેલા સફાઇ પણ કરાઇ છે, જેથી પાઇપમાં માટી, કચરો, ધૂળ,પથ્થર હોય તો તેનું ધોવાણ થઇ શકે. ટેસ્ટિંગ સપૂર્ણરીતે સંતોષજનક જણાયા બાદ પાણી વિતરણ કરવામાં આવશે.
ખાસ કરીને સરદાર બાગ, ઝાંઝરડા રોડ વિસ્તાર, ટીંબાવાડી, ગોપાલવાડી, જોષીપરા સહિતના વિસ્તારોમાં આ નવી પાઇપ લાઇનથી પાણી વિતરણ કરાશે જેનો અંદાજે 75,000થી વધુની વસતીને લાભ મળશે.
આ વિસ્તારમાં પાણી વિતરણ ચાલુ જ છે. પરંતુ અગાઉ ધારાગઢથી અપાતું હતું,જે હવે પાદરીયાથી અપાશે. આમ, ધારાગઢ અને પાદરીયા બન્ને ફિલ્ટર પ્લાન્ટ ચાલુ થઇ જશે.
પરિણામે આણંદપુરથી સિંગલ લાઇનના બદલે ડબલ લાઇનમાં પાણી આવશે.
પાણી વિતરણના બે ભાગ થશે. જેથી ધારાગઢથી શહેરને અને પાદરીયાથી જૂનાગઢમાં નવા ભળેલા વિસ્તારોમાં પાણી વિતરણ થશે. આમ, એક જ લાઇન પર થતો પાણી વિતરણનો બોજ હળવો થશે અને લોકોને પણ પુરતું પાણી મળશે. હાલ પમ્પિંગ સ્ટેશનની કામગીરી પણ ચાલી રહી છે.