કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારા
ઈ-ચલણ સામે વાંધો નોંધાવવા 45 દિવસની મુદત, સમયસર દંડ ન ભરાય તો વાહન પોર્ટલ પર વાહન બ્લોક થશે
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ અમદાવાદ
ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારા જાહેર કર્યા છે. નવા નિયમો હેઠળ ઈ-ચલણ સંબંધિત પ્રક્રિયાઓને વધુ પારદર્શક અને કડક બનાવવામાં આવી છે. ખાસ કરીને વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે હવે વધુ સખત કાર્યવાહી કરવામાં આવશે. નવા નિયમો મુજબ એક જ વર્ષમાં પાંચ કે તેથી વધુ વખત ચલણ મેળવનાર વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા સુધારાઓ મુજબ, કોઈ પણ વાહનચાલક અથવા વાહન માલિકને ઈશ્યુ થયેલા ઈ-ચલણ અંગે વાંધો હોય તો તે ચલણ જાહેર થયાની તારીખથી 45 દિવસની અંદર ઈ-ચલણ પોર્ટલ પર ઓનલાઈન રજૂઆત અથવા ફરિયાદ નોંધાવી શકશે. આ સમયગાળા દરમિયાન ફરિયાદ નહીં કરવામાં આવે તો ચલણ આપોઆપ સ્વીકારવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે.
ચલણની સ્વીકૃતિ બાદ આગામી 30 દિવસની અંદર દંડની રકમ ભરપાઈ કરવી ફરજિયાત રહેશે. જો આ સમયમર્યાદામાં દંડની ચૂકવણી નહીં કરવામાં આવે તો સંબંધિત વાહનને ‘વાહન પોર્ટલ’ પર “નો્ટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડ” શ્રેણીમાં મૂકીને બ્લોક કરવામાં આવશે. પરિણામે વાહન સંબંધિત વિવિધ વહીવટી સેવાઓ, જેમ કે નોંધણી પ્રમાણપત્રની કામગીરી, વાહન સંબંધિત અરજીઓ અને અન્ય પ્રક્રિયાઓ અટકી જશે. નિયમોમાં ફરિયાદ નિવારણ અંગે પણ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. જો ફરિયાદ નિવારણ સત્તાધિકારી વાહનચાલકની રજૂઆતને નકારી કાઢે, તો ચાલકે 30 દિવસની અંદર સંપૂર્ણ દંડ ભરવો પડશે અથવા દંડની રકમના 50 ટકા જમા કરાવી અદાલતમાં અપીલ કરવાની રહેશે. જો બંનેમાંથી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ચલણ સ્વીકૃત ગણાશે અને 15 દિવસની અંદર દંડ ભરવો પડશે. અન્યથા વાહનને પણ બ્લોક કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
- Advertisement -
નવા સુધારાઓમાં સૌથી મહત્ત્વપૂર્ણ અને કડક જોગવાઈ એવી છે કે એક જ વર્ષ દરમિયાન પાંચ કે તેથી વધુ વખત ચલણ મેળવનાર વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. સરકારનું માનવું છે કે આ પગલાથી વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો પર નિયંત્રણ આવશે અને માર્ગ સલામતીમાં વધારો થશે. રાજ્ય સરકારે ગુજરાતના તમામ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, બાકી રહેલા ઈ-ચલણની સમયસર ભરપાઈ કરવા તેમજ કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે સતર્ક રહેવાની અપીલ કરી છે. સરકારના જણાવ્યા મુજબ નવા નિયમોનો મુખ્ય હેતુ માર્ગ સલામતી મજબૂત બનાવવાનો અને ટ્રાફિક નિયમોના અમલને વધુ અસરકારક બનાવવાનો છે.




