એરપોર્ટના પ્રવેશદ્વાર પર જ રખડતાં દેશી શ્ર્વાનોથી મુસાફરોમાં ભયનો માહોલ
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી સ્થિતિના કારણે સુરક્ષા અને સ્વચ્છતા પર ઉભા થતા ગંભીર સવાલો
મુસાફરોને એરપોર્ટ પર ચા, કોફી કે
નાસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ પણ ઉપલબ્ધ થતી નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ પાસે આવેલું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવાની વાતોને લઈને ચર્ચામાં છે, તે હાલમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે મુસાફરો માટે માથાનો દુખાવો બની રહ્યું છે. એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં જ શ્વાનો બેફામ ફરી રહ્યા છે, જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ છે. આ ઉપરાંત, એરપોર્ટ પરનું એસ્કેલેટર પણ લાંબા સમયથી બંધ હાલતમાં છે, જેને કારણે ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગ મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. અગાઉ, યાત્રી સેવા દિવસની ઉજવણી દરમિયાન મુસાફરોને કુમકુમ તિલકથી આવકારવામાં આવ્યા હતા, પરંતુ હવે આ જ મુસાફરોને અહીં ચા, કોફી કે નાસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ પણ મળતી નથી. અગાઉ ચા-કોફીના સ્ટોલ ખોલવાની જાહેરાત થઈ હોવા છતાં, તે હજુ સુધી શરૂ થઈ શક્યા નથી.
એવિએશન પાર્ક પ્રોજેક્ટ અધ્ધરતાલ
એરપોર્ટ ટર્મિનલ પર ઈલેક્ટ્રિક સિડી બંધ: 1500થી વધુ મુસાફર અટવાયા
- Advertisement -
દરરોજ 3000 મુસાફરોની અવરજવર ધરાવતા એરપોર્ટ
પર આટલી મોટી સુવિધાનું બંધ રહેવું ચિંતાજનક
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવેશ કરતાની સાથે જ પ્રવેશદ્વારે શ્વાનોનું શયનાસન જોવા મળ્યુ હતું. જે બાદ એરપોર્ટ ટર્મિનલમાં ફ્લાઇટમાં જવા માંગતા હવાઈ મુસાફરોને ચડવા માટેની ઇલેક્ટ્રિક સીડી બંધ હાલતમાં જોવા મળી હતી. આ સમયે ત્યાં રીપેરીંગ ચાલી રહ્યું હતું. જેઓને પૂછવામાં આવ્યું કે કેટલા સમયથી ઇલેક્ટ્રિક સીડી ખરાબ છે ત્યારે તેમણે હમણાં જ ઇલેક્ટ્રિક સીડી ખરાબ થઈ ગયાનો જવાબ આપ્યો હતો. એરપોર્ટ પરથી દૈનિક અવરજવર કરતી 9 જેટલી ફ્લાઇટમાં 3000 હવાઈ મુસાફરોની અવરજવર રહે છે. જેમાંથી દરરોજ 1500 જેટલા મુસાફરોને ફલાઇટમાં જવા માટે ટર્મિનલની ઇલેક્ટ્રિક સીડી ખોટવાઈ ગઈ છે.
વર્ષ 2021 માં રાજકોટ એરપોર્ટ નજીક એવિએશન પાર્ક બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં મ્યુઝિયમ, એરસ્ટ્રિપ, ટ્રેનિંગ સ્કૂલ અને હેલિપેડ જેવી સુવિધાઓ વિકસાવવાનું આયોજન હતું. જોકે, એરપોર્ટ શરૂ થયાના પોણા બે વર્ષ બાદ પણ આ એવિએશન પાર્કનું નિર્માણ કાર્ય જમીની સ્તરે શૂન્ય જણાય છે. રાજકોટનું હિરાસર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરનું બની રહ્યું છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપીને આ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવો અનિવાર્ય છે.



