ગુજરાત હાઉસીંગ બોર્ડની શેરી નં. 6માં ચાલી રહ્યું છે ગેરકાયદે ચણતર: અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં
મકાનમાલિકે આવેદન પાઠવી બાંધકામ અટકાવવા કરી રજૂઆત
- Advertisement -
ટી.પી. શાખાના અધિકારીનો ઉડાઉ જવાબ: થાય તે કરી લો, બાંધકામ નહીં રોકાય
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં સત્તાધીશો- અધિકારીઓની નજર સામે અનેક જગ્યાઓ પર ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવી રહ્યા છે ત્યારે હાલ તાજેતરમાં જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વોર્ડ નં. 8માં છેલ્લાં ત્રણ મહિનાથી ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે જે અંગેની રજૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત તકેદારી આયોગ અને મનપા કમિશનરને કરવામાં આવી હતી છતાં આજદિન સુધી આ બંગલાના માલિકો સામે કોઈ કાર્યવાહી શા માટે કરવામાં આવતી નથી?
વધુમાં મનપાની વેસ્ટ ઝોન શાખા ટાઉન પ્લાનીંગ શાખાના આસિસ્ટન્ટ ઓફિસર અજય વેગડને આ અંગે જાણ કરતાં તેણે પણ ઉડાઉ જવાબ આપ્યો હતો. તો શું દરેક અધિકારીઓ સાથે મિલીભગત હોઈ શકે? તેવા આક્ષેપો લતાવાસીઓ અને અરજદારો કરી રહ્યા છે. વોર્ડ નં. 8 મહિલા કોલેજ સામે ગુજરાત હાઉસીંગ બોર્ડ શેરી નંબર 6, બ્લોક નં. એલ-24 ‘જગદીશ’ નામના મકાનમાં છેલ્લાં ત્રણ માસથી ગેરકાયદે બાંધકામ ખડકાઈ રહ્યું છે. આ મકાનના ફ્રન્ટના માર્જિનમાં જે જગ્યા ઓપન ટુ સ્કાય રાખવાની ફરજિયાત છે તેમાં ગેરકાયદે સ્લેબ ભરીને અરજદારની સાઈડની બાજુ કમ્પાઉન્ડ વોલ આશરે 15 ફુટ હાઈટની કરી છે, જેનાથી પાસેના મકાનના હવા ઉજાસ રોકાઈ જાય છે એટલું જ નહીં પરંતુ સ્લેબ ભરી રોડ ટચ ટુ ટચ રૂમનું તેમજ દાદરાનું ચણતર કરવામાં આવ્યું છે. આમ આ મકાનમાં સ્લેબ, કમ્પાઉન્ડ વોલ, રૂમ અને દાદરો આ બધું જ બાંધકામ ગેરકાયદેસર છે અને નિયમ વિરૂદ્ધ બાંધકામની ફરિયાદ ફોટા અને આધાર પુરાવા સાથે આર.એમ.સી. કમિશનર, મેયર અને તકેદારી આયોગને તથા આર.એમ.સી.ના કમ્પ્લેન નંબર પર વિડીયો અને ફોટોગ્રાફ સાથે અરજદારે રજૂ કર્યાં છે છતાં ક્યા કારણોસર કાર્યવાહી કરવામાં આવતી નથી? એ એક મોટો પ્રશ્ર્ન છે. શું અધિકારીઓની મિલીભગત હોઈ શકે? શું અધિકારીઓ વેંચાઈ ગયા હશે? તેવા અનેક પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે.
ગેરકાયદે બાંધકામને છાવરતાં ભ્રષ્ટાચારી અધિકારીઓ
- Advertisement -
વોર્ડ નં. 8માં ‘જગદીશ’ નામના મકાનમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. આ અંગે એક અરજદારે કમિશનરને રજૂઆત કરી હતી પરંતુ શા માટે મ્યુ. કમિશનર અમિત અરોરાને રજૂઆત કરી આ અનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ટી.પી. શાખાને આદેશ આપતાં નથી? શું આ ગેરકાયદે બાંધકામ કરવા પ્રોત્સાહન આપી અનુચિત કાર્યવાહીને મંજૂરી આપી દીધી છે તે ખરેખર નિંદનીય છે. આવી બાબતોથી સ્પષ્ટ થાય છે કે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ગેરકાયદેસર બાંધકામને છાવરવા ભ્રષ્ટાચારનો આશરો લેવામાં આવી રહ્યો છે.
આ ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ સતત ઓનલાઈન ત્રણ મહિનાથી કરવામાં આવી રહી છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે તથા આજદિન સુધી આર.એમ.સી. તરફથી લેખિત ફરિયાદનો જવાબ મળ્યો નથી. આ ત્રણ માસ દરમિયાન એવું તે શું રહસ્ય ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કરવામાં આવ્યું? ક્યા નિયમના આધારે બાંધકામ દૂર કરવામાં આવ્યું નથી? તો આ રહસ્યનો ભેદ આર.એમ.સી. ટાઉન પ્લાનિંગ વિભાગ પાડી શકે છતાં પણ આજદિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતાં અનેક સવાલો મનપાના અધિકારીઓ સામે ઉઠી રહ્યા છે.