સૌરાષ્ટ્રમાંથી ઉ.ભારતમાં માલ પરિવહન બનશે સુગમ
સૌરાષ્ટ્રમાંથી ઉ. ભારતમાં માલનું પરિવહન સરળ થઇ જશે. રાજકોટને પણ વાયા મોરબી ઘણો લાભ મળશે
ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યોના વિકાસમાં વેગ આવે તે હેતુથી સરકારે રૂ.107 લાખ કરોડનું કદ ધરાવતો પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પ્રોજેક્ટમાં 81 જેટલા જેટલા મહત્વના પ્રોજેક્ટ સમાવવામાં આવ્યા છે. એમાં ગુજરાતનો સમાવેશ પણ થયો છે.ગુજરાતને પ્રોજેક્ટ હેઠળ એક્સપ્રેસ હાઇવે મળવાનો છે. 1257 કિલોમીટરની લંબાઇ ધરાવતો અમૃતસરથી જામનગર સુધીનો એક્સપ્રેસ હાઇવે ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવે છે. જામનગર, મોરબી, કચ્છ જિલ્લો ઉદ્યોગોનું હબ ગણાય છે ત્યાંથી માલ પરિવહન સરળતાથી થઇ શકશે. રાજકોટને પણ વાયા મોરબી દ્યણો લાભ મળશે.
એક્સપ્રેસ વેને લીધે ભટીંડા, બાડમેર અને જામનગરની એમ કુલ ત્રણ ત્રણ ઓઇલ રિફાઇનરીઓ એકબીજા સાથે જોડાશે. એ ઉપરાંત ભટીંડાનો થર્મલ પ્લાન્ટ તથા ગંગાનગરનો થર્મલ પ્લાન્ટ પણ આ જ રસ્તે આવશે. અમૃતસર-જામનગર એક્સપ્રેસ વે લુધિયાણા-ભટીંડા-અજમેર એક્સપ્રેસ વેને મળશે. આમ આખો રસ્તો આર્થિક કોરિડોર બની રહેવાનો છે. હરિયાણા અને રાજસ્થાનમાં 2019માં જ આ રસ્તાનું બાંધકામ શરૂ થઇ ગયું છે અને માર્ચ 2023 સુધીમાં પૂરું કરવાનું સરકારનું લક્ષ્ય છે.
ગતિશક્તિ હેઠળ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે કે જે 1350 કિલોમીટરનો છે તે અને 210 કિલોમીટરનો દિલ્હી-સહરાનપુર-દહેરાદૂન એક્સપ્રેસ વે પણ છે. સરકારે ગતિશક્તિ હેઠળ ભારત નેટનો પ્રોજેક્ટ પણ જોડ્યો છે. એનાથી વિશ્વનું સૌથી મોટું બ્રોડબેન્ડ નેટવર્ક સર્જાશે.


