1.22 લાખ કરદાતાઓએ 72.57 કરોડનો વેરો ઓનલાઇન ચૂકવ્યો: 31 મે સુધી વેરો ભરપાઈ કરનારાને 10 અને 15 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે મિલકતવેરા અને પાણી વેરો ભરપાઈ કરવાની કામગીરી ગત 7 એપ્રિલ 2026થી શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશને રાજકોટના કરદાતાઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. માત્ર 24 દિવસના ટૂંકા ગાળામાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં જ કુલ 1,65,559 કરદાતાઓ દ્વારા રૂ. 100.17 કરોડની વેરા વસૂલાત કરવામાં મનપાને સફળતા મળી છે.
મનપાના સત્તાવાર આંકડાઓ મુજબ, આ વર્ષે કરદાતાઓમાં ઓનલાઇન વેરો ભરવાનો ક્રેઝ વધુ જોવા મળ્યો છે. કુલ 1,22,141 કરદાતાઓએ ડિજિટલ માધ્યમથી રૂ. 72.57 કરોડની ભરપાઈ કરી છે, જ્યારે 43,418 કરદાતાઓએ ચેક અને રોકડ દ્વારા રૂ. 27.68 કરોડ જમા કરાવ્યા છે. વહેલો વેરો ભરીને જવાબદાર નાગરિક બનવાની સાથે રાજકોટવાસીઓએ ડિસ્કાઉન્ટ યોજનાનો પણ ભરપૂર લાભ લીધો છે, જેના ભાગરૂપે મનપા દ્વારા અત્યાર સુધીમાં રૂ. 11.99 કરોડ જેટલી માતબર રકમનું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરનારાઓને આપવામાં આવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હજુ પણ આ ડિસ્કાઉન્ટ યોજના ચાલુ રાખવામાં આવી છે. જે મુજબ, આગામી 31 મે 2026 સુધી વેરો ભરનાર સામાન્ય કરદાતાઓને 10% અને મહિલા કરદાતાઓને 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ત્યારબાદ 1 જૂન થી 30 જૂન સુધી મહિલાઓ માટે 10% અને સામાન્ય કરદાતાઓ માટે 5% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. મનપા પ્રશાસન દ્વારા શહેરના તમામ મિલકતધારકોને વહેલી તકે વેરો ભરી આ આકર્ષક વળતર યોજનાનો લાભ લેવા નમ્ર વિનંતી કરવામાં આવી છે.
એડવાન્સ વેરો ભરનારા કરદાતાઓને 11 કરોડનું ડિસ્કાઉન્ટ અપાયું
રાજકોટ મનપાએ એડવાન્સ વેરો ભરનારા નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે વળતરની યોજના જાહેર કરી હતી. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કરદાતાઓને કુલ રૂ. 11.99 કરોડનું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આ યોજનાને કારણે જ નાગરિકો વહેલી તકે વેરો ભરવા માટે પ્રેરાયા છે, જેનાથી મનપાને વિકાસકાર્યો માટે જરૂરી ભંડોળ ઝડપથી મળી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે 31 મે પહેલા વેરો ભરીને વધુમાં વધુ ડિસ્કાઉન્ટ મેળવી લેવું. આ આવકનો ઉપયોગ શહેરના રસ્તાઓ, પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ જેવી પાયાની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે કરવામાં આવશે. સમયસર વેરો ભરીને રાજકોટના વિકાસમાં સહભાગી બનવા મનપા પ્રશાસન દ્વારા તમામ મિલકતધારકોને આગ્રહ કરવામાં આવ્યો છે.



