ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાઇ શકે, પૂરતી જગ્યા નથી
1 લાખ લોકોને વિરોધ કરવા ભાજપ અગ્રણીનું આહવાન : ભારે ચર્ચા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં જોષીપરા અને બસ સ્ટેશનનાં ફાટક દુર કરવા અને જરૂરી ગ્રાન્ટ માટે મનપાની સ્થાયી સમિતીએ લીલીઝંડી આપી છે.પરંતુ જૂનાગઢનાં બસ સ્ટેશન પાસે અંડરપાસ બનાવવાનો વિરોધ ઉઠ્યો છે. ખુદ ભાજપનાં જ અગ્રણીએ અહીં અંડરપાસનો વિરોધ કર્યો છે અને 1 લાખ લોકોને વિરોધ કરવા આહ્વાન કર્યું છે. અહીં અંડરપાસ બનાવતા ચોમાસામાં પાણી ભરાશે અને અંડરપાસ માટે પુરતી જગ્યા પણ નથી.એટલું જ નહી બસ સ્ટેશનમાંથી બસ બહાર નિકળે તે ફાટકની બાજુમાંથી જ નિકળે છે. અહીં અંડરપાસ બને તો બસ ચલાવવામાં પણ મુશ્કેલી પડે તેમ છે. જૂનાગઢ શહેરમાં ફાટકની સમસ્યા માથાનાં દુ:ખાવા સમાન છે. પરંતુ ફાટકને લઇ કોઇ નકકર નિર્ણય ઉપર સરકાર કે સ્થાનિક તંત્ર આવતું નથી. ગઇકાલે મનપાની સ્થાયી સમિતીની બેઠકમાં જોષીપરા ફાટક ઉપર ઓવરબ્રિજ અને બસ સ્ટેશન પાસે અંડરપાસ બનાવવાનો નિર્ણય કર્યો છે. પહેલાની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ કામ માટે જરૂરી ગ્રાન્ટની સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.પરંતુ ભાજપનાં શાસનમાં જ ભાજપ અગ્રણીએ બસ સ્ટેશન પાસે અંડરપાસ બનાવવનો વિરોધ કર્યો છે. ભાજપ અગ્રણી ભાવેશભાઇ વેકરિયાએ જણાવ્યું હતું કે,જૂનાગઢ બસ સ્ટેશન પાસે ઓવરબ્રિજનાં બદલે અંડરપાસ બનાવવા માટેનો પ્લાન અને મુસદો તૈયાર થયો છે. અંડરપાસનાં કારણે જૂનાગઢનાં જોષીપરા અને ઓજી વિસ્તારનાં લોકોને હાલાકી પડશે,જેથી તેનો વિરોધ કરી છીએ. ચોમાસ દરમિયાન અહીં પાણી ભરાશે. પાણીનો ભૌગોલીક રીતે નિકાલ શકય નથી. અહીં કોઇ ગટર કે નાળા નથી. અંડરપાસમાં પાણી ભરાવાથી એક લાખ લોકો પ્રભાવીત થશે. જોષીપરા અને ઓજી વિસ્તારનાં એક લાખ લોકોએ પત્ર લખી બસ સ્ટેશન પાસેનાં અંડરપાસનો વિરોધ કરવો જોઇએ. બસ સ્ટેશન પાસે અંડરપાસ શકય જ નથી. અહીં ઓવરબ્રિજ બનાવવો પડે તેમ છે.
ચોમાસામાં બે અંડરપાસમાં પાણી ભરાય છે
જૂનાગઢનાં મજેવડી દરવાજા પાસેનાં જોષીપરા અંડરપાસ અને ઝાંઝરડા અંડરપાસમાં ચોમાસામાં પાણી ભરાય છે. વરસાદનાં દિવસોમાં જોષીપરા અંડરપાસ મોટા ભાગે બંધ રહે છે. આ બન્ને અંડરપાસમાં પાણી ભરાય ત્યારે લોકો બસ સ્ટેશન વાળા ફાટકનો ઉપયોગ કરતા હોય છે. હવે અહીં પણ અંડરપાસ બને અને ચોમાસામાં પાણી ભરાઇ તો 1 લાખથી વધુ લોકો સંપર્ક વિહાણા બને તેમ છે.
ઓજી વિસ્તારને હંમેશા અન્યાય!
ભાજપ અગ્રણી ભાવેશ વેકરિયાએ કહ્યું હતું કે,જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા છેલ્લા 20 વર્ષથી ઓજી વિસ્તારને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારમાં એક પણ સારો રોડ નથી. પીવાનું પાણી કોર્પોરેશન આપતુ નથી. આ વિસ્તારમાં બાગ બગીચા નથી. હેલ્થ સેન્ટર નથી. ટ્રાફીક પોલીસ હોતી નથી. આ વિસ્તારમાં સારી સ્કુલનો પણ અભાવ છે. જૂનાગઢ ઓજી વિસ્તારને મનપા દ્વારા અન્યાય જ કરવામાં આવ્યો છે.