ખોડલધામ મંદિરનો સાતમાં વર્ષમાં પ્રવેશ: મુખ્યમંત્રીનું સુતરની હાર માળાથી સ્વાગત
ખોડલધામ ટ્રસ્ટ સમાજહિતની સાથે રાષ્ટ્રહિત સાથે જોડાયેલું: ભૂપેન્દ્ર પટેલ, મહોત્સવને નિહાળવા મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે આજે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના 6 વર્ષ પુરા થઈ ને 7માં વર્ષમાં પ્રવેશ થયો છે. ખોડલધામના મંદિરના મેઈન ગેટ પાસે મુખ્યમંત્રીને સુતરની હાર માળાથી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણભાઈ જસાણી, પ્રવિણભાઈ પટેલ, હરેશભાઇ પરસાણાં, ભોવાનભાઈ રંગાણી, હર્ષદભાઈ માલાણી, પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુક સહિતના ટ્રસ્ટીઓએ આવકાર્યા હતા. ઈખ ભૂપેન્દ્ર પટેલને નરેશ પટેલે ખોડલધામનો ખેસ પહેરાવ્યો. ત્યારબાદ ખોડિયાર માતાજીના મંદિરે ઈખ ભૂપેન્દ્ર પટેલે ધ્વજારોહણ કર્યું હતુ. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની વાત લોકો સમક્ષ રજૂ કરતાં પહેલાં તમામ મહેમાનો તથા ઉપસ્થિત સૌ કોઈને આવકાર્યા હતા. ત્યારબાદ જય ખોડલનાં નાદ સાથે જયઘોષ બોલાવ્યો હતો. તથા જણાવ્યું હતું કે, ખોડલધામ ટ્રસ્ટએ સમાજહિતની સાથે-સાથે રાષ્ટ્રહિત સાથે જોડાયેલો છે. આ સંસ્થાનું 2012માં સૌથી પહેલા પ્રમુખ સ્વામીએ શીલાપૂજન કર્યું હતું અને વિશાળ મંદિર બનાવવા અંગે આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ભારતનાં વડાપ્રધાન મોદીને યાદ કર્યા હતાં.
આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ બન્યા ખોડલધામ ટ્રસ્ટના નવા ટ્રસ્ટી, કુલ 43 ટ્રસ્ટીઓની થઈ જાહેરાત
- Advertisement -
ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને આજે જ્યારે 6 વર્ષ પુરા થઈને 7માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જામી છે. સૌ કૌઈ આ મહોત્સવને નિહાળવા પહોંચી રહ્યાં છે. આ કાર્યક્રમમાં ખોડલધામ ચેરમેન તથા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા કેબિનેટ અને રાજ્ય કક્ષાના અનેક મંત્રીઓનું સહિત ધારાસભ્યોનું ખોડલધામનો ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતુ. સાથે ખોડલધામના 40 નવા ટ્રસ્ટીઓનું પણ ખોડલધામનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતુ. જ્યાં માતાજીના દર્શન કરવા માટે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા કુંવરજી બાવળિયાએ માતાજીનાં દર્શન કર્યા હતા.
નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે આપણે ભવ્ય મહોત્સવનું આયોજન કર્યું છે. ત્યારે આવનારા વર્ષમાં એટલે કે 2027માં ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે રાજકોટ નજીક અમરેલી ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 50 એકર જગ્યા પર શિક્ષણ અને આરોગ્યને લઇને ખુબ મોટા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ટુંક સમયમાં થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રતીક મંદિર ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા જમીનની ખરીદી પણ થઇ ગઈ છે. જ્યાં ટૂંક સમયમાં જ કામ શરુ કરી દેવામાં આવશે. અને સંબોધનના અંતમાં તેઓએ મા ખોડલ અને દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની આગેવાની હેઠળ ગુજરાતનાં તમામ પરિવાર કુશળ રહે તેવી પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સરળ, સહજ અને સાદગીનાં પ્રતીક: નરેશ પટેલ
નરેશભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં ખોડલધામ મંદિરને 7માં વર્ષમાં પ્રવેશ અંગે સૌના સહકારને બિરદાવ્યો હતો. સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સરળ, સહજ અને સાદગીનાં પ્રતીક ગણાવ્યા હતા. સાથે ખોડલધામ એક વિચાર છે એ વિચારને રાષ્ટ્રફલક સુધી પહોંચાડવાનો છે.
મુખ્યમંત્રીનું ઢોલ અને શરણાઈથી સ્વાગત
મુખ્યમંત્રીના આગમનના સમયે મંદિરના મેઈન ગેટ પાસે ઢોલ, અને શરણાઇથી સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેમાં 30 ઢોલ અને 10 શરણાઈ વગાડીને આવકારવામાં આવ્યા હતા.