ધારાસભ્ય, પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરે યોગ્ય ઉકેલની ખાતરી આપી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મીઓ પડતર પ્રશ્ર્ને લડત ચલાવી રહ્યા છે તેમ છતાં પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવતા ગઈકાલથી મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મીઓ પડતર પ્રશ્ર્ને હડતાલ ઉપર ઉતરી ગયા છે. મોરબી નગરપાલિકાના 300 થી વધુ રોજમદાર સફાઈ કર્મીઓએ કાયમી કરવા સહિતની માંગણી સાથે આંદોલનનું એલાન કર્યું હતું. તા.16 થી આંદોલનના મંડાણ થયા બાદ અખિલ ભારતીય મજદૂર કોંગ્રેસના નેજા હેઠળ નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મીઓને કાયમી કરવા, સફાઈ કર્મીઓને લઘુતમ વેતન ચૂકવવામાં આવે, ચાલુ ફરજ દરમિયાન કારણ વગર 27 કર્મીઓને ફરજ પરથી ઉતારી નાખ્યા હોય એમને ફરજ પર પરત લેવા, સફાઈ કર્મીઓને હાજરી કાર્ડ, પગાર સ્લીપ, ઓળખકાર્ડ આપવામાં આવે તેવી માંગ સાથે મોરબી નગરપાલિકા ખાતે સફાઈ કર્મીઓએ હડતાલ શરૂૂ કરી છે ત્યારે આ અંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, નગરપાલીકાના વહીવટદાર એન. કે. મુછાર અને નગરપાલિકાના ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ સફાઈ કર્મીઓના પ્રશ્ર્નો સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. આ અંગે ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ જણાવ્યું હતું કે, સફાઈ કર્મીઓની બે માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે જેમાં છુટા કરેલા સફાઈ કર્મીઓને ક્યાં કારણોસર છૂટા કર્યા તે જાણીને યોગ્ય કાર્યવાહી કરાશે જ્યારે આ સફાઈ કર્મીઓને કાયમી કરવાની સતા અમારી પાસે નથી. લઘુતમ વેતન ચૂકવવા માટે પાલિકાની તિજોરીને ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.