ભાજપને ઘેરવા જતાં ખુદ વડોદરા ‘આપ’ પ્રમુખ જ ફસાયા: અશોક ઓઝા સહિત 2ની અટકાયત
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા
- Advertisement -
ગુજરાત આમ આદમી પાર્ટી (અઅઙ)માં આંતરિક વિવાદનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરો (ઈંઇ)ના નકલી અધિકારી બનીને પોતાના જ પક્ષના કાર્યકરોને ધમકાવવા મામલે આણંદ સાયબર ક્રાઈમ પોલીસે સફળતા મેળવી છે. આ સમગ્ર મામલે પોલીસે વડોદરા ‘આપ’ના પ્રમુખ અશોક ઓઝા અને આણંદના નીતિન પટેલ નામના શખસની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, થોડા સમય પહેલાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ડ’ પર એક ગંભીર આક્ષેપ કરતી પોસ્ટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક ચોક્કસ મોબાઈલ નંબર પરથી ‘આપ’ ના કાર્યકરોને આઈબી (ઈંઇ)ના નામે ધમકાવવામાં આવી રહ્યા છે અને પક્ષ બદલવા કે કામ બંધ કરવા દબાણ કરાઈ રહ્યું છે. આ દરમિયાન આણંદના ‘આપ’ કાર્યકર કેશવ ચૌહાણને પણ એ જ નંબર પરથી ધમકીભર્યો કોલ આવ્યો હોવાથી, તેમણે તાત્કાલિક આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સાયબર પોલીસે જ્યારે અરવિંદ કેજરીવાલે જાહેર કરેલા મોબાઈલ નંબરની ટેકનિકલ તપાસ હાથ ધરી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ નંબર આણંદના નીતિન પટેલના નામે એક્ટિવ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તાત્કાલિક નીતિનની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરતા આખો મામલો પક્ષની આંતરિક વિવાદનો નીકળ્યો હતો. નીતિન પટેલે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝાએ તેના આ નંબરનો ઉપયોગ કર્યો હતો અને તેણે જ નકલી આઈબી અધિકારી બનીને ફોન કર્યા હતા.
પોલીસે આ કબૂલાતના આધારે વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝાની પણ અટકાયત કરી હતી. અશોક ઓઝાની આકરી પૂછપરછમાં સામે આવ્યું કે, ફરિયાદ કરનાર કેશવ ચૌહાણ તેમનો રાજકીય હરીફ હોવાથી પક્ષમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા અને તેને ડરાવીને બેકફૂટ પર ધકેલવા માટે જ તેણે આ નકલી આઈબી અધિકારી બનવાનો આખો પ્લાન ઘડ્યો હતો.
જે મામલાને લઈને આમ આદમી પાર્ટી ભાજપ કે વિરોધીઓ પર નિશાન સાધવા જતી હતી, તેમાં ખુદ તેમના જ વડોદરાના પ્રમુખ પોતાના કાવતરામાં ફસાઈ ગયા છે. હાલ આણંદ સાયબર ક્રાઈમ પોલીસ આ નેટવર્ક અને કાવતરામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.



