બાગેશ્વર ધામ સરકારના શ્રીમુખેથી હનુમાન કથાનું પાવન રસપાન કરવા હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા
હિન્દુ એકતા, સનાતન સંસ્કૃતિ અને ભક્તિના સંદેશ સાથે પ્રથમ દિવસે ગૂંજી ઉઠ્યું રેસકોર્સ મેદાન
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત “સનાતન સેતુ હનુમંત કથા”ના પ્રથમ દિવસે આધ્યાત્મિકતા, ભક્તિ અને રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. બાગેશ્વર ધામ સરકાર તરીકે જાણીતા ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજના મુખેથી હનુમંત કથાનું પાવન રસપાન કરવા રાજકોટ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર કથા સ્થળ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.
ત્રણ વર્ષ બાદ ફરી રાજકોટ પધારેલા ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીનું આગમન સમયે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રેમ અને સન્માન બદલ તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. કથાના આરંભ પૂર્વે સી.સી.ધ રોકસ્ટાર બેન્ડ તથા જાણીતા બોલિવૂડ પ્લેબેક સિંગર અને લાઇવ પરફોર્મર ચૈતાલી છાયાએ ભજન અને સંગીતની મનમોહક રજૂઆત કરી હતી. “રામ સિયારામ સિયારામ જય જય રામ”ની ધૂન પર ઉપસ્થિત શ્રદ્ધાળુઓ ભક્તિરસમાં તરબોળ થઈ ગયા હતા. કાર્યક્રમ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ દાદાની આરતી અને પૂજા-અર્ચના કરી હતી તેમજ સંત-મહંતો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
કથાની શરૂઆતમાં ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીએ ગુજરાતની ધરતીને સંતો અને મહંતોની ભૂમિ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે એક બાજુ સોમનાથ મહાદેવ અને બીજી બાજુ ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે, જ્યારે નરસિંહ મહેતા અને જલારામ બાપા જેવા મહાન સંતોએ આ ધરતીને પવિત્ર બનાવી છે. આવી પવિત્ર ભૂમિ પર આવવાનો આનંદ વ્યક્ત કરતાં તેમણે રાજકોટના શ્રદ્ધાળુઓના પ્રેમની પ્રશંસા કરી હતી. કથા દરમિયાન તેમણે હનુમાનજીના આદર્શો, સનાતન સંસ્કૃતિના મૂલ્યો અને રાષ્ટ્રપ્રેમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હનુમંત કથા હિન્દુઓને જોડવા માટેનું માધ્યમ છે અને સમાજમાં એકતા તથા આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પરમાત્મા જાણવાનો નહીં પરંતુ અનુભવવાનો વિષય છે અને જીવનમાં જગત કરતાં ભગવાન પર વધુ ભરોસો રાખવો જોઈએ. “જેની સાથે પરમાત્મા છે તેનો વિજય નિશ્ચિત છે,” તેમ તેમણે જણાવ્યું હતું.
પ્રથમ દિવસે તેમણે ભક્તિ, ધર્મ અને સંસ્કૃતિ અંગે અનેક ઉદાહરણો આપી શ્રદ્ધાળુઓને સંદેશ આપ્યો હતો. સીતા માતા, દ્રૌપદી અને શબરીના જીવનપ્રસંગોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે ભગવાન પર અડગ વિશ્વાસ રાખનારની લાજ ભગવાન જ બચાવે છે. રાવણને બુરાઈનું અને ભગવાન શ્રીરામને સારાઈનું પ્રતીક ગણાવતા તેમણે દરેક વ્યક્તિએ પોતાના અંતરમાં રહેલા રામને જાગૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ધર્માંતરણના મુદ્દે પણ તેમણે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સમાજના સમૃદ્ધ વર્ગે ગરીબ અને જરૂરિયાતમંદ હિન્દુ પરિવારોને સહાય કરવી જોઈએ. તેમણે આધુનિક ટેકનોલોજીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે “AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જ્યારે HI એટલે હિન્દુત્વ ઇન્ટેલિજન્સ.” ભક્તિ અને શ્રદ્ધાના મહત્વ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે. તેમણે રસાળ શૈલીમાં કહ્યું હતું કે જો હનુમાનજી લંકા સુધી પહોંચી શકે તો તેઓ રાજકોટ કેમ ન આવી શકે? જીવનમાં સંસાર વિશે વિચારવું જરૂરી છે, પરંતુ અંતિમ ભરોસો ભગવાન પર જ રાખવો જોઈએ. પૂજા માત્ર દેખાડા માટે નહીં પરંતુ મનથી અને ભાવથી થવી જોઈએ, ત્યારે જ તેનું સાચું ફળ પ્રાપ્ત થાય છે.
આ કાર્યક્રમ અંતર્ગત બે દિવસ હનુમંત કથા અને એક દિવસ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. કથા સ્થળે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ જાહેર પરિવહનના પ્રોત્સાહનને ધ્યાનમાં રાખી અનેક શ્રદ્ધાળુઓએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેના કારણે પર્યાવરણ સંરક્ષણ અને સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થામાં પણ સહભાગીતા નોંધાઈ હતી.પ્રથમ દિવસની કથામાં ભક્તિ, આધ્યાત્મિકતા અને સનાતન સંસ્કૃતિના સંદેશ સાથે શ્રદ્ધાળુઓએ હનુમાનજીના આદર્શોને આત્મસાત કર્યા હતા. સમગ્ર રેસકોર્સ મેદાન “જય શ્રી રામ” અને “બજરંગબલી કી જય”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું, જેના કારણે રાજકોટમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.
બોકસ : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી મહારાજના મુખેથી હનુમંત કથા
ગુજરાત સંતો-મહંતોની ભૂમિ છે, એક બાજુ સોમનાથ મહાદેવ બીજી બાજુ ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે
ભક્ત નરસિંહ મહેતા અને જલારામ બાપા જેવા મહાન સંતોએ આ સૌરાષ્ટ્રની ધરતીને પવિત્ર બનાવી છે
હનુમંત કથા હિન્દુઓને જોડવાનું માધ્યમ છે સમાજમાં એકતા અને આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો પ્રયાસ છે
પરમાત્મા જાણવાનો નહીં અનુભવવાનો વિષય છે, જગત કરતાં ભગવાન પર વધુ ભરોસો રાખવો જોઈએ
ભગવાન પર અડગ વિશ્વાસ રાખનારની લાજ ખૂદ ભગવાન જ બચાવે છે આ વાત પર વિશ્વાસ રાખવો
રાવણ બુરાઈનું શ્રીરામ સારાઈનું પ્રતીક છે, દરેક વ્યક્તિએ પોતાના અંતરમાં રહેલા રામને જાગૃત કરવો જોઇએ
સમાજના સમૃદ્ધ વર્ગે ગરીબ અને જરૂરિયાતમંદ હિન્દુ પરિવારોની શક્ય તેટલી સહાય કરવી જોઈએ
આધુનિક ટેકનોલોજી વિશે કહ્યું કે “AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જ્યારે HI એટલે હિન્દુત્વ ઇન્ટેલિજન્સ છે
પૂજા માત્ર દેખાડા માટે નહીં પરંતુ મનથી અને ભાવથી થવી જોઈએ, ત્યારે જ તેનું સાચું ફળ પ્રાપ્ત થાય છે.
જો હનુમાનજી લંકા સુધી પહોંચી શકે છે તો તેઓ રાજકોટ શહેરમાં કેમ ન આવી શકે?




