વીઆઈપી કલ્ચર બાજુએ મુકી હર્ષ સંઘવીએ તાત્કાલિક ટ્રાફિક શરૂ કરાવ્યો
મેયરની કડકાઈ બાદ તાત્કાલિક ખામીઓ સુધારી ફોરલેન સાંઢિયો પુલ જનતા માટે ખુલ્લો મુકાયો
- Advertisement -
રાજકોટવાસીઓ જેની લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે નવનિર્મિત ફોરલેન સાંઢિયા પુલનું આખરે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. કુલ 74.32 કરોડના અધધ ખર્ચે તૈયાર થયેલા આ આધુનિક બ્રિજનું ઉદ્ઘાટન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. બ્રિજ ખુલ્લો મુકાતા જ સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.લોકાર્પણની વિધિ પૂર્ણ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટના મેયર સહિતના પદાધિકારીઓ સાથે ખુલ્લી જીપમાં સવારી કરીને સમગ્ર બ્રિજનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ટ્રાફિક પોલીસે જનતાને પુલના છેડે રોકી રાખી હતી. જોકે, વીઆઈપી મૂવમેન્ટના કારણે લોકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે નાયબ મુખ્યમંત્રીએ સંવેદનશીલતા દાખવી ટ્રાફિક પોલીસને તાત્કાલિક ટ્રાફિક ખોલી નાખવા સૂચના આપી હતી. આ પ્રસંગે તેમણે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું અને ત્યાંથી સીધા ખોડલધામના ચેરમેન નરેશ પટેલને મળવા માટે રવાના થયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના મેયર ડો. નેહલ શુક્લએ ચાર્જ સંભાળ્યાના બીજા જ દિવસે એટલે કે ૨૯ મેના રોજ આ બ્રિજની ઓચિંતી મુલાકાત લીધી હતી. તે સમયે કરોડોના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ સહિતની કેટલીક ગંભીર ટેકનિકલ અને ફિનિશિંગ સ્તરની ખામીઓ સામે આવી હતી.મેયરે વાહનચાલકોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન ચલાવી લેવાની કડક નીતિ અપનાવીને ઘટનાસ્થળે જ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો. મેયરના કડક આદેશ બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તમામ ખામીઓ દૂર કરવામાં આવી હતી, જેના પરિણામે આજે એક સુરક્ષિત અને સુવિધાજનક બ્રિજ રાજકોટની જનતાને સમર્પિત કરી શકાયો છે.


- Advertisement -
પુલની ટેકનિકલ વિગતો
બ્રિજની અંદાજિત ખર્ચ: રૂ. 74.32 કરોડ
સમય મર્યાદા: 30 મહિના
બ્રિજની પહોળાઈ: 16.24 મીટર
લંબાઈ: 678 મીટર
ઊંચાઈ: 6.25 મીટર
પી.એસ.સી. ગર્ડર: 120 નંગ
સ્ટીલ ગર્ડર: 7 નંગ
પિલર: 22 નંગ
સ્લેબ: 21 નંગ
સ્લેબ કલવર્ટ: 2
સ્ટીલનો વપરાશ: 3700 મે.ટન
કોંક્રિટનો વપરાશ: 25500 ઘન મીટર
સિમેન્ટનો વપરાશ: 11000 મે.ટન
લોડ ટેસ્ટીંગ: 360 મે.ટન / સ્પાન




