કેતન અગ્રવાલની હત્યા બાદ લોહાગઢ કિલ્લા પર આવતા પ્રવાસીની સંખ્યામાં એકાએક વધારો
લોહાગઢ કિલ્લામાં પ્રવાસીઓ કેતન અગ્રવાલની હત્યા થઈ તે જગ્યા જોવા ઉમટી પડ્યા
- Advertisement -
કેતન અગ્રવાલની ચર્ચા ફક્ત મહારાષ્ટ્ર જ નહીં પરંતુ આખા દેશમાં થઈ રહી છે. કેતનની ભાવિ પત્ની સિયા ગોયલ અને તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરીએ કેતનને પુણેના ખૂબ જ પ્રસિદ્ધ લોહાગઢ કિલ્લા પરથી ધક્કો મારીને હત્યા કરી નાખી હતી. આ કેસ ચર્ચામાં આવ્યા બાદ લોહાગઢ કિલ્લાની પણ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે કેતન અગ્રવાલની હત્યા બાદ આ કિલ્લા પર આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
કેતન અગ્રવાલની હત્યા બાદ કિલ્લામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો તો થયો જ છે, તેની સાથે સાથે લોકોમાં એ જગ્યા જોવાની ઉત્સુકતા પણ વધી ગઈ છે જ્યાંથી કેતનને ધક્કો મારવામાં આવ્યો હતો. કિલ્લા પર આવતાની સાથે જ પ્રવાસીઓ ત્યાં હાજર અન્ય પ્રવાસીઓ અને સિક્યોરિટી ગાર્ડને એક જ સવાલ પૂછી રહ્યા છે કે, સિયાએ કેતનને ધક્કો માર્યો હતો એ જગ્યા કઈ છે? એ જગ્યાને લોકો હવે ‘સિયા પોઇન્ટ’ તરીકે ઓળખવા લાગ્યા છે. સ્થાનિકોના દાવા પ્રમાણે કેતન અગ્રવાલની હત્યા બાદ અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં 25 ટકા જેટલો વધારો થઈ ગયો છે.
દર વર્ષે લોહાગઢ કિલ્લાને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો આવે છે. સામાન્ય રીતે રજાઓના દિવસોમાં અહીં દરરોજ ચારથી પાંચ હજાર લોકોની ભીડ જોવા મળે છે. જોકે, કેતન અગ્રવાલનો કેસ સામે આવ્યા બાદ અહીં સામાન્ય દિવસોમાં પણ લોકોની એટલી જ ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને ‘સિયા પોઈન્ટ’ પ્રત્યે લોકોનું આકર્ષણ ખૂબ જ વધ્યું છે.
- Advertisement -
લોહાગઢ વિસાપુર વિકાસ મંચના સચિન ટેકાવડેએ ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું કે, “ઐતિહાસિક અને પવિત્ર એવા લોહાગઢ કિલ્લા પર હત્યાનો જે બનાવ બન્યો છે તે ખરેખર આઘાતજનક અને કમનસીબ વાત છે. જે રીતે લોહાગઢ કિલ્લા વિશે સોશિયલ મીડિયામાં મીમ્સ અને જોક્સ ફરતા થયા છે તે એનાથી પણ વધારે ખતરનાક છે.”
મહારાષ્ટ્રનો લોહાગઢ કિલ્લો: 2000 વર્ષથી વધુ જૂનો ઇતિહાસ
2000 વર્ષ જૂનો ઇતિહાસ – લોહાગઢ કિલ્લો સહ્યાદ્રીની પહાડીઓમાં આવેલો છે, જેનો મતલબ લોખંડનો કિલ્લો એવો થાય છે. લોહાગઢ કિલ્લો પુણેના લોનાવાલા નજીક આવેલો છે. આ કિલ્લો ટ્રેકિંગ ડેસ્ટિનેશન તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે. કિલ્લો 2000 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. કિલ્લાનો શરૂઆતી પાયો સાતવાહન કાળમાં નાખવામાં આવ્યો હતો પણ લોહાગઢ કિલ્લાનો દબદબો મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક અને સૌથી લોકપ્રિય શાસકોમાંથી એક એવા છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં વધ્યો હતો. શિવાજીના રાજમાં આ કિલ્લો રાજ્યના ડિફેન્સિવ નેટવર્કનો એક મહત્ત્વનો ભાગ બની ગયો હતો. લોહાગઢ કિલ્લો મહારાષ્ટ્રના માવલ વિસ્તારમાં આવેલો છે. આ લોનાવલાથી લગભગ 11 કિ.મી. અને પુણેથી 60 કિ.મી. દૂર છે. આ સ્મારક સુધી પહોંચવા માટે સૌથી સરળ માલવલી રેલવે સ્ટેશન છે.




