મોર્નિંગ મંત્ર
– ડૉ. શરદ ઠાકર
ભૌતિક શાસ્ત્રમાં ત્રણ પરિમાણોને સ્વીકારવામાં આવ્યાં હતાં. લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈએ પછી એમાં ચોથું પરિમાણ ઉમેરાયું, એ હતું સમય.
- Advertisement -
સમય એટલે કે કાળ ત્રણ પ્રકારના હોય છે. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. ભૂતકાળ ચાલ્યો ગયો છે. ભવિષ્યકાળ હજુ આવ્યો નથી. માટે બધાં કહે છે કે તમે વર્તમાનમાં જીવો. વાસ્તવમાં વર્તમાનકાળમાં પણ જીવી શકાતું નથી. કારણ કે આપણે ’વર્તમાનકાળ’ એટલું બોલીએ ત્યાં તો તે ક્ષણ ભૂતકાળ બની ગઈ હોય છે. તમે વિચારો કે બોલો એ પહેલાં જ જો વર્તમાનકાળ પૂરો થઈ જતો હોય તો એક સમયના ખંડમાં તમે જીવી કેવી રીતે શકો?
માટે જ ગંગા સતી કહી ગયાં છે કે ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ’ વીજળી માટે બીજો એક સુંદર શબ્દ છે : ક્ષણપ્રવાહ. માત્ર એક જ ક્ષણમાં ઝબૂકીને વિલાઈ જતો પ્રકાશનો ઝબકારો એટલે ક્ષણપ્રવાહ અર્થાત્ વીજળી. બસ, એટલો જ સમય વર્તમાનનો હોય છે અને એ વીજળીના ઝબકારા જેટલા સમયમાં આપણે જિંદગીના મણકા પરોવી લેવાના છે.