ઝારખંડના ગિરીડીહમાં જીજાજીને પ્રેમ કરતી ઉર્મિલાએ ખેલ્યો ખૂની ખેલ
શાળી ઉર્મિલા કુમારીએ જીજાજી સુભાષ પાસવાન સાથે મળી ભાવિ પતિ નિરજ હાજરાની હત્યા કરી નાખી
- Advertisement -
મહારાષ્ટ્રના પુણેનો કેતન અગ્રવાલ હત્યાકાંડ હાલ ચારેકોર ચર્ચામાં છે, એવામાં ઝારખંડના ગિરીડીહમાંથી આવી જ ઘટના સામે આવી છે. જેમાં લગ્નના માત્ર 3 દિવસ પહેલા યુવતીએ પોતાના થનારા પતિની હત્યા કરાવી નાખી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ યુવતીનો તેના જીજાજી સાથે પ્રેમ સંબંધ હતો. આ કારણે બંનેએ સાથે મળીને થનારા પતિને રસ્તામાંથી હટાવવાનું ષડયંત્ર રચ્યું હતું. હત્યા બાદ મૃતદેહને બિહારા જંગલોમાં ફેકી દેવામાં આવ્યો, જેથી કોઈને આ અંગેની ભાળ ન મળે. હાલ પોલીસે યુવતી અને તેના જીજાજીની ધરપકડ કરી લીધી છે. જ્યારે પોલીસ દ્વારા અન્ય આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ મામલો ગિરીડીહ જિલ્લાના જમુઆ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં ભિખોડીહ ગામનો રહેવાસી 20 વર્ષીય નિરજ હાજરા 5 જુલાઈએ અચાનક ગુમ થઈ ગયો હતો. તેના પિતા સુભાષ હાજરાએ જમુઆ પોલીસ સ્ટેશનમાં દીકરાના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. શરૂઆતમાં પોલીસે તેને સામાન્ય ગુમ થવાનો મામલો સમજીને તપાસ શરૂ કરી. જોકે, પરિવારજનોએ નિરજના અપહરણની શંકા વ્યક્ત કરી. ત્યારબાદ પોલીસે 8 જુલાઈના રોજ અલગ-અલગ કલમો હેઠળ ફરિયાદ નોધી અને આ કેસની ઝીંણવટભરી તપાસ શરૂ કરી.
ગિરીડીહના પોલિસ અધીક્ષક ડો.વિમલ કુમારના આદેશ પર SDPO અમરેન્દ્ર કુમારના નેતૃત્વમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી હતી. તપાસ ટીમે મોબાઈલ લોકેશન, કોલ ડિટેલથી આખી ઘટનાની કડીઓ જોડવાનું શરૂ કર્યું. તપાસ દરમિયા SITને મહત્વના પુરાવા મળ્યા, જેના આધારે ટીમ બિહારના જમુઈ જિલ્લામાં આવેલા બેલા જંગલમાં પહોંચી. આ જંગલમાંથી મળી આવેલા મૃતદેહની ઓળખ નિરજ હાજરા તરીકે થઈ. મૃતદેહ મળ્યા બાદ ગુમ થવાનો મામલો હત્યામાં ફેરવાઈ ગયો.
- Advertisement -
પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછમાં સામે આવેલી કહાની કોઈ ક્રાઈમ થ્રિલરથી ઓછી નથી. તપાસમાં જણાવા મળ્યું કે ગિરીડીહના બેંગાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગમતરિયા ગામની રહેવાસી ઉર્મિલા કુમારીનો તેના જીજાજી સુભાષ પાસવાન સાથે પ્રેમ સંબંધ હતો. આ દરમિયાન પરિવારજનોએ ઉર્મિલાના લગ્ન નિરજ હાજરા સાથે નક્કી કર્યા હતા. બંનેના લગ્નને માત્ર 3 દિવસનો સમય બચ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ઉર્મિલા નિરજ સાથે લગ્ન કરવા માંગતી નહોતી. આથી બંનેએ ભેગામળીને નિરજને રસ્તામાંથી હટાવવાનું ષડયંત્ર રચ્યું.
પોલીસનું કહેવું છે કે, બંનેએ પ્લાનિંગ પ્રમાણે નિરજને બોલાવ્યો. ત્યારબાદ તેની ક્રુર હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ મૃતદેહને બિહારના બેલા જંગલમાં ફેંકી દીધો, જેથી કોઈને કંઈ ખબર ન પડે. જોકે, મોબાઈલ લોકેશન અને અન્ય ડિજિટલ પુરાવાએ આરોપીઓના પ્લાન પર પાણી ફેરવી નાખ્યું. એસડીપીઓ અમરેન્દ્ર કુમારે જણાવ્યું કે, SITએ ત્વરિત કાર્યવાહી કરતાં બે મુખ્ય આરોપીઓને ઝડપી લીધા છે. આમાં સુભાષ પાસવાન (જમુઈ, બિહાર) અને ઉર્મિલા કુમારી (ગમતરિયા, ગિરીડીહ)નો સમાવેશ થાય છે. બિહાર પોલીસે હત્યામાં વપરાયેલા બે છરા પણ કબજે કર્યા છે. આ કેસમાં વધુ કેટલાક લોકોની સંડોવણી હોઈ શકે છે. તેમની ઓળખ થઈ ગઈ છે અને સંભવિત સ્થળોએ સર્ચ ચાલુ છે. આધુનિક ટેક્નિકલ તપાસ અને વૈજ્ઞાનિક પુરાવાની મદદથી જ આ કેસ ઝડપથી સોલ્વ થયો છે. SITએ સારું કામ કર્યું છે અને આશા છે કે બાકીના આરોપીઓ પણ જલદી પકડાઈ જશે.




